Lok Sabha News : લોકસભા સ્પીકર ઓમ બિરલાએ આજે 17 માર્ચે સસ્પેન્ડ થયેલા 8 સાંસદોનું સસ્પેન્શન રદ કરવાનો નિર્ણય લીધો છે. ફેબ્રુઆરીમાં બજેટ સત્ર દરમિયાન આ સાંસદોએ લોકસભામાં હોબાળો કર્યો હતો અને સ્પીકર પર કાગળો ફેંક્યા હતા, ત્યારબાદ અનુશાસનહીનના આરોપમાં તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જોકે પક્ષ અને વિપક્ષ વચ્ચે સામાધાન થયા બાદ સ્પીકરે તાત્કાલીક તેઓનું સસ્પેન્શન રદ કરી દીધું છે.
પક્ષ-વિપક્ષ વચ્ચે સમાધાન
સસ્પેન્શન રદ કરવા મુદ્દે કોંગ્રેસ સાંસદ સુરેશે કહ્યું કે, ‘સ્પીકરે કેટલાક નિર્દેશ આપ્યા છે અને સંસદીય બાબતોના મંત્રીએ પણ ગૃહની મર્યાદા અને અનુશાસનનો ઉલ્લેખ કર્યો છે. ત્યારબાદ સસ્પેન્ડ સભ્યોનું સસ્પેન્શન આજે જ પરત લેવાનો નિર્ણય કરાયો છે.
તમામ પક્ષો ગૃહની પરંપરા જાળવી રાખવા સંમત : અધ્યક્ષ
લોકસભા સ્પીકરે કહ્યું કે, સોમવારે તમામ પક્ષો વચ્ચે બેઠક યોજાઈ હતી. તેમાં ગૃહની ગૌરવશાળી પરંપરા જાળવી રાખવા, તમામ સાંસદોને સાથે મળીને સહયોગ આપવા માટે તમામ પક્ષો સંમત થયા હતા. અધ્યક્ષે ખાસ વિનંતી કરી છે કે, સંસદ પરિસરમાં AI જનરેટેડ ફોટો, અપમાનજનક પ્લેકાર્ડ, ફેક ઇમેજ અથવા સૂત્રોચ્ચાર ન કરવામાં આવે. સ્પીકરે ગઈકાલે એક બુલેટિન જારી કરીને આ નિર્દેશ આપ્યા હતા.
કિરેન રિજિજૂએ સાંસદોનું સસ્પેન્શન રદ કરવાનો પ્રસ્તાવ રાખ્યો
સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજૂ(Kiren Rijiju)એ સાંસદોનું સસ્પેન્શન રદ કરવાનો ગૃહમાં પ્રસ્તાવ રાખ્યા બાદ ચર્ચા શરૂ થઈ હતી. આ દરમિયાન વિપક્ષ તરફથી સુપ્રિયા સુલે(Supriya Sule)એ કહ્યું કે, તમામ પક્ષો વચ્ચે ગઈકાલે એક કલાક સુધી બેઠક યોજાઈ હતી અને તમામને બોલવાની તક અપાઈ. તેમણે કહ્યું કે, ‘અમે અહીં અપશબ્દો બોલવા આવ્યા નથી, દેશની સેવા કરવા માટે આવ્યા છીએ. તમને અમને ન્યાય અપાવો, અમે તમારી સાથે કામ કરવા તૈયાર છીએ.’
પ્રસ્તાવ પર મતદાન, આઠેય સાંસદોના સસ્પેન્શન રદ
લોકસભા સ્પીકર ઓમ બિરલા(Om Birla)એ ગૃહમાં પક્ષ-વિપક્ષના સભ્યોની વાત સાંભળી અને અપીલ કરી કે, ગૃહની પવિત્રતા જાળવવામાં આવે. ત્યારબાદ ગૃહમાં પ્રસ્તાવ પર મતદાન થયા બાદ સ્પીકરે પ્રસ્તાવ પાસ થવાની જાહેરાત કરી હતી. આ સાથે સસ્પેન્ડ થયેલા આઠેય સાંસદોને સ્પેન્શન રદ કરવામાં આવ્યા છે.


