India

તિરુપતિના પ્રસાદમાં મટન ટેલો, ફિશ ઓઇલની ભેળસેળથી હોબાળો

By GS Team
20 Sep 20242 mins read
This article was originally published on 20 Sep 2024
તિરુપતિના પ્રસાદમાં મટન ટેલો, ફિશ ઓઇલની ભેળસેળથી હોબાળો

- જગનના વિરોધમાં બહેન શર્મિલા: લાડુમાં મિલાવટના કૌભાંડની સીબીઆઈ તપાસની માગ

- જગનની વાયએસઆરસીપી સરકારમાં લોકોની ધાર્મિક લાગણી પર કુઠારાઘાતનો સીએમ ચંદ્રબાબુનો આરોપ   

હૈદરાબાદ : આંચકાજનક પર્દાફાશમાં તિરુપતિ દેવસ્થાનના તિરુપતિ મંદિરના પવિત્ર પ્રસાદમાં મટન ટેલો, માછલીનું તેલ અને પામ તેલ, ડુક્કરની ચરબીનો ઉપયોગ થતો હોવાનું પ્રકાશમાં આવતા હોબાળો મચી ગયો છે. આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડુએ બુધવારે આરોપ મૂક્યો હતો કે  વાયએસઆરસીપીની સરકારમાં તિરુપતિના લાડુના પવિત્ર પ્રસાદ બનાવવામાં ઉપયોગમાં લેવાતા ઘીમાં પ્રાણીજન્ય ચરબીવાળા ઘી સહિતના અશુદ્ધ તત્વોનો ઉપયોગ થતો હતો, પણ અમારી સરકાર આવતા અમે આ બધું સુધારી દીધું છે. 

તેની સાથે તેમણે જગન સરકારે લોકોની ધાર્મિક લાગણી પર કુઠારાઘાત કરવાનો આરોપ મૂક્યો હતો. જો કે જગનની પાર્ટી વાયએસઆરપીએ આ દાવાને નકારી કાઢ્યો હતો. આ લેબ ટેસ્ટ ગુજરાતની લેબમાં કરાવવામાં આવ્યો હતો.નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ ઘએનડીડીબી)ની ગુજરાતની સેન્ટર ફોર એનાલિસિસિ એન્ડ લર્નિંગ ઇન લાઇવસ્ટોક એન્ડ ફૂડે આ રિપોર્ટ આપ્યો હતો.  તિરુપતિ પ્રસાદમાં આ પ્રકારની મિલાવટ જગનની વાયએસઆરપી સરકારના કાર્યકાળમાં થઈ હતી. ઉલ્લેખનીય છે કે વર્ષે કરોડો લોકો તિરુપતિ મંદિરની મુલાકાતે આવે છે. 

તિરુપતિના લાડુનું વિતરણ તિરુપતિના શ્રી લેંકટેશ્વરા મંદિરે થાય છે. તેનું સંચાલન તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટ (ટીટીડી) કરે છે. બુધવારે એનડીએની બેઠકમાં ચંદ્રાબાબુ નાયડુએ દાવો કર્યો હતો કે તિરુપતિ મંદિરના લાડુ ઉતરતી ગુણવત્તાવાળા તત્વોથી બનાવવામાં આવતા હતા. આમ કરીને લોકોની ધાર્મિક લાગણી સાથે રમત રમવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે તિરુપતિ મંદિરમાં રોજના ત્રણ લાખ લાડવા બને છે અને તેના દર છ મહિને ટેન્ડર બહાર પાડવામાં આવે છે. 

રાજ્યના આઇટી પ્રધાન નારા લોકેશે આ મુદ્દે વાયએસ જગન મોહન રેડ્ડી સરકારની ઝાટકણી કાઢી હતી. લોર્ડ વેંકટશ્વરા સ્વામિ મંદિર આપણું સૌથી પવિત્ર મંદિર છે. મને તે જાણી આંચકો લાગ્યો કે વાયએસ જગનમોહન રેડ્ડીનું તંત્ર તિરુપતિના પ્રસાદમમાં ઉપયોગમાં લેવાતા ઘીમાં પ્રાણીજન્ય ચરબીનો ઉપયોગ કરતું હતું. 

તેની સામે વાયએસઆરસીપીએ દાવો કર્યો છે કે ટીડીપી ફક્ત રાજકીય માઇલેજ મેળવવા માટે આ પ્રકારના આક્ષેપ કરી રહી છે. પક્ષનો દાવો છે કે આ પ્રકારના નિવેદનો કરીને નાયડુએ પોતે કરોડો લોકોની લાગણી પર કુઠારાઘાત કર્યો છે. પક્ષના આગેવાન સુબ્બા રેડ્ડીએ લખ્યું હતું કે આ ફરીથી પુરવાર થયું છે કે નાયડુ તેમના રાજકીય ફાયદા માટે કોઈપણ પ્રકારની પગલું ભરતાં અચકાશે નહીં. 

જ્યારે કોંગ્રેસે પણ આ બાબતને લઈને અગાઉની વાયએસઆર કોંગ્રેસની સરકારની ઝાટકણી કાઢી હતી. ભૂતૂપર્વ મુખ્યપ્રધાનની બહેન અને કોંગ્રેસની પક્ષપ્રમુખે ઉચ્ચસ્તરીય સીબીઆઈ તપાસની માંગ કરી હતી. તેણે જણાવ્યું હતું કે કરોડો લોકોની આસ્થા સાથે રમત રમાઈ છે અને જો અગાઉની સરકારને એમ લાગતું હોય કે તેમણે કશું ખોટું કર્યું નથી તો તેમણે સીબીઆઈ તપાસનો સામનો કરવો જોઈએ.