Get The App

વધતી કિંમતો વચ્ચે શું દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત છે? ઓઈલ કંપનીઓએ આપી લેટેસ્ટ અપડેટ

Updated: May 23rd, 2026

GS TEAM

Google News
Google News
વધતી કિંમતો વચ્ચે શું દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત છે? ઓઈલ કંપનીઓએ આપી લેટેસ્ટ અપડેટ 1 - image

No Fuel Shortage in India: દેશમાં 10 દિવસની અંદર ત્રીજી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયા બાદ સામાન્ય જનતામાં અફરાતફરી અને અછતનો માહોલ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન દેશની સૌથી મોટી સરકારી તેલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL) એ શનિવારે એક મોટું નિવેદન જાહેર કરીને સ્પષ્ટતા કરી છે કે, દેશમાં પેટ્રોલ અને ડીઝલની કોઈ અછત નથી અને પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય છે.

કેમ જોવા મળી રહી છે પેટ્રોલ પંપો પર ભીડ? IOCL એ જણાવ્યું કારણ

કંપનીએ જણાવ્યું હતું કે, કેટલાક છૂટક પેટ્રોલ પંપો પર ઈંધણની જે અછત જોવા મળી રહી છે તે માત્ર સ્થાનિક અને અત્યંત કામચલાઉ છે. પ્રાદેશિક સ્તરે માંગ-પુરવઠામાં આવેલી અડચણો અને વેચાણની બદલાયેલી પદ્ધતિને કારણે આવું થયું છે. કંપનીના જણાવ્યા અનુસાર, હાલમાં પાકની લણણીની સીઝન હોવાથી ડીઝલના વપરાશમાં મોસમી વધારો થયો છે. આ ઉપરાંત પ્રાઈવેટ પંપો પર કિંમતો અપેક્ષા કરતાં વધુ હોવાને કારણે ગ્રાહકો સરકારી પંપો (PSU) તરફ વળ્યા છે, જેથી સરકારી આઉટલેટ્સ પર અચાનક ભીડ વધી ગઈ છે.

આંકડા જાહેર કરતા કંપનીએ કહ્યું કે, 1 થી 22 મે દરમિયાન દેશમાં પેટ્રોલના વેચાણમાં વાર્ષિક ધોરણે 14 ટકા અને ડીઝલના વેચાણમાં આશરે 18 ટકાનો મોટો ઉછાળો આવ્યો છે. આ વધેલી માંગને કંપની પૂરી કરવામાં સફળ રહી છે. આઇઓસી (IOC) ના 42000 થી વધુ ફ્યુઅલ સ્ટેશનોના વિશાળ નેટવર્કમાંથી માત્ર બહુ ઓછી સંખ્યામાં આઉટલેટ્સ પર સપ્લાય પ્રભાવિત થયો છે, જ્યારે બાકીના મોટાભાગના પંપો પર પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે.

વૈશ્વિક સંકટ વચ્ચે પણ ભારતમાં માત્ર ૫% નો વધારો

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, વૈશ્વિક તેલ સંકટ હોવા છતાં સરકાર અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ (OMCs) 76 દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધાર્યા નહોતા. 15, 19 અને 23 મેના રોજ ત્રણ તબક્કામાં કરાયેલા વધારા બાદ પણ ભારતમાં ઈંધણના ભાવમાં કુલ વધારો માત્ર ₹4.74  થી ₹4.82 પ્રતિ લીટર રહ્યો છે. દુનિયાના અન્ય દેશોમાં જ્યાં પેટ્રોલ-ડીઝલ 20% થી 90% સુધી મોંઘા થયા છે, ત્યાં ભારતમાં માત્ર ૫% જેટલો જ વધારો થયો છે. હાલમાં દેશમાં સૌથી મોંઘું પેટ્રોલ તેલંગાણા, કેરળ અને આંધ્રપ્રદેશમાં છે, જ્યારે સૌથી સસ્તું ઈંધણ ગુજરાત, યુપી, દિલ્હી, હરિયાણા, ગોવા અને આસામમાં મળી રહ્યું છે.

કેન્દ્ર સરકારે ટેક્સ ઘટાડીને ગ્રાહકોને આપી રાહત

રશિયા-યુક્રેન યુદ્ધ અને હોર્મુઝ સંકટ દરમિયાન દેશના ગ્રાહકોને વૈશ્વિક મોંઘવારીથી બચાવવા માટે કેન્દ્ર સરકારે માર્ચ 2026માં પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લીટર ₹10  ની એક્સાઈઝ ડ્યુટી ઘટાડી હતી, જ્યારે ડીઝલ પરની એક્સાઈઝ શૂન્ય પર લાવી દેવાઈ હતી. સરકારના જણાવ્યા અનુસાર, આ ટેક્સ કટના કારણે કેન્દ્ર તિજોરી પર ₹30000 કરોડનો સીધો બોજ પડ્યો છે. તેલ કંપનીઓને (OMCs) દરરોજ લગભગ ₹1000 કરોડનું નુકસાન થઈ રહ્યું હતું, જે મે મહિનામાં ભાવ વધાર્યા બાદ હવે ઘટીને ₹750 કરોડ પ્રતિ દિવસ થયું છે.