મુસ્લિમોમાં પણ સગીરા સાથે નિકાહ ગેરકાયદે, પોક્સો લાગુ પડે : હાઇકોર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

તમામ ધર્મોમાં લગ્ન માટે યુવતીની વય 18 વર્ષથી ઓછી ના હોવી જોઇએ
પર્સનલ લો કે શરિયા પોક્સો અથવા બાળ વિવાહ વિરોધી કાયદાથી મોટા નથી : અલ્લાહાબાદ હાઇકોર્ટ
નવી દિલ્હી : અલ્લાહાબાદ હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં એવી સ્પષ્ટતા કરી છે કે પોક્સો કાયદો તમામ ધર્મના લોકોને સમાન રીતે લાગુ પડે છે. વિવિધ ધર્મોના પર્સનલ લો આ પોક્સો કાયદા કરતા મોટા ના ગણાય. મુસ્લિમ સમાજમાં પણ ૧૮ વર્ષથી ઓછી વયની સગીરાઓ સાથે નિકાહ ના કરી શકાય. શરિયા હેઠળ સગીર વયમાં જ નિકાહ કરાવી દેવા પોક્સો કાયદાનું ઉલ્લંઘન ગણાય.
દેશભરમાં બાળ વિવાહ પર પ્રતિબંધ મુકતો કાયદો અમલમાં છે, જ્યારે પોક્સો કાયદો સગીર કિશોરો સાથે થતા યૌન શોષણ, રેપ વગેરે સામે આકરી સજા માટે અમલમાં આવ્યો છે. એવામાં અલ્લાહાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ જેજે મુનિર અને અચલ સચદેવની બેંચે સ્પષ્ટતા કરી છે કે શરિયા કાયદો પ્યૂબર્ટીની ઉંમરને જ નિકાહ માટે યોગ્ય માને છે. જોકે તેનાથી બાળ લગ્ન વિરોધી કાયદો અને પોક્સો બન્નેનો ભંગ થાય છે. દેશના તમામ નાગરિકો માટે લગ્ન કે નિકાહની ઉંમર નક્કી કરાયા મુજબ એક સમાન જ છે. નાગરિકનો ધર્મ તેમાં વચ્ચે ના આવી શકે.
આ સમગ્ર મામલો એક બાળ વિવાહ સાથે જોડાયેલો છે, ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં આ વર્ષે ફેબુ્રઆરીમાં પોલીસની એક ટીમ ૧૬ વર્ષની વયની મુસ્લિમ સગીરાના નિકાહ રોકવા માટે પહોંચી હતી. પોલીસે આ મામલે ૧૯ની સામે એફઆઇઆર દાખલ કરી હતી. જેને રદ કરાવવાની માગ સાથે તમામ આરોપીઓએ હાઇકોર્ટમાં અપીલ કરી હતી. અરજદારોની એવી દલીલ હતી કે શરિયા કાયદો પ્યૂબર્ટી એટલે કે સામાન્ય રીતે ૧૫ વર્ષ આસપાસ જ નિકાહ કરવાની છૂટ આપે છે. પર્સનલ લો પર બાળ વિવાહ વિરોધી કાયદો અસર ના કરી શકે. જોકે હાઇકોર્ટે આ તમામ દલીલોને ફગાવી દીધી હતી.
હાઇકોર્ટે એવી સ્પષ્ટતા કરી હતી કે કોઇ પણ ધર્મ માટેનો પર્સનલ લો બાળ વિવાહ પર લાગેલી રોક કે પોક્સો કાયદાની કાયદાકીય અસરને ખતમ ના કરી શકે. જો ૧૮ વર્ષથી ઓછી વયે નિકાહ કે લગ્નની છૂટ આપવામાં આવે તો પોક્સો કાયદાનું ઉલ્લંઘન થશે કેમ કે લગ્ન અને શારીરિક સંબંધ એકબીજા સાથે જોડાયેલા માનવામાં આવે છે. પોક્સો કાયદા મુજબ સગીરા સાથે શારીરિક સંબંધ રેપ ગણાય છે. અગાઉ કેરળ હાઇકોર્ટ પણ સ્પષ્ટતા કરી ચુકી છે કે પર્સનલ લો પોક્સો કે બાળ લગ્ન વિરોધી કાયદાની વચ્ચે ના આવી શકે જેમાં આકરી સજાની જોગવાઇ છે, તેવી જ રીતે બાળ લગ્ન વિરોધી કાયદા મુજબ દોષિતોને બે વર્ષની કેદ અને એક લાખ રૂપિયાના દંડની જોગવાઇ છે. જેમાં માતા પિતા, પરિવારજનો વગેરે જે પણ બાળ વિવાહમાં સામેલ હોય તેમની સામે કાર્યવાહી થઇ શકે છે. એટલુ જ નહીં બાળ વિવાહને મંજૂરી જ ના હોવાથી જો કોઇ બાળ વિવાહ થાય તો પણ તેને શૂન્ય જાહેર કરવામાં આવે છે એટલે કે કાયદાકીય રીતે તેનું કોઇ જ અસ્તિત્વ નથી રહેતું.









