Get The App

24 યુવતીઓ સાથે સંબંધો અને વીડિયો... IIT એન્જિનિયરે બાબા બનીને ધર્મના નામે ફેલાવી જાળ!

Updated: Jun 5th, 2026

GS TEAM

Google News
Google News
24 યુવતીઓ સાથે સંબંધો અને વીડિયો... IIT એન્જિનિયરે બાબા બનીને ધર્મના નામે ફેલાવી જાળ! 1 - image

IITian Baba Arrest: ઉત્તર પ્રદેશના મથુરામાંથી ધરપકડ કરાયેલા IIT રૂર્કીના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલ આધ્યાત્મિક પ્રવચનકાર તરીકે ઓળખાતા અભિષેક મિશ્રાને લઈને પોલીસ તપાસમાં અત્યંત ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આરોપી અભિષેકે ધાર્મિક અને આધ્યાત્મિક માર્ગદર્શનના નામે આશરે 24 યુવતીઓ સાથે સંબંધો બાંધ્યા હોવાના દાવા સામે આવ્યા છે. એક પીડિતાની સત્તાવાર ફરિયાદના આધારે કેસ નોંધાયા બાદ ગોવર્ધન વિસ્તારમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે.

શિક્ષિત યુવતીઓ બની શિકાર, ‘ગંધર્વ વિવાહ’ના નામે શોષણ

પોલીસ તપાસમાં સૌથી આશ્ચર્યજનક બાબત એ સામે આવી છે કે આરોપીના સંપર્કમાં આવેલી મોટાભાગની યુવતીઓ ઉચ્ચ શિક્ષિત છે, જેમાં B.Tech, M.Tech અને MBA જેવી પ્રોફેશનલ ડિગ્રી ધરાવતી યુવતીઓ સામેલ છે. દાખલ કરવામાં આવેલી FIR અનુસાર, એક પીડિતાએ ગંભીર આરોપ લગાવતા જણાવ્યું છે કે, "અભિષેક મિશ્રાએ તેને વિશ્વાસ અપાવ્યો હતો કે ધાર્મિક વિધિ અનુસાર બંનેના ‘ગંધર્વ વિવાહ’ થઈ ચૂક્યા છે. આ આધ્યાત્મિક વિશ્વાસના ઓથા હેઠળ તેની સાથે અવારનવાર શારીરિક સંબંધો બાંધવામાં આવ્યા હતા."

ધીમે ધીમે આ યુવતીઓ તેના પર ભાવનાત્મક રીતે સંપૂર્ણ નિર્ભર બની જતી હતી. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે શું આ જ રીતે અન્ય યુવતીઓને પણ ગંધર્વ વિવાહના નામે ભ્રમમાં રાખવામાં આવી હતી કે નહીં.

મોબાઇલમાંથી મળેલા ફોટા અને વીડિયો સૌથી મોટો પુરાવો

આ સમગ્ર હાઈપ્રોફાઈલ કેસમાં આરોપીનો મોબાઇલ ફોન તપાસ એજન્સીઓ માટે સૌથી મહત્ત્વની કડી સાબિત થયો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, અભિષેકના મોબાઇલમાં અનેક યુવતીઓના આપત્તિજનક ફોટા, વીડિયો અને ચેટ રેકોર્ડ મળી આવ્યા છે, જેની અત્યારે ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. આ તમામ ડિજિટલ સામગ્રી કઈ પરિસ્થિતિમાં અને ક્યારે રેકોર્ડ કરવામાં આવી હતી તે જાણવા માટે પોલીસ ડિજિટલ ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લેવાની તૈયારી કરી રહી છે.

કોણ છે આ IITian બાબા?

વર્ષ 2017માં અભિષેક મિશ્રાએ દેશની પ્રતિષ્ઠિત સંસ્થા IIT રૂર્કીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ઉચ્ચ શિક્ષણ મેળવ્યા બાદ તેણે નોકરી કરવાના બદલે આધ્યાત્મિકતા તરફ વળાંક લીધો. તે ઓનલાઈન માધ્યમો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભગવદ્ ગીતા અને ધાર્મિક વિષયો પર પ્રવચનો આપતો હતો. તેની ઉચ્ચ શૈક્ષણિક લાયકાત અને પ્રભાવશાળી બોલવાની શૈલીના કારણે લોકો ખૂબ જ ઝડપથી તેના પર વિશ્વાસ કરી લેતા હતા અને આ જ કારણે તે વિવિધ રાજ્યોના યુવાનો અને યુવતીઓ સુધી પોતાનો પ્રભાવ વધારવામાં સફળ રહ્યો હતો.

આ પણ વાંચો: મોહાલીમાં પ્રેમ પ્રકરણનો ભયાનક અંત, ઓફિસમાં ઘૂસી યુવકે પ્રેમિકાને ચપ્પાના ઘા ઝીંકી હત્યા કરી, આત્મહત્યાની કરી કોશિશ

જૂની ફરિયાદો અને પોલીસની કાયદેસરની કાર્યવાહી

એસપી દેહાત સુરેશ ચંદ્ર રાવતે જણાવ્યું કે, આશરે છ મહિના પહેલાં પણ એક પરિવાર આરોપી વિરુદ્ધ ફરિયાદ લઈને આવ્યો હતો. હવે નવી અને તાજી ફરિયાદો સામે આવ્યા બાદ જૂના ઇનપુટ્સની પણ ક્રોસ-વેરિફિકેશન સાથે તપાસ કરવામાં આવી રહી છે. કાર્યવાહી દરમિયાન પોલીસે આશ્રમ જેવા સ્થળેથી ત્રણ યુવતીઓને પણ શોધી કાઢી છે, જેમના નિવેદનો નોંધવાની પ્રક્રિયા ચાલુ છે. હાલમાં આ કેસ સમગ્ર ઉત્તર પ્રદેશમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.