Get The App

ભારતમાં ઘૂસી હતી ચીનની સેના..., રાહુલ ગાંધીએ મુદ્દો ઉઠાવતા સંસદમાં ભારે હોબાળો, કેન્દ્રીય મંત્રીઓનો વિરોધ

Updated: Feb 2nd, 2026

GS TEAM

Google News
Google News
ભારતમાં ઘૂસી હતી ચીનની સેના..., રાહુલ ગાંધીએ મુદ્દો ઉઠાવતા સંસદમાં ભારે હોબાળો, કેન્દ્રીય મંત્રીઓનો વિરોધ 1 - image


Rahul Gandhi, Rajnath Singh Clash Over China Remarks : સંસદમાં બજેટ સત્રમાં આજે લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ સંબોધન કર્યું. તેમણે ડોકલામ અને ચીનની ઘૂસણખોરીનો મુદ્દો ઉઠાવતા સંસદમાં ભારે હોબાળો થયો હતો. કેન્દ્રના મોટા મંત્રીઓએ ઊભા થઈને ભારે વિરોધ નોંધાવ્યો હતો. રાહુલ ગાંધીએ કારવાંના પુસ્તક અને પૂર્વ આર્મી ચીફ જનરલ નરવણેના ડોકલામ અંગેના પુુુુુુસ્તકનો હવાલો આપતાં જ મામલો બીચક્યો હતો અને સંસદમાં હોબાળો મચી ગયો હતો. સત્તાપક્ષ તરફથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે રાહુલ ગાંધીને પડકારવાનો પ્રયાસ કર્યો હતો. હોબાળો વધી જતાં લોકસભાને ત્રણ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. 

રાહુલ ગાંધીનું સંસદમાં સંબોધન:


ચીનના ટેન્ક કૈલાશ રેન્જ પર ચઢી રહ્યા હતા : રાહુલ ગાંધી 

રાહુલ ગાંધીએ કહ્યું કે આ લોકો કહે છે કે અમે આતંકવાદ સામે લડીએ છીએ પણ એક તથ્યથી ડરે છે. પુસ્તકમાં એવું તો શું છે જેને અમે ન વાંચી શકીએ. અમને વાંચવા તો દો. તેમાં એ તમામ હકીકતો જણાવાઈ છે જે ડોકલામમાં ઘટી હતી. આ પુસ્તક આર્મી જનરલ નરવણેએ જ લખ્યું છે.  બસ આ વાત પર રાજનાથ સિંહ ભડક્યા અને તેમણે કહ્યું કે જો નરવણેને લાગતું હતું કે રોક લગાવાઈ છે તો તેઓ કોર્ટ જઈ શકતા હતા. તેઓ કોર્ટ કેમ ન ગયા? રાહુલ ગાંધીએ કહ્યું કે ચીનના ટેન્ક કૈલાશ રેન્જ પર ચઢી રહ્યા હતા. રાહુલ ગાંધીના આ નિવેદન સામે પણ હોબાળો થવા લાગ્યો હતો. 

રાહુલ ગાંધીનું ભાષણ શરુ થતાં જ રાજનાથ સિંહ વારંવાર ઊભા થયા 

ચીનની ઘૂસણખોરી મુદ્દે રાહુલ ગાંધીએ સંબોધન શરુ કરતાં આજે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ઊભા થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે, જે માહિતી પ્રકાશિત ન થઈ હોય તેનો ઉલ્લેખ તમે અહીં ન કરી શકો. જે બાદ કોંગ્રેસના સાંસદોએ ભારે વિરોધ કરતાં કહ્યું કે હજુ રાહુલ ગાંધીએ બોલવાનું શરુ જ કર્યું છે. 


રાહુલ ગાંધી પૂર્વ આર્મી ચીફના પુસ્તકના આધારે ઉલ્લેખ કરવા માંગતા હતા 

રાહુલ ગાંધી આર્મીના જનરલ નરવણેના પુસ્તક અંગે નિવેદન આપવા માંગતા હતા. જોકે રાજનાથ સિંહ વારંવાર ઊભા થઈને વિરોધ કરતાં રહ્યા અને કહ્યું કે આ પુસ્તક પ્રકાશિત થઈ છે કે નહીં? જો પ્રકાશિત ન થઈ હોય તો તમે સંસદમાં ન બોલી શકો. 

