Get The App

કોંગ્રેસ સાંસદોએ સ્પીકરને અપશબ્દો કહ્યા...', કિરેન રિજિજુએ નવો VIDEO જાહેર કર્યો; પ્રિયંકા ગાંધીએ આપ્યો જવાબ

Updated: Feb 12th, 2026

GS TEAM

Google News
Google News
કોંગ્રેસ સાંસદોએ સ્પીકરને અપશબ્દો કહ્યા...',  કિરેન રિજિજુએ નવો VIDEO જાહેર કર્યો; પ્રિયંકા ગાંધીએ આપ્યો જવાબ 1 - image


Kiren Rijiju Release Video : સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ લોકસભા સ્પીકર ઓમ બિરલાના ચેમ્બરમાં થયેલા હોબાળાનો એક વીડિયો જાહેર કરીને રાજકીય રીતે વધારે એક મોરચો ખોલ્યો છે. રિજિજુએ આરોપ લગાવ્યો છે કે, કોંગ્રેસના સાંસદોએ સ્પીકરની ચેમ્બરમાં ગેરકાયદેસર રીતે વીડિયો ક્લિપ બનાવી અને ગરીમા તથા મર્યાદાઓનું ઉલ્લંઘન કર્યું છે.

શું છે સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, આ ઘટના 4 ફેબ્રુઆરીની હોવાનો અંદાજ છે. રિજિજુના જણાવ્યા અનુસાર, કોંગ્રેસના 20 થી 25 સાંસદો સ્પીકરના ચેમ્બરમાં ઘૂસી ગયા હતા. ત્યાં તેમણે સ્પીકરને અપશબ્દો કહ્યા હતા. ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ધમકી પણ આપી હતી. સ્પીકરની ચેમ્બરને ગૃહનો જ એક ભાગ માનવામાં આવે છે, જ્યાં કોઈપણ પ્રકારનું વીડિયો શૂટિંગ કરવું એ નિયમોની વિરુદ્ધ છે.

રિજિજુના ગંભીર આક્ષેપ

કિરેન રિજિજુના ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે, "જ્યારે આ ઘટના બની ત્યારે હું પણ ત્યાં હાજર હતો. કોંગ્રેસના સાંસદોએ સ્પીકરને અપશબ્દો કહ્યા હતા. ઓમ બિરલા ખૂબ જ સરળ વ્યક્તિ છે, બાકી આ મામલે અત્યંત કડક કાર્યવાહી થઈ શકી હોત."

વરિષ્ઠ નેતાઓની ભૂંડી ભૂમિકા

રિજિજુએ વધુમાં ઉમેર્યું કે, જ્યારે આ હોબાળો થઈ રહ્યો હતો ત્યારે પ્રિયંકા ગાંધી અને કે.સી. વેણુગોપાલ જેવા વરિષ્ઠ નેતાઓ પણ હાજર હતા અને તેઓ સાંસદોને લડવા માટે ઉશ્કેરી રહ્યા હતા. જે સ્પષ્ટ રીતે લોકશાહીની ગરિમાનું હનન છે. રિજિજુએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ભાજપ ગૃહમાં ચર્ચા અને સંવાદમાં માને છે, ધમકીઓ કે હોબાળો કરવામાં નહીં.

કડક કાર્યવાહીની તૈયારી

આ મામલે અત્યારે ઉચ્ચ સ્તરીય તપાસ ચાલી રહી છે. નિયમોનું ઉલ્લંઘન કરીને વીડિયો શૂટ કરનારા અને સ્પીકર સાથે ગેરવર્તન કરનારા સાંસદો સામે કડક પગલાં લેવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

શું કહે છે નિયમ?

અત્રે ઉલ્લેખનીય છે કે, સ્પીકરની ચેમ્બરમાં વીડિયો રેકોર્ડિંગ એ સંસદીય શિષ્ટાચારનો ભંગ ગણાય છે. જેના કારણે સંબંધિત સાંસદોનું સભ્યપદ જોખમમાં મુકાઈ શકે છે અથવા તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવી શકે છે.

કોંગ્રેસ તરફથી પ્રિયંકા ગાંધીએ પ્રતિક્રિયા આપી

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, સ્પિકરને કોઇએ એબ્યુસ કર્યા નથી. એક બે સાંસદ હતા જે કાર્યપ્રણાલીથી વધારે પરેશાન હતા. તેમણે પોતાનો રોષ સ્પિકર સમક્ષ ઠાલવ્યો હતો. હું પાછળથી સાંસદોને ઉશ્કેરી રહી હતી તેવો દાવો સંપુર્ણ પાયાવિહોણો છે. હું ચુપચાપ બેઠી હતી અને આખરે મારી પણ નારાજગી હતી જે મે શાંતિથી સ્પિકરને જણાવી હતી.