Get The App

મનમોહક નજારો: કેદારનાથમાં ફરી હિમવર્ષા, યાત્રા શરૂ થાય તે પહેલા જ બદલાયું હવામાન, જુઓ VIDEO

Updated: Apr 4th, 2026

GS TEAM

Google News
Google News
મનમોહક નજારો: કેદારનાથમાં ફરી હિમવર્ષા, યાત્રા શરૂ થાય તે પહેલા જ બદલાયું હવામાન, જુઓ VIDEO 1 - image

Kedarnath Snowfall: બાબા કેદારના ભક્તો માટે એક તરફ કપાટ ખુલવાની આતુરતા છે, તો બીજી તરફ કુદરત પોતાની અલગ જ રમત રમી રહી છે. હિમાલયના શિખરો પર હવામાન પલટાયું છે અને એપ્રિલ મહિનામાં પણ કેદારનાથ ધામમાં ભારે હિમવર્ષાનો દોર જામ્યો છે. આ હિમવર્ષાને કારણે ચારધામ યાત્રાની તૈયારીઓમાં જોતરાયેલા તંત્ર અને શ્રમજીવીની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

શ્રમજીવીની મહેનત પર ફરી વળ્યું પાણી

આગામી 22 એપ્રિલના રોજ કેદારનાથ ધામના કપાટ ખુલવાના છે. જેના માટે વહીવટીતંત્ર અને બદ્રી-કેદાર મંદિર સમિતિ (BKTC) દિવસ-રાત તૈયારીઓ કરી રહ્યા હતા. જોકે, છેલ્લા 24 કલાકથી થઈ રહેલી હિમવર્ષાએ શ્રમજીવીની મહેનત પર પાણી ફેરવી દીધું છે. મંદિર પરિસર અને જે પદયાત્રાના માર્ગો પરથી તાજેતરમાં જ બરફ હટાવવામાં આવ્યો હતો, તે માર્ગો ફરીથી અનેક ફૂટ બરફની ચાદરમાં દટાઈ ગયા છે. 

આ પણ વાંચો: 'તેને ટીમમાંથી બહાર કરો!' સૌથી મોંઘા ખેલાડી પર ગાવસ્કર લાલઘૂમ, KKRને આપી ખાસ સલાહ

કેદારપુરીમાં સફેદ આફત

BKTC ના સભ્ય વિનીત પોસ્તીએ જણાવ્યું કે, ધામમાં હવામાન પળવારમાં રંગ બદલી રહ્યું છે. ગઈકાલ સાંજથી જ અવિરત બરફ પડી રહ્યો છે, જેના કારણે પદયાત્રા માર્ગ પર સફાઈ કરેલા રસ્તાઓ ફરીથી દુર્ગમ બન્યા છે. ઉપરાંત રહેવાની વ્યવસ્થા માટે ટેન્ટ કોલોની વસાવવાનું કામ અટકી પડ્યું છે. જ્યારે મૂળભૂત સુવિધાઓ જેવી કે, વિજળી અને પાણીની લાઈનો નાખવામાં ભારે અવરોધ આવી રહ્યો છે.

તંત્ર માટે અગ્નિપરીક્ષા

એપ્રિલ મહિનામાં સામાન્ય રીતે બરફ પીગળવાની શરૂઆત થતી હોય છે, પરંતુ આ વર્ષે ઉલટું જોવા મળી રહ્યું છે. જો આગામી દિવસોમાં પણ આવું જ હવામાન રહ્યું, તો 22 એપ્રિલ પહેલા તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરવી એ વહીવટીતંત્ર માટે કોઈ અગ્નિપરીક્ષા સાબિત થશે. હાલમાં શ્રદ્ધાળુઓ માટે આ નજારો અત્યંત સુંદર છે, પરંતુ કામ કરી રહેલા કર્મચારીઓ માટે તે જીવના જોખમ સમાન છે.

યાત્રા પર શું થશે અસર?

હિમવર્ષાને કારણે કેદારનાથ પદયાત્રા માર્ગ પર ગ્લેશિયર તૂટવાનો ભય પણ વધી ગયો છે. પ્રશાસને શ્રદ્ધાળુઓને હવામાનની અપડેટ લઈને જ યાત્રાનું આયોજન કરવા વિનંતી કરી છે. કપાટ ખુલતા પૂર્વે જો બરફ હટાવવાની કામગીરી પૂર્ણ નહીં થાય, તો શરૂઆતના દિવસોમાં યાત્રીઓની સંખ્યા પર નિયંત્રણ મુકવામાં આવી શકે છે.