India

તિહારમાં વગદાર કેદીઓને તમામ સુવિધા આપવી સામાન્ય વાત ઃ પૂર્વ અધિકારી

By GS Team
24 Nov 20222 mins read
This article was originally published on 24 Nov 2022
તિહારમાં વગદાર કેદીઓને તમામ સુવિધા આપવી સામાન્ય વાત ઃ પૂર્વ અધિકારી


(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૨૪

દિલ્હીના પ્રધાન સત્યેન્દ્ર પ્રધાનને જેલમાં માલીશ કરતો વીડિયો વાયરલ થવાને પગલે થયેલા હોબાળાની વચ્ચે તિહાર જેલના એક પૂર્વ અધિકારીએ દાવો કર્યો હતો કે  આ જેલમાં આવા પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓ સામાન્ય છે. તેમણે વધુ એક ચોૅકાવનારો દાવો કર્યો છે કે આ જેલમાં વગદાર કેદીઓની જાતીય ઇચ્છા પૂર્ણ કરવા માટેની પણ વ્યવસ્થા છે.

તિહાર જેલમાં ૧૯૮૧ થી ૨૦૧૬ સુધી કાયદા અધિકારી અને પ્રવક્તા તરીકે કાર્યરત રહેલા સુનીલ ગુપ્તાએ પત્રકારો સાથેના ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે દેશની સૌથી મોટી જેલમાં વગદાર લોકોને અધિકારીઓ અને કેદીઓની તરફથી વિશેષ સુવિધાઓ આપવામાં આવતી હતી.

ગુપ્તાએ સંપૂર્ણ વિગતો આપ્યા વગર જણાવ્યું હતું કે તેમણે કેટલાક કેસોમાં ફરિયાદ કરી તો કાર્યવાહી પણ કરવામાં આવી હતી. તિહાર જેલના પ્રવક્તા ધીરજ માથુરે ગુપ્તાના આરોપો અંગે જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો.

આ અંગે પુડુચેરીના પૂર્વ ઉપ રાજ્યપાલ અને તિહાર જેલના પૂર્વ ડીજી (૧૯૯૩ થી ૧૯૯૫)  કિરણ બેદીએ જણાવ્યું હતું કે સુનીલ જે કંઇ પણ જણાવી રહ્યાં છે તે તેમના કાર્યકાળ પહેલા અથવા પછી થતું હશે.

ઉલ્લેખનીય છે કે મની લોન્ડરિંગના આરોપોમાં ધરપકડ કરાયેલા જૈનનો કેટલાક કેદીઓ દ્વારા માલીશ કરાવવાનો વીડિયો ૧૯ નવેમ્બરે વાયરલ થયો હતો. માલીશ કરનાર કેદીની ઓળખ પોક્સો કાયદાના એક આરોપી તરીકે કરવામાં આવી છે.

આ દરમિયાન આમ આદમી પાર્ટીએ આરોપ મૂક્યો છે કે આ વીડિયો ઇડીએ લીક કર્યો છે અને તેણે આ વીડિયો જૈનની તપાસ દરમિયાન પ્રાપ્ત કર્યો હતો.