Get The App

પિતા ગુજરાતમાં મજૂરી કરતા રહ્યા અને માતાએ 3 દીકરીઓને ઝેર પીવડાવી આપઘાતનો કર્યો પ્રયાસ

Updated: Feb 14th, 2026

GS TEAM

Google News
Google News
પિતા ગુજરાતમાં મજૂરી કરતા રહ્યા અને માતાએ 3 દીકરીઓને ઝેર પીવડાવી આપઘાતનો કર્યો પ્રયાસ 1 - image


Envato Image


Madhya pradesh 3 Girl Died News : મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લામાંથી એક અત્યંત આઘાતજનક અને કમકમાટીભરી ઘટના સામે આવી છે. અહીં એક માતાએ પોતાની ત્રણ માસૂમ દીકરીઓને પરાણે ઝેર પીવડાવ્યા બાદ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. આ કરૂણ ઘટનામાં ત્રણેય બાળકીઓના મોત નિપજ્યા છે, જ્યારે માતાની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

ત્રણ માસૂમે ગુમાવ્યા જીવ 

અલીરાજપુર જિલ્લાના એક આદિવાસી વિસ્તારમાં શુક્રવારે રાત્રે એક હૃદયદ્રાવક ઘટના બની છે. અડવાડા ગામના માફીદાર ફલિયામાં રહેતી એક મહિલાએ કથિત રીતે તેની ત્રણ નાની દીકરીઓને કીટનાશક (ઝેર) પીવડાવ્યા બાદ પોતે પણ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં 7 વર્ષ, 5 વર્ષ અને 3 વર્ષની એમ ત્રણેય માસૂમ બહેનોના કરૂણ મોત થયા છે, જ્યારે મહિલાની હાલત અત્યંત નાજુક હોવાથી તેની સારવાર ચાલી રહી છે.

પોલીસ અધિકારીએ આપી માહિતી 

અંબુઆ પોલીસ સ્ટેશનના પ્રભારી મોહન ડાવરના જણાવ્યા અનુસાર, આરોપી મહિલાએ તેની દીકરીઓ સાવિત્રી, કાર્તિકા અને દિવ્યાને પરાણે ઝેર પીવડાવ્યું હતું અને ત્યારબાદ પોતે પણ તે પી લીધું હતું. પરિવારજનોને આ બાબતની જાણ થતા જ ચારેયને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં જ એક બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી. અન્ય બે બાળકીઓની હાલત વધુ બગડતા તેમને ગુજરાતના દાહોદ રિફર કરવામાં આવી હતી, પરંતુ કમનસીબે રસ્તામાં જ તેમણે દમ તોડી દીધો હતો.

તપાસમાં થયો ખુલાસો 

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, ઘટના સમયે મહિલાનો પતિ છેલ્લા એક મહિનાથી મજૂરીકામ અર્થે ગુજરાતમાં હતો. પ્રાથમિક તપાસમાં પોલીસ આને ઘરેલું ઝઘડાનો મામલો માની રહી છે, પરંતુ હજુ સુધી ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. પોલીસે ગુનો નોંધીને મૃત બાળકોના પિતા અને અન્ય સંબંધીઓની પૂછપરછ શરૂ કરી છે. આ ખૌફનાક કદમ પાછળનું અસલી કારણ શું હતું તે જાણવા માટે પોલીસ તમામ પાસાઓ પર તપાસ કરી રહી છે.