આણંદના ઉમેટા નજીક રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં ડૂબી જતાં બે બાળકોના મોત, રજાઓની ખુશી શોકમાં ફેરવાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Anand News: આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાં આવેલા ઉમેટા નજીકના એક રિસોર્ટમાં શનિ-રવિની રજાઓ માણવા આવેલા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં નાહવા પડેલા બે માસૂમ બાળકો ડૂબી જતાં બંનેના કરુણ મોત નીપજ્યા હતા. આ કરુણ ઘટનાને પગલે અરેરાટી વ્યાપી ગઈ છે.
વડોદરાથી શનિ-રવિની રજા માણવા આવ્યો હતો પરિવાર
મળતી માહિતી મુજબ, શનિ-રવિની રજાઓ માણવા માટે વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાંથી એક પરિવાર ઉમેટા નજીક આવેલા 'કામધેનુ રિસોર્ટ' ખાતે આવ્યો હતો. પરિવારજનો રિસોર્ટમાં રોકાયા હતા. આ દરમિયાન બંને બાળકો રમતાં રમતાં સ્વિમિંગ પૂલમાં નાહવા માટે પડ્યા હતા. નાહતી વખતે અચાનક ઊંડા પાણીમાં ઉતરી જવાથી બંને બાળકો ડૂબવા લાગ્યા હતા.
બાળકો પૂલમાં ડૂબી રહ્યા હોવાની જાણ થતાં જ માતા-પિતા બંને બાળકોને સ્વિમિંગ પૂલમાંથી બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતાં પોલીસની મદદથી તાત્કાલિક બંને બાળકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ ચકાસણી બાદ બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા.









