Get The App

CM ભગવંત માન પર દારૂ પીને પંજાબ વિધાનસભામાં હાજર થવાનો આરોપ, વિપક્ષનો જોરદાર હોબાળો

Updated: May 1st, 2026

GS TEAM

Google News
Google News
Bhagwant Mann

Bhagwant Mann’s Drunk In Punjab Assembly Alleged : પંજાબના વિપક્ષના મુખ્યમંત્રી ભગવંત માન પર દારૂ પીને પંજાબ વિધાનસભામાં હાજર થવાનો આરોપ લાગ્યો છે. આ મામલે એક વીડિયો સોશિયલ મીડિયા માધ્યમ 'X' શેર કરવામાં આવ્યો છે. આરોપ છે કે, મુખ્યમંત્રી ભગવંત માન નશાની હાલતમાં વિધાનસભામાં સંબોધિત કર્યું હતું. જેને લઈને કોંગ્રેસ, ભાજપ અને શિરોમણી અકાલી દળે એક સુરમાં CM માન સામે તપાસની માગ ઉઠાવી છે. 

"લોકશાહીના મંદિર"નું અપમાન કરવાનો આરોપ

કોંગ્રેસના ધારાસભ્ય પરતાપ સિંહ બાજવાએ આ મામલે પંજાબ વિધાનસભા સ્પીકરને પત્ર લખ્યો છે. જેમાં બાજવાએ માગ કરી છે કે, 'સદનમાં હાજર તમામ સદસ્યો સહિત મુખ્યમંત્રીનું ડોપ ટેસ્ટ થયુ જોઈએ. ટ્રેઝરી બેન્ચ અને વિપક્ષ બંનેના તમામ ધારાસભ્યોને પણ આ તપાસના દાયરામાં લાવવા જોઈએ.' તાજેતરમાં આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાનારા રાજ્યસભાના સભ્ય સ્વાતિ માલીવાલએ માન પર "લોકશાહીના મંદિર"નું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે.

બાજવાએ કહ્યું કે, 'એવા સદનમાં હાજર થવાનો શું મતલબ, જ્યાં પ્રદેશના મુખિયા જ નશાની હાલતમાં પહોંચે.' પરતાપ બાજવાએ સ્પીકરને સંબોધિત કરતા પત્રમાં લખ્યું કે, 'હું તમારું ધ્યાન એક ગંભીર સમસ્યા પર આકર્ષિત કરવા માગુ છું, જે સદનની ગરિમા માટે ઘણી ચિંતાજનક છે.' જ્યારે વર્તમાન સત્ર દરમિયાન ધારાસભ્ય સુખપાલ સિંહ ખૈરાએ મુખ્યમંત્રીના વ્યવહારને લઈને મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે લખ્યું કે, મુખ્યમંત્રીએ સદસ્ય દ્વારા ઉઠાવેલા સવાલનો જવાબ આપ્યા વગર સદન છોડી દીધું હતું. જે ચિંતાનો વિષય છે. 

તપાસ માટે ટીમની રચના

સુખપાલ સિંહ ખૈરાએ CM માનનો એક વીડિયો 'X' પર પોસ્ટ કર્યો છે, જેમાં ભગવંત માન વિધાનસભામાં બોલતા જોવા મળે છે. એવો આરોપ છે કે, આ સમય દરમિયાન ભગવંત માન નશાની હાલતમાં હતા. ખૈરાએ આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ પાસે CM માન સામે કડક કાર્યવાહી કરે તેવી માગ કરી છે. 

સ્પીકરને સંબોધિત પત્રમાં બાજવાએ વધુમાં લખ્યું છે કે, આ મામલાની તપાસ માટે એક સ્વતંત્ર અને વિશ્વસનીય મેડિકલ ટીમની રચના કરવી જોઈએ. તેમણે માગ કરી છે કે, આ કેસની નિષ્પક્ષ અને પારદર્શક તપાસ સુનિશ્ચિત કરવા માટે પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ(PGIMER)-ચંદીગઢની એક ટીમની રચના કરવામાં આવે.

ભાજપની પ્રતિક્રિયા

ભાજપના પ્રદેશ પ્રમુખ સુનીલ જાખડે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે, પંજાબ વિધાનસભાને "લોકશાહીનું મંદિર" માનવામાં આવે છે. જો કોઈ દારૂ પીને મંદિર કે ગુરુદ્વારામાં પ્રવેશ કરે છે તો તે અપવિત્ર અને અનાદરનું કૃત્ય છે. જો સરકાર અથવા તેના પ્રતિનિધિઓ નશાની હાલતમાં વિધાનસભામાં પ્રવેશ કરે છે, તો મારું માનવું છે કે આ ફક્ત બાબા સાહેબ આંબેડકરના બંધારણનું અપમાન જ નહીં પરંતુ લોકશાહીના મંદિરનું પણ અપમાન છે. CM માન આજે ફ્લોર ટેસ્ટ કરે કે ન કરે, મારી એક ચોક્કસ માગ છે કે, આજના ખાસ સત્રના મહત્ત્વને ધ્યાનમાં રાખીને બધા નેતાઓએ ફરજિયાતપણે બ્રેથલાઈઝર ટેસ્ટ કરાવવો જોઈએ. જો બધા નેતાઓ આ ટેસ્ટમાંથી પસાર થાય છે, તો ફ્લોર ટેસ્ટની બિલકુલ જરૂર રહેશે નહીં.

આ પણ વાંચો: ‘પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલનો વારો..’, LPGમાં ભાવ વધારા મુદ્દે રાહુલ ગાંધીએ સરકારને ઘેરી

શિરોમણી અકાલી દળે ઘટનાની કરી નિંદા 

શિરોમણી અકાલી દળે માનનો એક વીડિયો પોસ્ટ કરીને ગંભીર આરોપો લગાવ્યા છે. આ ઘટનાને શરમજનક ગણાવતા પાર્ટીએ CM માનનો ડોપ ટેસ્ટ કરાવવાની માગ કરી છે. શિરોમણી અકાલી દળે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, મજૂર દિવસના અવસરે ભગવંત માન દારૂના નશામાં વિધાનસભા પહોંચ્યા તે ખૂબ જ શરમજનક છે. શિરોમણી અકાલી દળ મુખ્યમંત્રીના આ વર્તનની નિંદા કરે છે.