Get The App

ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તોડ્યા બાદ શિંદેએ ફડણવીસનું જ ટેન્શન વધાર્યું! મંચ પરથી જ 2029 અંગે મોટી જાહેરાત

Updated: Jun 23rd, 2026

GS TEAM

Google News
Google News
Eknath Shinde BJP rift
(IMAGE - IANS)

Eknath Shinde BJP rift: મહારાષ્ટ્રના રાજકારણમાં 'ઓપરેશન ટાઇગર' પૂરું થતાંની સાથે જ હવે એ સવાલ તેજ બન્યો છે કે રાજ્યના અસલી ટાઇગર કોણ છે? એકનાથ શિંદેએ જોરદાર શક્તિપ્રદર્શન કરીને ઉદ્ધવ ઠાકરે જૂથના 6 સાંસદોને પોતાની પાર્ટીમાં સામેલ કરી દીધા છે, એટલું જ નહીં તેમના વધુ ત્રણ ધારાસભ્યો પણ શિંદેના સંપર્કમાં હોવાની ચર્ચા છે. જોકે, આ જ મંચ પરથી એકનાથ શિંદેએ એક એવી જાહેરાત કરી દીધી છે જેને દેવેન્દ્ર ફડણવીસ અને મહાયુતિ ગઠબંધન માટે મોટો પડકાર માનવામાં આવી રહ્યો છે. શિંદેએ આ તમામ 6 સાંસદોને પાર્ટીમાં સામેલ કરવાની સાથે જ આગામી ચૂંટણી માટે તેમની ટિકિટ પણ કન્ફર્મ કરી દીધી છે.

બેઠકોની વહેંચણી પર ભાજપ અને શિંદે સેના આમને-સામને

વાત માત્ર ટિકિટની નથી, પરંતુ ઓમરાજે નિમ્બાલકરની ધારાશિવ બેઠક, સંજય જાધવની પરભણી અને સંજય દીના પાટિલની ઉત્તર-પૂર્વ મુંબઈ બેઠક હાલ મહાયુતિમાં ભાજપ અને NCPના કબજામાં છે. આ બેઠકો પર ભાજપ મજબૂત હોવા છતાં, એકનાથ શિંદેએ પૂરા આત્મવિશ્વાસ સાથે જાહેરાત કરી છે કે 2029ની લોકસભા ચૂંટણીમાં આ તમામ નેતાઓ શિવસેનાની ટિકિટ પર જ ચૂંટણી લડશે. શિંદેના આ નિર્ણયથી સીધો ભાજપની બેઠકો પર દાવો કરાયો છે, જેના કારણે હવે એ સવાલ ઊભો થયો છે કે શું દેવેન્દ્ર ફડણવીસ આ બેઠકો શિંદે સેનાને આપવા તૈયાર થશે?

પક્ષની અંદર અને ગઠબંધનમાં ટકરાવ વધવાની આશંકા

બીજી તરફ, શિરડીના સાંસદ ભાઉસાહેબ વાકચૌરે શિંદે સેનામાં સામેલ થતાં અને આગામી ચૂંટણી લડવાની જાહેરાત થતાં હવે સદાશિવ લોખંડે શું કરશે તેવો મોટો સવાલ ઊભો થયો છે. હિંગોલીથી જીતેલા હેમંત પાટિલના કિસ્સામાં પણ આવી જ ગૂંચવણ ઊભી થઈ છે, કારણ કે શિંદેએ નાગેશ પાટિલ અષ્ટિકરને 2029 માટે ટિકિટ જાહેર કરીને હેમંત પાટિલ માટે મુશ્કેલીઓ વધારી દીધી છે.

આ પણ વાંચો: CBSE બોર્ડની ઘોર બેદરકારી ઉઘાડી પડી: પેપર ફરી ચેક થતાં જ વિદ્યાર્થિનીના 500માંથી 500 માર્ક્સ આવ્યા!

ભાજપ અને NCP સાથે શિંદેનો રાજકીય દાવ

એકનાથ શિંદેએ NCPના કબજાવાળી ધારાશિવ બેઠક અને ભાજપના વર્ચસ્વવાળી પરભણી તથા ઉત્તર-પૂર્વ મુંબઈ લોકસભા બેઠક પર પોતાનો દાવો કરીને બંને પક્ષોની ચિંતા વધારી દીધી છે. હવે જોવાનું એ રહેશે કે ભવિષ્યમાં આ બેઠકોની અદલાબદલી (સીટ શેરિંગ) થશે, કે પછી એકનાથ શિંદેએ માત્ર પક્ષમાં સામેલ થયેલા નવા સાંસદોનો ઉત્સાહ વધારવા માટે જ આ જાહેરાત કરી છે! આ તો આગામી સમય જ બતાવશે.