પાકિસ્તાનની ડંફાસ: મંત્રીએ યુદ્ધની ધમકી આપતા કહ્યું- સિંધુ નદીના પાણીને સ્પર્શ પણ કરશો, તો હાથ કાપી નાખીશું!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India Pakistan Indus Waters Treaty Dispute 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષો જૂના સિંધુ જળ કરાર (Indus Waters Treaty - IWT) ને લઈને તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. વર્ષ 2025 માં જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા (જેમાં 26 લોકોના મોત થયા હતા) બાદ, નવી દિલ્હીએ આ કરારને સ્થગિત કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. આ નિર્ણયથી અકળાયેલા પાકિસ્તાને હવે ભારતને સીધી સૈન્ય અને હિંસક ધમકીઓ આપવાનું શરૂ કર્યું છે. પાકિસ્તાનના ક્લાયમેટ ચેન્જ મંત્રી મુસાદિક મલિકે એક સંયુક્ત પત્રકાર પરિષદમાં અત્યંત ઉશ્કેરણીજનક નિવેદન આપતા જણાવ્યું છે કે, સિંધુ જળ સંધિ હેઠળ ઇસ્લામાબાદના હિસ્સાના પાણી પર દાવો કરનારાઓના "હાથ કાપી નાખવામાં આવશે."
પાડોશી દેશના વડાપ્રધાન પાણીનો નળ કંટ્રોલ કરે છે: મુસાદિક મલિક
માહિતી મંત્રી અતાઉલ્લા તારાર સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધતા મુસાદિક મલિકે આરોપ લગાવ્યો કે, ભારત પાકિસ્તાનનો પાણી પુરવઠો રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાની મીડિયા 'ડોન' ના અહેવાલ મુજબ મલિકે કહ્યું, "પાડોશી દેશના વડાપ્રધાન દ્વારા એક નળને કંટ્રોલ કરવામાં આવી રહ્યો છે. તેઓ કહે છે કે તેઓ પાકિસ્તાનમાં પાણીનું એક ટીપું પણ વહેવા નહીં દે. પરંતુ જે કોઈ અમારા પાણીના હિસ્સા પર દાવો કરશે, અમે તેના હાથ કાપી નાખીશું." અગાઉ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે પણ ધમકી આપી હતી કે જો પાકિસ્તાનની જળ સુરક્ષા જોખમાશે તો તેઓ ભારત સામે યુદ્ધ (War) કરતા પણ અચકાશે નહીં.
પાકિસ્તાને રાષ્ટ્રપ્રમુખ અને આર્મી ચીફની 'રેડ લાઈન' યાદ કરાવી
બીજી તરફ, પાકિસ્તાનના માહિતી મંત્રી અતાઉલ્લા તારારે આંતરરાષ્ટ્રીય કાયદાનો રાગ આલાપતા દાવો કર્યો હતો કે સિંધુ જળ સંધિ હજી પણ કાયદેસર રીતે બંધનકર્તા છે અને ભારત તેને એકતરફી રીતે સ્થગિત, રદ કે સુધારી શકે નહીં. તારારે કહ્યું કે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે વારંવાર જાહેર કર્યું છે કે "પાણી એ અમારી લાઈફલાઈન છે અને અમારી રેડ લાઈન પણ છે." આ વિવાદ વચ્ચે પાકિસ્તાન પોતાના કાયદાકીય પક્ષને મજબૂત કરવા માટે મંગળવારે ઇસ્લામાબાદમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય જળ સેમિનારનું આયોજન પણ કરી રહ્યું છે, જેમાં વિદેશી નિષ્ણાતો ભાગ લઈ રહ્યા છે.
"આતંકવાદ એક્સપોર્ટ કરનારા દેશને કોઈ વિશેષાધિકાર નહીં મળે" - ભારતનો જડબાતોડ જવાબ
ભારતે પાકિસ્તાનની આ તમામ દલીલો અને ધમકીઓને નકારી કાઢી છે અને પોતાના કડક વલણનો બચાવ કર્યો છે. યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ (UNHRC) ના 62મા સત્રમાં ભારતના પ્રથમ સચિવ અનુપમા સિંહે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતા કહ્યું કે, "નીતિ તરીકે આતંકવાદની નિકાસ કરતું રાજ્ય સદભાવના અને મિત્રતા પર આધારિત સહયોગના વિશેષાધિકારોની માંગણી ચાલુ રાખે તે તર્કહીન છે. વર્ષ 1960 માં વાટાઘાટો દ્વારા કરાયેલી આ સંધિને આજની વાસ્તવિકતાઓ અને જવાબદારીઓથી અલગ રાખી શકાય નહીં." ભારતે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી પાકિસ્તાન ક્રોસ-બોર્ડર આતંકવાદને સંપૂર્ણપણે અને અફર રીતે બંધ નહીં કરે, ત્યાં સુધી આ સંધિ સ્થગિત જ રહેશે.









