Iran War Ceasefire: મધ્ય પૂર્વમાં સીઝફાયર અને વૈશ્વિક સપ્લાય સંકટ વચ્ચે ભારત માટે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. અંદાજે સાત વર્ષ બાદ ઈરાનથી ક્રૂડ ઓઈલનો સપ્લાય ફરી શરૂ થવા જઈ રહ્યો છે, અને આ વખતે વાર્તામાં એક રસપ્રદ વળાંક પણ છે. જે ક્રૂડ પહેલા ચીન જઈ રહ્યું હતું, તે જ હવે ભારત તરફ વળ્યું છે.
7 વર્ષ બાદ ઈરાન પાસેથી ભારતે ક્રૂડની ખરીદી કરી
ભારત દુનિયામાં ત્રીજા નંબર પર સૌથી વધુ કાચું ઓઈલ આયાત કરે છે. ભારતે મે, 2019 પછી ઈરાન પાસેથી કોઈ ક્રૂડ ખરીદ્યું નથી, પરંતુ હવે અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ફરીથી નવી દિલ્હી તેહરાન પાસેથી તેલ ખરીદી રહ્યું છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના રિપોર્ટ મુજબ, LSEG અને Kplerના શિપ ટ્રેકિંગ ડેટાથી બુધવારે જાણવા મળ્યું કે અમેરિકા દ્વારા ઈરાની તેલ અને રિફાઈન્ડ પ્રોડક્ટ્સ પર લાદવામાં આવેલા પ્રતિબંધોને થોડા સમય માટે હટાવ્યા બાદ, ભારત સાત વર્ષમાં પહેલીવાર ઈરાન પાસેથી તેલ મેળવવા માટે તૈયાર છે.
જયા' હવે ભારતના પૂર્વી તટ તરફ આગળ વધ્યું
જાણકારી મુજબ, ક્યુરેકો ફ્લેગવાળું એક મોટું ક્રૂડ ટેન્કર 'જયા' હવે ભારતના પૂર્વી તટ તરફ આગળ વધી રહ્યું છે. આ એ જ જહાજ છે, જે પહેલા દક્ષિણ-પૂર્વ એશિયાના રસ્તે ચીન તરફ આગળ વધી રહ્યું હતું, પરંતુ અચાનક તેણે પોતાનો રસ્તો બદલી નાખ્યો. શિપિંગ ડેટાથી સ્પષ્ટ છે કે આ ફેરફાર કોઈ સામાન્ય વેપારી નિર્ણય કરતા વધારે, બદલાતા વૈશ્વિક સંજોગોનો સંકેત છે.
ઈરાની ક્રૂડ ખરીદવાનું ભારતે શરૂ કર્યું
આ ક્રૂડની ખરીદી ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) દ્વારા કરવામાં આવી છે, જે દેશની સૌથી મોટી સરકારી ક્રૂડ કંપની છે. જો કે કંપનીએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી, પરંતુ સંકેતો સ્પષ્ટ છે કે ભારતે ફરીથી ઈરાની ક્રૂડને પોતાના ઈમ્પોર્ટ પોર્ટફોલિયોમાં સામેલ કરવાનું શરૂ કરી દીધું છે.
'જોર્ડન' પણ ભારત તરફ આવી રહ્યું છે
માત્ર એક જ નહીં, પરંતુ 'જોર્ડન' નામનું વધુ એક ટેન્કર પણ ભારત તરફ આગળ વધી રહ્યું છે, જેનાથી એ સ્પષ્ટ થઈ જાય છે કે આ કોઈ એક વખતની ડીલ નથી, પરંતુ એક ટ્રેન્ડની શરૂઆત હોઈ શકે છે. હકીકતમાં, ભારતે છેલ્લે મે 2019માં ઈરાન પાસેથી ક્રૂડ ખરીદ્યું હતું. તે સમયે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા કડક પ્રતિબંધોને કારણે ભારતીય કંપનીઓએ આ આયાત રોકવી પડી હતી. ત્યારબાદ ભારતે પોતાની જરૂરિયાતો માટે સાઉદી અરેબિયા, ઈરાક અને અમેરિકા જેવા દેશો પર નિર્ભરતા વધારી દીધી હતી.
અમેરિકાએ ઈરાની ક્રૂડ પર પ્રતિબંધોમાં ઢીલ આપી
પરંતુ હવે સંજોગો બદલાઈ રહ્યા છે. પશ્ચિમ એશિયામાં ચાલતા સંઘર્ષ અને હોર્મુઝ સ્ટ્રેટ જેવા મહત્વના દરિયાઈ માર્ગો પર દબાણને કારણે વૈશ્વિક ક્રૂડ સપ્લાય પ્રભાવિત થયો છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અમેરિકાએ કામચલાઉ ધોરણે ઈરાની ક્રૂડ પર લાગેલા કેટલાક પ્રતિબંધોમાં ઢીલ આપી છે, જેથી બજારમાં સ્થિરતા લાવી શકાય.
ભારતીય બજાર માટે ફાયદાકારક
આ નિર્ણયનો સીધો ફાયદો ભારતને મળ્યો છે. ભારતીય રિફાઇનર્સ લાંબા સમયથી સસ્તા અને સ્થિર સપ્લાયની શોધમાં હતા, અને ઈરાન હંમેશા તેમને વધુ સારી શરતો પર ક્રૂડ આપતું રહ્યું છે. એવામાં આ વાપસી ભારતીય બજાર માટે ફાયદાકારક માનવામાં આવી રહી છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ ભારતના પેટ્રોલિયમ મંત્રાલયે પણ સંકેત આપ્યો છે કે ઘરેલુ રિફાઇનર્સ હવે ઈરાનથી ક્રૂડ ખરીદવા લાગ્યા છે. ખાસ વાત એ છે કે પેમેન્ટ સિસ્ટમમાં પણ હાલમાં કોઈ મોટો અવરોધ નથી, જે પહેલા સૌથી મોટી સમસ્યા ગણાતી હતી.
આ પણ વાંચો: 'આશા છે કે શાંતિ લાંબો સમય રહેશે...', ઈરાન-US યુદ્ધવિરામ પર ભારતનું પહેલું નિવેદન


