વડાપ્રધાન મોદી અને ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ વચ્ચે ફોન પર વાતચીત, જાણો કયા કયા મુદ્દા પર થઈ ચર્ચા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

PM Modi Iran President Pezeshkian Phone Call: પશ્ચિમ એશિયામાં અમેરિકા ઈરાન વચ્ચે શાંતિ કરાર બાદ તણાવ ઓછો થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મંગળવારે ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ મસૂદ પેઝેશકિયન સાથે ફોન પર વાતચીત કરી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે ક્ષેત્રની વર્તમાન પરિસ્થિતિ અને આગળની સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા થઈ.
હાલની સ્થિતિ અંગે બંને દેશના વડા વચ્ચે ચર્ચા
વાતચીતમાં રાષ્ટ્ર પ્રમુખ પેઝેશકિયને વડાપ્રધાન મોદીને પશ્ચિમ એશિયાના તાજેતરના પ્રવાહો અને ભવિષ્યની દિશાથી માહિતગાર કર્યા. વડાપ્રધાન મોદીએ ક્ષેત્રમાં થયેલા યુદ્ધવિરામ અને તણાવ ઓછો કરવાના પ્રયાસોનું સ્વાગત કર્યું.
તમામ વિવાદોનો ઉકેલ માત્ર સંવાદ અને કૂટનીતિથી શક્ય
વડાપ્રધાન મોદીએ વધુ એક વખત ભારતનું સ્પષ્ટ વલણ દાખવતાં કહ્યું કે તમામ વિવાદોનો ઉકેલ માત્ર સંવાદ અને કૂટનીતિ દ્વારા જ શક્ય છે. તેમણે પશ્ચિમ એશિયામાં કાયમી શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવાની સાથે-સાથે દરિયાઈ પરિવહન અને વૈશ્વિક વ્યાપારની અવિરત સુરક્ષા માટે સતત પ્રયાસો કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. ભારત સતત કહેતું રહ્યું છે કે પશ્ચિમ એશિયામાં શાંતિ અને સ્થિરતા માત્ર આ ક્ષેત્ર માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની આર્થિક અને વ્યૂહાત્મક સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
ભારત ઈરાન વચ્ચે વાતચીતના રસ્તા ખુલ્લા
પશ્ચિમ એશિયામાં ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચેના સંઘર્ષને કારણે તણાવ વધ્યો છે. આ કારણે ભારતે તેહરાન સાથે ઉચ્ચ સ્તરીય રાજકીય, વ્યૂહાત્મક અને માનવીય સ્તરે સતત સંપર્ક જાળવી રાખ્યો છે. આ દરમિયાન સરકારના વડાઓ વચ્ચેની વાતચીતથી લઈને મંત્રીઓની બેઠકો અને બ્રિક્સ (BRICS) કાર્યક્રમો સુધી બંને દેશો વચ્ચે વાતચીતના રસ્તા ખુલ્લા રહ્યા છે.
મહત્વનું છે કે પીએમ મોદીએ સંઘર્ષ બાદથી બે વાર ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ સાથે વાત કરી છે. જેમાં ક્ષેત્રમાં બદલાતી પરિસ્થિતિ પર ચર્ચા અને શાંતિ, સ્થિરતા તથા વાતચીતની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આ દરમિયાન વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર પોતાના ઈરાની સમકક્ષ અબ્બાસ અરાગચી સાથે સંપર્કમાં રહ્યા છે. બંને વચ્ચે પાંચથી વધુ વખત વાતચીત થઈ છે.









