India

NEET પેપર લીક વિવાદ : ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે, સરકારનો સ્પષ્ટ સંદેશ

By GS Team
24 Jul 20262 mins read
TukuTouch Logo
NEET પેપર લીક વિવાદે દેશભરમાં ખળભળાટ મચાવ્યો છે. વિપક્ષ અને CJP કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ કરી રહ્યા છે. જોકે, સરકારી સૂત્રોનું કહેવું છે કે પ્રધાન રાજીનામું નહીં આપે. સરકારે NTAની ખામીઓ ઓળખી સુધારા કરવાનું શરૂ કર્યું છે. વડાપ્રધાને પેપર લીક સામે કડક કાયદો લાવવાની જાહેરાત કરી છે. સરકારનું લક્ષ્ય પરીક્ષા પ્રણાલીને પારદર્શક બનાવવાનું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

NEET પેપર લીક વિવાદ : ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે, સરકારનો સ્પષ્ટ સંદેશ

Dharmendra Pradhan : NEET પેપર લીક વિવાદને લઈને CJP અને વિરોધ પક્ષ દ્વારા કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ ઉગ્ર બનતી જઈ રહી છે. જોકે, સરકારના સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપશે નહીં અને સરકાર આને સમસ્યાનો ઉકેલ માનતી નથી. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારનું માનવું છે કે રાજીનામું આપવું સૌથી સરળ રસ્તો હોઈ શકે, પરંતુ તેનાથી પરીક્ષા વ્યવસ્થાની ખામીઓ દૂર થતી નથી. જનતાએ સરકારને જવાબદારી સોંપી છે અને સરકાર હવે પરીક્ષા પ્રણાલીને વધુ પારદર્શક અને વિશ્વસનીય બનાવવા માટે જરૂરી સુધારા કરશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સમગ્ર સરકાર અને શાસક પક્ષ ધર્મેન્દ્ર પ્રધાનની સાથે છે.

સરકારે National Testing Agency(NTA)માં રહેલી ખામીઓની ઓળખ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ ખામીઓની વિગતવાર યાદી તૈયાર કરીને તેને ઝડપથી દૂર કરવા માટે જરૂરી પગલાં લેવામાં આવશે. સાથે જ પેપર લીક કૌભાંડમાં સામેલ અનેક ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો હોવાનું અને તપાસ એજન્સીઓ આગામી દિવસોમાં વધુ કડક કાર્યવાહી કરશે તેમ પણ જણાવાયું છે.

આ દરમિયાન શુક્રવારે વિઠ્ઠલભાઈ પટેલ હાઉસ ખાતે કેન્દ્રીય પ્રધાન જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ સાથે CJPના પ્રતિનિધિઓની બેઠક યોજાઈ હતી. બેઠકમાં CJPએ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું પોતાની નોન-નેગોશિએબલ માગ ગણાવતાં કહ્યું કે આ મુદ્દે કોઈ સમાધાન નહીં થાય. ઉપરાંત, 'સંસદ ચલો' માર્ચ દરમ્યાન થયેલી કથિત પોલીસ કાર્યવાહીને લઈને કેન્દ્ર સરકાર, RAF અને દિલ્હી પોલીસ કમિશનર પાસે જાહેર માફીની પણ માગ કરવામાં આવી.

CJPએ NEET પરીક્ષા રદ થયા બાદ આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારને એક-એક કરોડ રૂપિયાનું વળતર, દેખાવકારો સામે નોંધાયેલી FIR પાછી ખેંચવા અને પરીક્ષા સુધારા માટે પાંચ મુદ્દાની માગ પણ રજૂ કરી છે. સરકાર અને CJP વચ્ચે વાતચીત ચાલુ છે, પરંતુ બંને પોતાના વલણ પર અડગ છે. બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેપર લીક સામે કડક કાયદો લાવવા સંસદમાં બિલ રજૂ કરવાની જાહેરાત કરી છે. સરકારનું કહેવું છે કે તેનું મુખ્ય લક્ષ્ય મંત્રી બદલવાનું નહીં, પરંતુ દેશની પરીક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત અને વિશ્વસનીય બનાવવાનું છે.