‘ગંદકીમાં પેદા થતા કોકરોચને મારવાની દવા પણ છે', કોકરોચ જનતા પાર્ટી પર કુમાર વિશ્વાસનો કટાક્ષ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Kumar Vishwas On Cockroach Janta Party : કોકરોચ જનતા પાર્ટીને લઈને કુમાર વિશ્વાસે તંજ કસતા કહ્યુ કે 'નાનપણમાં મારી માતાએ મને કહ્યું હતું કે કોકરોચ એવો જીવ છે, જે ઘરના અંધારા ખૂણાઓમાં રહે છે અને હંમેશા ઝુંડમાં (સાથે) રહે છે.' છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં બનેલી કથિત 'કોકરોચ જનતા પાર્ટી'ને લઈને જ્યાં મોટાભાગના નેતાઓ ખુલ્લેઆમ બોલવાનું ટાળી રહ્યા છે, ત્યાં જ ઉત્તરાખંડના પ્રવાસે પહોંચેલા કવિ અને લેખક કુમાર વિશ્વાસે આ મુદ્દે પોતાના અંદાજમાં તીખો કટાક્ષ કર્યો છે. દેહરાદૂનમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન તેમણે કોઈનું પણ નામ લીધા વિના એવી ટિપ્પણી કરી છે, જેના કારણે હવે રાજકીય આલમમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે.
'કોકરોચ અંધારા ખૂણામાં રહે છે'
કુમાર વિશ્વાસે કહ્યું કે, 'નાનપણમાં મારી માતા મને કોકરોચ વિશે સમજાવતી હતી. મારી માતા કહેતી હતી કે કોકરોચ એક એવો જીવ છે, જે ઘરના અંધારા ખૂણામાં રહે છે. તે હંમેશા ઝુંડમાં રહે છે અને ઘરની સારી વસ્તુઓને બગાડે છે. કોકરોચ ગંદકીમાં જન્મે છે અને જ્યાં પણ જાય છે ત્યાં નુકસાન જ કરે છે. જે રીતે ઘરમાં કોકરોચથી બચવા માટે લોકો દવાનો ઉપયોગ કરે છે, તે જ રીતે દેશમાં પણ જ્યારે કોકરોચ પેદા થઈ ગયા છે, તો તેમને ખતમ કરવા માટે અનેક દવાઓ પણ હાજર છે.’
'ડરવાની જરૂર નથી'
કુમાર વિશ્વાસે કહ્યું કે ‘આમાં ડરવાની કોઈ વાત નથી, કોકરોચ વિરોધી દવાઓ તેમનું કામ બરાબર કરી રહી છે.’
આ નિવેદન બાદ કાર્યક્રમમાં હાજર લોકોએ જોરદાર તાળીઓ પાડી હતી. કુમાર વિશ્વાસનું આ નિવેદન હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યું છે. ઘણા લોકો તેને વર્તમાન રાજકીય માહોલ સાથે જોડીને જોઈ રહ્યા છે, જ્યારે કેટલાક લોકો તેને માત્ર વ્યંગ્ય અને કટાક્ષની શૈલી ગણાવી રહ્યા છે. જો કે, તેમણે કોઈ પક્ષ કે વ્યક્તિ વિશેષનું નામ લીધું નથી, તેમ છતાં તેમના આ નિવેદનને લઈને રાજકીય ચર્ચાઓ સતત વધી રહી છે.
ઉત્તરાખંડના પ્રવાસે છે કુમાર વિશ્વાસ
હાલના સમયમાં કુમાર વિશ્વાસ ઉત્તરાખંડના પ્રવાસે છે, અને ત્યાં અલગ-અલગ કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે. પોતાના વક્તવ્યોમાં તેઓ સામાજિક અને રાજકીય મુદ્દા પર ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કરતા જોવા મળે છે. દેહરાદૂનમાં આપવામાં આવેલું તેમનું આ નિવેદન પણ હવે ભારે ચર્ચાનો વિષય બન્યું છે.









