UCC મુદ્દે NDAમાં મતભેદ! 21 રાજ્યોમાં લાગુ કરવાની વાત બાદ JDU નારાજ, કહ્યું- ‘પહેલા બધા પક્ષો સાથે ચર્ચા તો કરો...’
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

JDU On UCC : યુનિફોર્મ સિવિલ કોડ (UCC) ને લઈને NDA ગઠબંધનની અંદર રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુંબઈમાં એક પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું હતું કે 2029 પહેલાં NDAના તમામ 21 રાજ્યોમાં UCC લાગુ કરવામાં આવશે. આ નિવેદન બાદ ભાજપના મહત્વના સહયોગી પક્ષ જનતા દળ યુનાઇટેડ (JDU)એ પોતાનું વલણ સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે આટલા સંવેદનશીલ મુદ્દે તમામ પક્ષો અને સમુદાયો સાથે વ્યાપક ચર્ચા-વિચારણા થવી ખૂબ જરૂરી છે.
ચર્ચા વગર UCCની વાત કરાતા JDU નારાજ!
ગૃહમંત્રીના નિવેદન બાદ JDUના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ સંજય ઝા ટૂંક સમયમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે વાતચીત કરશે. પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ રંજને પુષ્ટિ કરી છે કે સંજય ઝા આ મુદ્દે ગૃહમંત્રી સામે JDUની ચિંતાઓ અને વિચારો રજૂ કરશે. પાર્ટીનું કહેવું છે કે તેઓ UCC અંગેની ચર્ચાના વિરોધમાં નથી, પરંતુ યોગ્ય વિચાર-વિમર્શ વિના તેને સીધું લાગુ કરવા સામે તેમનો વાંધો છે.
નીતીશ કુમારના જૂના પત્રનો સંદર્ભ
પટનામાં JDU નેતા નીરજ કુમારે જણાવ્યું હતું કે UCC અંગે પક્ષનું વલણ પહેલેથી સ્પષ્ટ છે. જ્યારે નીતીશ કુમાર બિહારના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે આ સંદર્ભે કાયદા પંચને પત્ર લખ્યો હતો અને તે પત્ર આજે પણ પાર્ટી માટે માર્ગદર્શક સિદ્ધાંત છે. તેમણે જણાવ્યું કે ડૉ. બાબાસાહેબ આંબેડકરે તમામને અધિકાર આપ્યા છે અને UCCના કારણે દેશના કોઈપણ સમુદાયની લાગણી દુભાવી ન જોઈએ. અત્યાર સુધી કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે કોઈ સત્તાવાર ડ્રાફ્ટ પણ જાહેર કરવામાં આવ્યો નથી કે કોઈ રાજ્યએ આ મુદ્દે કોઈ નિર્ણય લીધો નથી, જેથી પાર્ટી પોતાના જૂના વલણ પર કાયમ છે.
તમામ પક્ષો સાથે સંવાદ જરૂરી: શ્યામ રજકનું નિવેદન
JDUના નેતાઓનું માનવું છે કે UCC પર આગળ વધતાં પહેલાં તમામ ધર્મોના પ્રતિનિધિઓ, ધાર્મિક લઘુમતીઓ, રાજ્ય સરકારો અને અન્ય હિતધારકો સાથે ખુલ્લી ચર્ચા થવી જોઈએ. પક્ષના નેતા શ્યામ રજકે નીતીશ કુમારના જૂના વલણને દોહરાવતા કહ્યું કે પક્ષના નેતા નીતીશ કુમારે અગાઉ સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ બિલના સમર્થનમાં છે, પરંતુ પોતાના રાજ્યમાં તેને લાગુ થવા દેશે નહીં. પાર્ટી આજે પણ તે જ વલણ પર અડગ હોવાનું શ્યામ રજકે જણાવ્યું. આ ઉપરાંત ઝારખંડના મંત્રી સંજય પ્રસાદ યાદવે પણ જણાવ્યું છે કે રાજકારણમાં કોઈપણ બાબતે ઉતાવળ કરવાની જરૂર નથી, સરકાર દરેક પાસાં પર નજર રાખી રહી છે અને પૂરા અભ્યાસ બાદ જ નિર્ણય લેવાશે.
કોંગ્રેસનો ભાજપ પર પ્રહાર: બેરોજગારી અને અર્થતંત્ર પરથી ધ્યાન ભટકાવવાનો આરોપ
અમિત શાહના નિવેદન સામે વિપક્ષ કોંગ્રેસે પણ આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ આરોપ લગાવ્યો કે ભાજપ છેલ્લા 12 વર્ષથી મુસ્લિમો વિરોધી નિર્ણયો લઈ રહી છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે શું UCC લાગુ થવાથી દેશની આર્થિક સ્થિતિ સુધરશે, બેરોજગારી દૂર થશે કે પછી પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે? તેમણે વધુમાં જણાવ્યું કે હાલમાં હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તીઓ માટે અલગ પર્સનલ લો છે. તેમણે 21 રાજ્યોમાં UCC લાગુ કરવાની વાત પર પણ સવાલ ઉઠાવતાં કહ્યું કે ભાજપનું ધ્યાન દેશના મૂળ પ્રશ્નો પર નથી.
શું છે સમગ્ર મામલો અને UCCનો અર્થ?
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે કેટલાક રાજ્યોમાં UCC લાગુ થઈ ચૂક્યું છે અને 2029 પહેલાં NDAના તમામ 21 રાજ્યોમાં તેને લાગુ કરી દેવામાં આવશે. UCC હેઠળ લગ્ન, છૂટાછેડા, વારસો અને દત્તક લેવા જેવા મામલાઓ માટે ધર્મથી અલગ એક સમાન વ્યક્તિગત કાયદાની વ્યવસ્થા કરવામાં આવે છે. ભાજપ સામે હવે પોતાના સહયોગી પક્ષોને સાથે રાખવાનો પડકાર છે. JDU ઉપરાંત TDPએ પણ અગાઉ UCCના ડ્રાફ્ટ પર વ્યાપક ચર્ચા અને બહેસની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ભાજપ ઉત્તરાખંડ મોડેલનું ઉદાહરણ આપીને સાથી પક્ષો સાથે સંવાદ જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે.




