Get The App

ભાજપ છોડવાની અટકળો વચ્ચે અન્નામલાઈની દિલ્હીમાં દોડધામ, દિગ્ગજો સાથે મુલાકાતમાં મળી રાજ્યસભાની ઓફર?

Updated: Jun 2nd, 2026

GS TEAM

Google News
Google News
ભાજપ છોડવાની અટકળો વચ્ચે અન્નામલાઈની દિલ્હીમાં દોડધામ, દિગ્ગજો સાથે મુલાકાતમાં મળી રાજ્યસભાની ઓફર? 1 - image


K. Annamalai meets BJP leaders in Delhi amid exit rumors : તમિલનાડુના ભાજપના પૂર્વ પ્રમુખ કે. અન્નામલાઈને લઈને છેલ્લા કેટલાક સમયથી રાજકીય અટકળોનું બજાર ગરમ છે. પાર્ટી છોડવાની કે પોતાની નવી પાર્ટી બનાવવાની ચર્ચાઓ વચ્ચે, અન્નામલાઈએ દિલ્હીમાં ભાજપના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત બાદ તેમના આગામી રાજકીય ડગલાં શું હશે, તે અંગે અનેક પ્રકારના તર્ક-વિતર્ક લગાવવામાં આવી રહ્યા છે.

દિલ્હીમાં એક બાદ એક બેઠકોનો દોર

સૂત્રોના જણાવ્યા અનુસાર, અન્નામલાઈએ રાષ્ટ્રીય મુખ્યાલય ખાતે પાર્ટી પ્રમુખ નિતિન નવીન અને સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ તેમના નવા રોલ અને રાજકીય ભવિષ્ય વિશે ચર્ચા કરવાનો હતો. રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે તેઓ પોતાની દિલ્હી યાત્રા દરમિયાન પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે પણ મુલાકાત કરી શકે છે.

રાજ્યસભાની ઓફર અને અન્નામલાઈનું મૌન

એવી પણ ચર્ચાઓ હતી કે ભાજપ હાઈકમાન્ડે અન્નામલાઈને રાજ્યસભાની સીટની ઓફર કરી હતી, જે તેમણે ઠુકરાવી દીધી હતી. જોકે, આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. દિલ્હી જવા રવાના થતા પહેલા, અન્નામલાઈએ તમામ અટકળો પર વિસ્તૃત ટિપ્પણી કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે, થોડી રાહ જુઓ, બે દિવસ પછી બેસીને વાત કરીશું.

અન્નામલાઈનું 'બે દિવસ રાહ જુઓ' વાળું નિવેદન એ વાતનો સંકેત આપે છે કે ટૂંક સમયમાં જ કોઈ મોટી રાજકીય જાહેરાત થઈ શકે છે. શું અન્નામલાઈ ભાજપમાં જ કોઈ નવી ભૂમિકા સ્વીકારશે કે પછી તેઓ સંપૂર્ણપણે અલગ રસ્તો પસંદ કરશે? તે તો આવનારા સમયમાં જ સ્પષ્ટ થશે. સમગ્ર તમિલનાડુ અને રાષ્ટ્રીય રાજકારણની નજર હવે અન્નામલાઈના આગામી નિર્ણય પર ટકેલી છે.