Get The App

ઇન્ડિગો સામે કાર્યવાહી કરીશું, ભારતમાં નવી એરલાઇન્સ આવશે: લોકસભામાં સરકારની જાહેરાત

Updated: Dec 9th, 2025

GS TEAM

Google News
Google News
ઇન્ડિગો સામે કાર્યવાહી કરીશું, ભારતમાં નવી એરલાઇન્સ આવશે: લોકસભામાં સરકારની જાહેરાત 1 - image


Government Warns of Action Against IndiGo: ઇન્ડિગો એરલાઇન્સની મોટા પાયે ફ્લાઇટ્સ રદ થવાના અને મુસાફરોને હાલાકી ભોગવવી પડવાના મામલે સરકારે લોકસભામાં આક્રમક વલણ રજૂ કર્યું છે. કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ સ્પષ્ટતા કરી છે કે આ મામલે જવાબદારી નક્કી કરવામાં આવશે અને એરક્રાફ્ટ ઍક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.

મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ થવાનું કારણ શું?

લોકસભામાં સોમવારે (આઠમી ડિસેમ્બર) નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે, 'પ્રારંભિક તપાસમાં ઇન્ડિગોની આંતરિક વ્યવસ્થામાં ગંભીર અનિયમિતતાઓ સામે આવી છે. ઇન્ડિગોમાં ફ્લાઇટ ક્રૂના આંતરિક રોસ્ટર અને ડ્યુટી શેડ્યુલમાં ગંભીર અનિયમિતતાઓ બહાર આવી છે, જેના કારણે સમગ્ર નેટવર્કમાં ચેન રિએક્શન શરુ થયું હતું. શિયાળાનું સમયપત્રક, ખરાબ હવામાન, ટેકનિકલ ખામીઓ અને હવાઈ ટ્રાફિકની ભીડને કારણે પરિસ્થિતિ વધુ વણસી હતી.

નવા નિયમ અંગે નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે, 'પાયલટના થાકને દૂર કરવા માટે નવા નિયમનું પાલન કરવાની ઇન્ડિગોએ ખાતરી આપી હતી, પરંતુ રોસ્ટરની સમસ્યાને કારણે મોટા પાયે ફ્લાઇટ્સ રદ થઈ.'

આ પણ વાંચો: નાગરિકતા મામલે કોર્ટે સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને ફટકારી નોટિસ, જાણો શું છે આરોપ


DGCAએ ફટકારી શો કોઝ નોટિસ

સરકારે આ મુદ્દાને ગંભીરતાથી લીધો હોવાનું જણાવતા કેન્દ્રીય મંત્રી રામ મોહન નાયડુએ કહ્યું કે, 'ડાયરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશને(DGCA) ઇન્ડિગોના CEO પીટર એલ્બર્સ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓને શો કોઝ નોટિસ ફટકારી છે. તપાસ પૂર્ણ થયા પછી એરક્રાફ્ટ ઍક્ટ અને નિયમો હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત ઇન્ડિગોને તેની ક્ષમતા અને નેટવર્કનું તાત્કાલિક પુનર્ગઠન કરવાની આદેશ આપવામાં આવ્યો છે.

મુસાફરોનું હિત સર્વોપરી, નવી એરલાઇન્સને પ્રોત્સાહન

કેન્દ્રીય મંત્રી રામ મોહન નાયડુએ મુસાફરોને ખાતરી આપી હતી કે, 'સુરક્ષા સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં અને મુસાફરો સાથે અસભ્ય કે અસંવેદનશીલ વર્તન કરનારી કોઈપણ એરલાઇનને મંજૂરી આપવામાં આવશે નહીં. અમે ભારતમાં સેવા શરુ કરવા માટે નવી એરલાઇન્સને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. વધુ કંપનીઓનો અર્થ વધુ સેવા છે.

મુસાફરોને અપીલ કરતાં નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે, 'ઇન્ડિગોને કોઈપણ સમસ્યાની તાત્કાલિક જાણ કરવા મુસાફરોને કહેવામાં આવ્યું છે, જેથી સમસ્યા ઝડપથી ઉકેલી શકાય. હાલમાં ફ્લાઇટ કામગીરી સામાન્ય થઈ રહી હોવાનું જણાવાયું છે, પરંતુ મંત્રાલય દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.'

Tags :