કેન્દ્રીય મંત્રીઓએ વારંવાર રાહુલ ગાંધીનો વિરોધ કર્યો

રાજનાથ સિંહે આક્રોશમાં કહ્યું કે, તમે જે પુસ્તકની વાત કરો છો તે પ્રકાશિત થઈ જ નથી. જે બાદ કોંગ્રેસના સાંસદોએ કહ્યું કે, આ માહિતી મેગેઝીનમાં આવી ગઈ છે. સંસદમાં અગાઉ પણ મેગેઝીનના ક્વોટ બોલવામાં આવ્યા છે. જે બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઊભા થઈને કહ્યું કે, તમે સ્પષ્ટતા કરો કે આ પુસ્તક પ્રકાશિત થઈ છે કે નહીં? મેગેઝીન તો કશું પણ લખી શકે છે. 


રાહુલ ગાંધીએ કહ્યું કે, હું માત્ર 5 જ વાક્ય બોલવા માંગુ છું જેમાં પૂર્વ ચીફ ઓફ આર્મી સ્ટાફ નરવણેએ PM મોદી અને રાજનાથ સિંહ વિશે વાતો કહી છે.  ત્યાર પછી સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, સંસદની કાર્યવાહી સાથે જોડાયેલી ન હોય તેવી પુસ્તકનો કોઈ ઉલ્લેખ અહીં ન કરી શકો. 

અખિલેશ યાદવે રાહુલ ગાંધીને ટેકો આપ્યો, ડૉ. લોહિયાનો ઉલ્લેખ કર્યો 

રાહુલ ગાંધીએ એક મેગેઝિનના લેખને ટાંકીને વાત કરી. આનાથી ટ્રેઝરી બેન્ચમાંથી પણ હોબાળો થયો. સંરક્ષણ મંત્રીએ વાંધો ઉઠાવતાં કહ્યું કે તેમને આવું કરવાની મંજૂરી ન આપવી જોઈએ. ચીનના મુદ્દાને સંવેદનશીલ ગણાવતા અખિલેશ યાદવે કહ્યું કે જો કોઈ સૂચન રાષ્ટ્રીય હિતમાં હોય, તો વિપક્ષના નેતાએ તે વાંચવું જોઈએ. ડૉ. લોહિયાથી મુલાયમ સિંહ યાદવ સુધીના ઉદાહરણો આપતા અખિલેશે કહ્યું કે આપણે ચીન સામે સાવધ રહેવું જોઈએ. 

સંસદની કાર્યવાહી ફરી શરૂ થતાં ફરી હોબાળો

લોકસભા સ્થગિત થયા બાદ 3 વાગ્યે ફરી શરૂ થઈ. રાહુલ ગાંધીએ કહ્યું કે, આ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છે. ચીનની સેનાની 4 તોપ કૈલાશ રેન્જમાં ઘૂસણખોરી કરી રહી હતી.... રાહુલ ગાંધી આટલું બોલ્યા એવામાં રાજનાથ સિંહ ઊભા થયા અને કહ્યું કે, વિપક્ષ નેતા આ વાત ક્યાંથી કહી રહ્યા છે? આ કાલ્પનિક વાતો છે. આ સમગ્ર દેશને ભ્રમમાં નાંખી રહ્યા છે. આમને બોલતા રોકવા જોઈએ.

રાહુલ ગાંધીએ કહ્યું કે, 31 ઓગસ્ટ, 2020ના રોજ ચીનની સેનાઓ ભારતમાં ઘૂસી રહી હતી... 

રાહુલ ગાંધી આટલું બોલ્યા ત્યાં લોકસભામાં ફરીથી હોબાળો શરૂ થયો. સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, તમે માત્ર રાષ્ટ્રપતિના અભિભાષણ પર જ બોલો. આ જ નિયમ છે.