Meenakshi Natarajan Nomination Cancelled : મધ્ય પ્રદેશમાં રાજ્યસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ પક્ષને બહુ મોટો રાજકીય ફટકો લાગ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા નોંધાવવામાં આવેલા સત્તાવાર વાંધા બાદ ચૂંટણી અધિકારીએ કોંગ્રેસના ઉમેદવાર મીનાક્ષી નટરાજન (Meenakshi Natarajan)નું નામાંકન પત્ર (ચૂંટણી ફોર્મ) રદ કરી દીધું છે. આ ઘટનાક્રમ બાદ હવે રાજ્યની ત્રણેય રાજ્યસભા બેઠકો પર ભાજપની દાવેદારી મજબૂત થઈ ગઈ છે, અને તેના ત્રણેય ઉમેદવારો બિનહરીફ (Uncontested) ચૂંટાઈ આવે તેવી પૂરેપૂરી સંભાવના છે.
મળતી માહિતી મુજબ, મીનાક્ષી નટરાજન દ્વારા ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ ભાજપે તેમની સામે ગંભીર વાંધો ઉઠાવ્યો હતો. ભાજપના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે, નટરાજને તેલંગાણામાં પોતાની વિરુદ્ધ નોંધાયેલા એક ગુનાહિત કેસની માહિતી સોગંદનામામાં (Affidavit) જાણી જોઈને છુપાવી હતી. આ ઉપરાંત, સોગંદનામામાં તેમની મિલકતો અને બેંક બેલેન્સની વિગતો પણ સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવી નહોતી. ચૂંટણી નિયમો અનુસાર, દરેક ઉમેદવારે પોતાના ગુનાહિત કેસ, મિલકત, આવક અને લોનની તમામ વિગતો સંપૂર્ણ પારદર્શિતા સાથે જાહેર કરવી ફરજિયાત હોય છે.
સત્ય અને ઈમાનદારીની જીત થઈ: રાકેશ સિંહ (ભાજપ)
કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ થવા અંગે ભાજપના વરિષ્ઠ નેતા રાકેશ સિંહે જણાવ્યું કે, 'તેમણે જાણી જોઈને હકીકતો છુપાવી હતી. ફોર્મ અધૂરું હતું, અને તેમાં ખોટી માહિતી આપવામાં આવી હતી. આ તમામ મુદ્દાઓ પર તેમને (મીનાક્ષી નટરાજનને) પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરી તક આપવામાં આવી હતી, અને બંને પક્ષોએ પોતપોતાની દલીલો રજૂ કરી હતી. પરંતુ, તેમના નામાંકન ફોર્મમાં ગંભીર ખામીઓ હોવાના કારણે અને તેલંગાણાના કેસની વિગતો છુપાવવાના કારણે રિટર્નિંગ ઓફિસરે તેમનું ફોર્મ ફગાવી દીધું છે. આથી, અમે કહી શકીએ કે આજે સત્ય અને ઈમાનદારીની જીત થઈ છે.'
તેવી જ રીતે, રાજ્ય સરકારના મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે, 'આ ન્યાયની જીત છે. અમારા કાર્યકર્તા મહેશ કેવટને આશીર્વાદ મળ્યા છે. ભાજપ લોકશાહીમાં વિશ્વાસ રાખે છે. જો ચૂંટણી ન થઈ હોત તો પણ અમારા ઉમેદવાર રાજ્યસભાના સભ્ય બનવાના જ હતા, અને જો ચૂંટણી થાત તો પણ તેઓ જીતવાના જ હતા. પરંતુ કોંગ્રેસની આંતરિક સ્થિતિ કેવી છે, તે તમે સમજી શકો છો. અમને તેલંગાણાના જે દસ્તાવેજો મળ્યા તે કોણે આપ્યા? તેલંગાણામાં તો કોંગ્રેસની જ સરકાર છે. નક્કી અમને કોંગ્રેસના જ લોકોએ આ માહિતી આપી હશે, આજે કોંગ્રેસની આવી દયનીય સ્થિતિ છે'
ભાજપ પોતાની હારનો ડર છુપાવી રહ્યું છે: મયંક રામ (કોંગ્રેસ)
બીજી તરફ, નામાંકન રદ થવા અંગે નારાજગી વ્યક્ત કરતા મધ્ય પ્રદેશના કોંગ્રેસ નેતા મયંક રામ નારાયણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે લખ્યું કે, 'ભાજપનું 'નારી શક્તિ વંદન અભિનંદન' હવે દેશની સામે આવી ગયું છે. સંખ્યાબળના જોરે નહીં પરંતુ સત્તાના બળ પર રાજનીતિ કરનારી ભાજપ હવે રાજ્યસભા ચૂંટણીમાં પણ લોકશાહીને પ્રભાવિત કરવા પર ઉતરી આવી છે. જ્યારે કોંગ્રેસના તમામ ધારાસભ્યો એકજૂથ દેખાયા, ત્યારે મીનાક્ષી નટરાજનજીના નામાંકન પર ખોટા વાંધા ઉઠાવીને ભાજપ પોતાની હારનો ડર છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.'


