Get The App

યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતીય નેવીને એક જ દિવસમાં 3 ઘાતક જહાજ મળ્યા, બ્રહ્મોસથી લેસ

Updated: Apr 1st, 2026

GS TEAM

Google News
Google News
યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતીય નેવીને એક જ દિવસમાં 3 ઘાતક જહાજ મળ્યા, બ્રહ્મોસથી લેસ 1 - image

Image Source: Twitter

Indian Navy Receives 3 Warships: હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનની વધતી હાજરી વચ્ચે ભારતની દરિયાઈ શક્તિમાં એક મોટો વધારો થયો છે. ભારતીય નેવીને સોમવારે કોલકાતામાં ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ ઍન્ડ એન્જિનિયર્સ લિમિટેડ (GRSE) તરફથી એક જ દિવસમાં ત્રણ નવા ઘાતક જહાજો મળ્યા છે. આમાં બે યુદ્ધ જહાજો (એક સ્ટીલ્થ ફ્રિગેટ સહિત) અને એક મોટું સર્વે જહાજ શામેલ છે. આ ત્રણ જહાજોના નામ દુનાગિરી, અગ્રેય અને સંશોધક છે.

3 જહાજોની મુખ્ય વિશેષતાઓ

1. દુનાગિરી ( સ્ટીલ્થ ફ્રિગેટ)

આ પ્રોજેક્ટ 17A હેઠળ નિર્મિત નીલગિરિ-ક્લાસનું પાંચમું ફ્રિગેટ છે, જેને છેલ્લા 16 મહિનામાં નેવીને સોંપવામાં આવ્યું છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે 15 જુલાઈ, 2022ના રોજ કોલકાતાના GRSEમાં આ પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો. આ 149 મીટર લાંબુ અને 6,670-ટનનું ગાઇડેડ-મિસાઇલ ફ્રિગેટ છે.

મારક ક્ષમતાની વાત કરીએ તો આ બ્રહ્મોસ એન્ટી-શિપ અને લેન્ડ-એટેક ક્રુઝ મિસાઇલોની સાથે-સાથે અદ્યતન સંરક્ષણ પ્રણાલીઓથી લેસ છે. તે હવા, સપાટી અને પાણીની અંદર બહુ-પરિમાણીય ઓપરેશનોને અંજામ આપવામાં સક્ષમ છે. 


વૉરશિપ ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરાયેલ આ જહાજના નિર્માણમાં 75% સ્વદેશી સામગ્રીનો ઉપયોગ થાય છે અને તેમાં 200થી વધુ MSME સામેલ છે. ભૂતકાળના અનુભવોના આધારે તેના નિર્માણનો સમયગાળો નીલગિરીના 93 મહિનાની સરખામણીમાં ઘટાડીને 80 મહિના કરી દેવામાં આવ્યો છે.

2. અગ્રેય (એન્ટી-સબમરીન વોરફેરશિપ)

આ આઠ 'અરનાલા' વર્ગના એન્ટિ-સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ્સ(ASW-SWCs)માંથી ચોથું જહાજ છે. તેનો મુખ્ય હેતુ નેવીની એન્ટિ-સબમરીન, માઇન-વોરફેર અને કોસ્ટલ સર્વેલન્સ ક્ષમતાઓને વધારવાનો છે. આ 77-મીટર લાંબુ વોટરજેટ-સંચાલિત યુદ્ધ જહાજ અત્યાધુનિક લાઇટવેટ ટૉરપીડો, સ્વદેશી રોકેટ લોન્ચર અને SONARથી સજ્જ છે. 'આત્મનિર્ભર ભારત'ના વિઝનને અનુરૂપ તેમાં 80%થી વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 


3. સંશોધક (લાર્જ સર્વે વેસલ)

સંશોધક એક વિશાળ સર્વે જહાજ છે જે દરિયાકાંઠા અને ઊંડા પાણીના હાઇડ્રોગ્રાફિક સર્વે માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેનું વિસ્થાપન લગભગ 3,400 ટન છે અને તેની કુલ લંબાઈ 110 મીટર છે. તેનું મુખ્ય કામ બંદરના માર્ગોનું સર્વેક્ષણ કરવાનું અને નેવિગેશનલ રૂટ્સ (દરિયાઈ માર્ગો) સચોટ રીતે નક્કી કરવાનું છે. આ ઉપરાંત તે સંરક્ષણ અને નાગરિક ઉપયોગ માટે સમુદ્રી અને ભૂ-ભૌતિક ડેટા પણ એકત્રિત કરશે.

આ ડેટા એક્વિઝિશન સિસ્ટમ્સ, ઓટોનોમસ અંડરવોટર વ્હીકલ્સ (AUVs), રિમોટલી ઓપરેટેડ વ્હીકલ્સ (ROVs), DGPS લોંગ-રેન્જ પોઝિશનિંગ સિસ્ટમ્સ અને ડિજિટલ સાઇડ સ્કેન સોનાર જેવા અત્યાધુનિક હાઇડ્રોગ્રાફિક ઉપકરણોથી સજ્જ છે. આ જહાજ 30 ઑક્ટોબર 2018ના રોજ હસ્તાક્ષર કરાયેલા ચાર સર્વે જહાજો માટેના કરારનો એક હિસ્સો છે. આ જ ક્લાસના અગાઉના ત્રણ જહાજો - INS સંધાયક, INS નિર્દેશક અને INS ઈક્ષક - અનુક્રમે ફેબ્રુઆરી 2024, ડિસેમ્બર 2024 અને નવેમ્બર 2025માં કાર્યરત થયા હતા. આ જહાજોમાં પણ ખર્ચના હિસાબે 80%થી વધુ સ્વદેશી સામગ્રી ઉપયોગમાં લેવાયેલ છે.

GRSEના અન્ય પ્રોજેક્ટ્સ

GRSE વર્તમાનમાં નેવી માટે ઘણા અન્ય મહત્ત્વપૂર્ણ યુદ્ધ જહાજો બનાવી રહ્યું છે.

- એક પ્રોજેક્ટ ઍડ્વાન્સ સ્ટીલ્થ ફ્રિગેટ

- ચાર ASW-SWC

- ચાર નેક્સ્ટ-જનરેશન ઓફશોર પેટ્રોલ વેસલ્સ (NGOPVs)

આ પણ વાંચો: ટ્રમ્પની 'ડબલ ગેમ'? એકતરફ શાંતિની વાત અને બીજી તરફ હજારો સૈનિકો ઈરાન તરફ રવાના

આ ઉપરાંત શિપયાર્ડ 30 અન્ય જહાજોનું નિર્માણ કરી રહ્યું છે, જેમાંથી 13 નિકાસ માટે છે. GRSE પાંચ નેક્સ્ટ-જનરેશન કોર્વેટ્સના નિર્માણ માટે એક મહત્ત્વપૂર્ણ કરારને અંતિમ સ્વરૂપ આપવાના અંતિમ તબક્કામાં પણ છે.