Odisha Ganjam Road Accident : ઓડિશાના ગંજમ જિલ્લામાં શુક્રવારે સર્જાયેલા એક ભયાનક માર્ગ અકસ્માતે સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. પુરુષોત્તમપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા લાડકાપલ્લી ચોક પાસે પૂરપાટ ઝડપે દોડતી બસે એક ઓટો-રિક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારતા છ શ્રદ્વાળુઓના મોત થયા છે. મળતી વિગતો અનુસાર એકજ પરિવારના 10થી વધુ સભ્યો એક ઓટો રિક્ષામાં બેસીને પ્રસિદ્ધ સિંહાસિની મંદિરે દર્શને જઈ રહ્યા હતા. આ દરમિયાન પુરુષોત્તમપુર નજીક એક ઝડપી બસે રિક્ષાને અડફેટે લેતા રિક્ષાના ફુરચા ઉડી ગયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. સ્થાનિક લોકો અને પોલીસ દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
હોસ્પિટલમાં વધુ ત્રણના મોત
ઘાયલ મુસાફરોને તાબડતોબ કોડાલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ વધુ ત્રણ લોકોને મૃત જાહેર કરતા મૃત્યુઆંક છ પર પહોંચ્યો છે. અન્ય ચાર ગંભીર રીતે ઘાયલ વ્યક્તિઓને વધુ સારવાર માટે MKCG મેડિકલ કોલેજ, બહેરામપુર (MKCG Medical College Berhampur) ખાતે રિફર કરવામાં આવ્યા છે. પુરુષોત્તમપુર પોલીસ મહાનિરીક્ષકે જણાવ્યું કે બસને કબજે કરી લેવાઈ છે અને અકસ્માત કયા સંજોગોમાં થયો તે જાણવા માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.


