ઓમર અબ્દુલ્લાનો ભાજપ પર પાર્ટી તોડવાનો મોટો આરોપ, કહ્યું, 'અમારા MLAને 20-30 કરોડ અને મંત્રી પદની ઓફર કરાઈ'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Omar Abdullah Claims BJP Offered Rs 30 Crore To NC MLA : જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ભાજપ પર અત્યંત ગંભીર આરોપ લગાવ્યો છે. તેમનો દાવો છે કે 'ભાજપે તેમની સરકાર પાડવા માટે નેશનલ કોન્ફરન્સના એક ધારાસભ્યને 20થી 30 કરોડ રૂપિયા આપવાની લાલચ આપી હતી. સાથે જ પક્ષ બદલવાના બદલામાં તેમને મંત્રી પદ અને રાજ્યનો દરજ્જો બહાલ કરાવવાનો ભરોસો આપવામાં આવ્યો હતો'. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાનું કહેવું છે કે, તમામ હથકંડા અપનાવ્યા પછી પણ, ભાજપ તેમના એક પણ ધારાસભ્યને તોડી શકી નથી, તેથી કેન્દ્ર સરકારે તેમની શરાફત કે શાંતિને નબળાઈ સમજવાની ભૂલ બિલકુલ ન કરવી જોઈએ. આ મામલો સામે આવ્યા બાદ, રાજ્યના રાજકારણમાં ફરી એકવાર ભારે ગરમાગરમી જોવા મળી રહી છે.
શ્રીનગરના હઝરતબલમાં આયોજિત કાર્યકર્તા સંમેલનને સંબોધિત કરતા મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ જોરદાર ભડાસ કાઢી હતી. તેમણે મંચ પરથી દાવો કર્યો કે, જમ્મુના તેમના એક ધારાસભ્યને સુપ્રીમ કોર્ટના એક વકીલ મારફતે ઘણા મોટો પ્રલોભન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ આખી ઓફરમાં 20-30 કરોડ રૂપિયા કેશની સાથે-સાથે રાજ્યનો જૂનો દરજ્જો પરત અપાવવાનો ભરોસો પણ સામેલ હતો. જોકે, નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યોએ આ સોદાબાજીને સંપૂર્ણપણે ફગાવી દીધી. તેમનું સ્પષ્ટ કહેવું છે કે, જો ભાજપ ભવિષ્યમાં તેમના દરેક નેતાને 100 કરોડ રૂપિયાની પણ લાલચ આપે, તો પણ કોઈ પોતાની પાર્ટી છોડીને જવાનું નથી.
આખરે ક્યારે આવશે રાજ્યનો દરજ્જો પરત મળવાનો એ 'યોગ્ય સમય'?
ન્યૂઝ એજન્સી પીટીઆઇના જણાવ્યા અનુસાર, રેલી દરમિયાન સીએમ ઓમરે જમ્મુ-કાશ્મીરને ફરીથી પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો મુદ્દો ખૂબ જ આક્રમક અંદાજમાં ઉઠાવ્યો હતો. તેમણે કેન્દ્ર સરકારના એ જૂના નિવેદન પર આકરા પ્રહારો કર્યા, જેમાં વારંવાર 'યોગ્ય સમય' પર દરજ્જો બહાલ કરવાની વાત કહેવામાં આવે છે. તેમણે સવાલ પૂછ્યો કે, આખરે તે યોગ્ય સમય ક્યારે આવશે, તેનો કોઈ સ્પષ્ટ માપદંડ નક્કી છે ખરો? શું જનતાના લોકતાંત્રિક અધિકારો પરત આપવા માટે હજુ કંઈક બીજું કરવાનું બાકી રહી ગયું છે? તેમણે સ્પષ્ટ કહ્યું કે, લોકોએ ચૂંટણીમાં ઉત્સાહભેર ભાગ લીધો, નવી સરકાર પણ બની ગઈ, છતાં દિલ્હી પોતાનો વાદો પૂરો કરવામાં સતત વિલંબ કરી રહ્યું છે.
આ દરમિયાન ઓમર અબ્દુલ્લાએ કેન્દ્ર સરકારને ચેતવણી આપતાં કહ્યું કે, તેઓ હંમેશા વાતચીત દ્વારા પોતાના અધિકારો મેળવવાની તરફેણમાં રહ્યા છે, તેથી તેમની ધીરજને નબળાઈ સમજવાની ભૂલ ક્યારેય ન કરવી. તેમનું સ્પષ્ટ કહેવું છે કે, શાંતિ રાખવાનો અર્થ એ બિલકુલ નથી કે, તેઓ પોતાના હકનો અવાજ ઉઠાવવાનું છોડી દેશે. સાથે જ તેમણે કહ્યું કે, જો કેન્દ્ર સરકાર લદ્દાખના લોકો સાથે વાતચીત કરી શકે છે, તો જમ્મુ-કાશ્મીરના લોકો સાથે પણ વાત કરવી જોઈએ, જેથી વસ્તુઓ સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ શકે.
હાથ જ બાંધવા હતા, તો પછી ચૂંટણી કરાવવાનો શું ફાયદો હતો?
વહીવટી કામકાજમાં આવી રહેલી મુશ્કેલીઓને લઈને પણ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ઊંડી નારાજગી વ્યક્ત કરી હતી. તેમનો સીધો આરોપ છે કે, ચૂંટાયેલી સરકારને સંપૂર્ણ સ્વતંત્રતા સાથે નિર્ણયો લેવાની અને તેને જમીન પર ઉતારવાની તક આપવામાં આવી રહી નથી, પરંતુ તમામ નિયંત્રણ રાજભવન દ્વારા ચલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ દરમિયાન એ સવાલ પણ ઉઠાવવામાં આવ્યો કે, જો અધિકારીઓની મદદથી સરકારના હાથ પાછળ જ બાંધવા હતા, તો પછી રાજ્યમાં આટલા મોટા પાયે ચૂંટણી કરાવવાનો નાટક કરવાની શું જરૂર હતી? આ સાથે જ મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે, જનતાએ જે અપેક્ષા સાથે તેમને ચૂંટ્યા છે, તેઓ તેના માટે દિવસ-રાત મહેનત કરતા રહેશે.









