- અલ નીનોની તીવ્ર અસરની શક્યતાથી ચોમાસું નબળું રહેશે
- ઉત્તર અને મધ્ય ભારતમાં દૂકાળનું જોખમ : પૂર્વોત્તરના રાજ્યોમાં અતિવૃષ્ટિનો ખતરો, દક્ષિણના રાજ્યોમાં માફકસરનો વરસાદ થશે
નવી દિલ્હી : હવામાન વિભાગના પૂર્વાનુમાનમાં આ વર્ષે ચોમાસું સરેરાશ કરતાં નબળું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હિન્દ મહાસાગરમાં વાતાવરણની સિસ્ટમ આ વર્ષે જુદી હોવાથી તેની અસર દેશના અનેક રાજ્યોમાં પડશે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન જે વરસાદ થશે એ ૯૨ ટકા થશે. દેશમાં સરાસરીથી થોડો ઓછો વરસાદ થશે. એમાંય વળી અમુક રાજ્યોમાં અતિવૃષ્ટિ તો અમુકમાં ઘણો ઓછો વરસાદ થાય એવી સંભાવના છે.
હવામાન વિભાગે ૧૯૭૧થી ૨૦૨૦ની અવધિના ૮૭ સેન્ટીમીટરના આધારે ચાલુ વર્ષના ચોમાસાની શક્યતા વ્યક્ત કરી છે. હજુ આ લાંબી અવધિનું પૂર્વાનુમાન છે એટલે કદાચ આગામી દિવસોમાં જો વાતાવરણ પલટાય તો તેની અસર પડવાની શક્યતા ખરી, છતાં સરેરાશ આ વર્ષે ૯૨ ટકા વરસાદની શક્યતા છે. ચોમાસું ધારણાંથી થોડું નબળું રહેશે. જો એવું થશે તો ખેતી, પશુપાલન અને જળસંસાધનમાં અસર થશે.
પૂર્વાનુમાનોમાં અલ નીનોની અસર વિશે કહેવાયું છે. અલ નીનોના કારણે દેશમાં આ વર્ષે ગરમી પણ વધારે પડવાની શક્યતા છે અને વરસાદનું સાતત્ય પણ ખોરવાશે. પૂર્વોત્તરના રાજ્યોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. તો દક્ષિણના રાજ્યોમાં સરેરાશ જેટલો વરસાદ થાય છે એટલો જ થશે. અમુક સ્થળોએ અતિવૃષ્ટિ થઈ શકે છે. સૌથી વધુ અસર ઉત્તર અને મધ્યભારતના રાજ્યોમાં થવાની સંભાવના છે. ઉત્તર ભારતના રાજ્યોમાં દૂકાળ કે પછી ઘણો ઓછો વરસાદ થશે. દક્ષિણ-પશ્વિમના ચોમાસા વખતે અલ નીનોની તીવ્ર અસર રહેશે. તેના કારણે ચોમાસું નબળું રહી શકે છે. જૂન સુધી તો દેશમાં લગભગ વાતાવરણ સામાન્ય રહેશે, પરંતુ જૂન પછી વાતાવરણ પલટાશે. ઈન્ડિયન ઓસન ડિપોલની અસર રહેવાની હોવાથી દેશના વાતાવરણમાં વારંવાર પરિવર્તન જોવા મળે તો નવાઈ પામવા જેવું નહીં રહે. હવામાન વિભાગે દૂકાળ ક્યા રાજ્યોમાં પડી શકે તે બાબતે હજુ સ્પષ્ટતા કરી નથી, પરંતુ ઉત્તર ભારત, ખાસ તો ગંગા નદીના કિનારે તેની વધારે અસર થઈ શકે છે.


