ભાજપની પ્રતિબંધોની માગ વચ્ચે સંઘવડાની અલગ સલાહ
ડિજિટલ યુગમાં ભાગવતે સેન્સરશિપના બદલે લોકોની પસંદ અને પ્રાથમિક્તા પર ભાર મૂક્યો
ઓટીટી સામગ્રી પર કન્ટ્રોલ રાખવા કે વાંધાજનક સામગ્રી પર પ્રતિબંધ મુકવાની માગ થઇ ચુકી છે. એવામાં ભાગવતે સેંસરશિપના બદલે લોકોની પસંદ અને પ્રાથમિકતા પર ધ્યાન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આજના આ ડિજિટલ યુગમાં સામગ્રીની કોઇ જ અછત નથી, એવામાં તેને નિહાળનારી વ્યક્તિની સમજદારી અને વિચારો પર નિર્ભર કરે છે કે તે ક્યા પ્રકારની સામગ્રી નિહાળવા માગે છે.
મેરઠમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન મોહન ભાગવતે કહ્યું હતું કે ડિજિટલ યુગમાં સામગ્રીની અછત નથી, ઇન્ટરનેટ પર શું જોવું છે તે નિહાળનારી વ્યક્તિની સમજદારી પર નિર્ભર કરે છે. આ પહેલા મહારાષ્ટ્રમાં ભાજપ એમએલસી ચિત્રા વાઘે એક્ટર એઝાઝ ખાનની વેબ સીરીઝ હાઉસ અરેસ્ટ પર પ્રતિબંધની માગ કરી હતી, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને લખેલા પત્રમાં દાવો કરાયો છે કે એઝાઝ ખાનનો શો અશ્લીલતા દેખાડી તેને પ્રોત્સાહન આપી રહ્યો છે. માટે પ્રતિબંધ મુકવો જરૂરી છે. ભાજપ નેતાઓ ઓનલાઇન સામગ્રી પર પ્રતિબંધની માગ કરી રહ્યા છે ત્યારે આરએસએસ પ્રમુખ તેનાથી લદ્દન અલગ સલાહ આપી રહ્યા છે અને લોકોને તેમણે કહ્યું છે કે તમારે કેવા વીડિયો કે તસવીરો સોશિયલ મીડિયા પર નિહાળવી છે તે તમારી માનસિક સ્થિતિ પર નિર્ભર છે.


