Get The App

‘ડાયપર દાન કરો’ અભિયાન! NEET પેપર લીક વિરૂદ્ધ કોકરોચ જનતા પાર્ટીનો અનોખો વિરોધ, શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ

Updated: Jun 23rd, 2026

GS TEAM

Google News
Google News
‘ડાયપર દાન કરો’ અભિયાન! NEET પેપર લીક વિરૂદ્ધ કોકરોચ જનતા પાર્ટીનો અનોખો વિરોધ, શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ 1 - image

Cockroach Janta Party Jantar Mantar Protest : NEET-UG પેપર લિક વિવાદ અને દેશની શિક્ષણ વ્યવસ્થાના કથિત ખામીઓને લઈને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રેહેલી કૉકરોચ જનતા પાર્ટી (CJP) આક્રમક મૂડમાં છે અને CJPએ દિલ્હીના જંતર-મંતર મેદાન પર ચોથા દિવસે પણ દેખાવો ચાલુ રાખ્યા છે. પાર્ટીએ વિરોધ પ્રદર્શન દરમિયાન આજે સાંજે 6.00 કલાકે ‘ડાયપર દાન કરો’ અભિયાનની જાહેરાત કરી છે અને નારાનું નામ ‘ડાયપર અ ડે, કીપ્સ લીક્સ અવે’ (દૈનિક એક ડાયપર, લીકેજથી બચાવ) રાખવામાં આવ્યું છે.

‘ડાયપર કંપની ગેરંટી આપે છે તો પછી...’

પ્રદર્શનમાં સામેલ દેખાવકારોએ કહ્યું કે, જ્યારે 12 રૂપિયામાં એક ડાયપર બનાવતી કંપની ‘લીકેજ નહીં થાય’ તેવી સંપૂર્ણ ગેરંટી આપે છે, તો પછી NTA અને શિક્ષણ મંત્રાલય દેશની સૌથી મોટી પરીક્ષામાં પેપર લીક કેમ અટકાવી શકતા નથી?

આંદોલન કરનારાઓને પોલીસ પર ગંભીર આક્ષેપ

બીજીતરફ આંદોલન કરનારા લોકોએ આક્ષેપ કર્યો છે કે, દિલ્હી પોલીસે વિરોધ પ્રદર્શનની જગ્યા નાની કરવા માટે આડા મૂકેલા બેરિકેડ્સ ખસેડવાની કોશિશ કરી હતી. આ લોકોનું કહેવું છે કે, પોલીસ ગમે તેમ કરીને દેખાવકારો માટેની જગ્યા ઘટાડવા માંગતી હતી. આ સાથે જ તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે, પોલીસવાળાએ તેમને તે જગ્યા પર એક ટ્રક લાવતા પણ રોક્યા હતા.

આ પણ વાંચો : લખનઉ અગ્નિકાંડ: પપ્પા મને બચાવી લો... મોત સામે ઝઝૂમતા વિદ્યાર્થીનો છેલ્લો ફોન કોલ

CJPએ ઉમેદવારોને ફરિયાદો કરવા માટે બનાવ્યો પ્લાન

CJPએ સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, અમારા સમર્થકો આખી રાત પ્રદર્શન સ્થળે રહ્યા અને તેમણે આંદોલન સ્થળ મર્યાદિત કરવાના પોલીસના પ્રયાસનો વિરોધ કર્યો. CJPએ એવી પણ જાહેરાત કરી છે કે, વિરોધ પ્રદર્શનનો એક દિવસ UPSC અને SSCના ઉમેદવારો સમર્પિત કરાશે, જેમાં જંતર મંતરના મંચ પરથી તેઓને ફરિયાદો બોલવા માટે બોલાવાશે.

રાજીનામા બાદ આંદોલન બંધ કરીશું

CJPએ 6 જૂને પ્રથમ વિરોધ પ્રદર્શનની શરૂઆત કરી હતી, ત્યારપછી તેઓ 20 જૂનથી જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમણે ચિમકી આપી છે કે, જ્યાં સુધી શિક્ષણ મંત્રી રાજીનામું નહીં આપે, ત્યાં સુધી આંદોલન ચાલુ રાખશે.

આ પણ વાંચો : ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તોડ્યા બાદ શિંદેએ ફડણવીસનું જ ટેન્શન વધાર્યું! મંચ પરથી જ 2029 અંગે મોટી જાહેરાત