જયશંકરે રૂબિયો સમક્ષ ઉઠાવ્યો US વિઝાનો મુદ્દો! અમેરિકાના વિદેશ મંત્રીનો જવાબ- અમારું નિશાન ભારત નથી!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

S.Jaishankar And Marco Rubio Press Conference : ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે દિલ્હીમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજીને વિદેશ મંત્રી એસ.જયશંકરે યુએસ વિઝાનો મુદ્દો ઉઠાવ્યો છે. તો રુબિયોએ પણ અમેરિકન અર્થવ્યવસ્થામાં ભારતીયોનું મોટું યોગદાન હોવાનો સ્વીકાર કર્યો છે અને અમેરિકામાં બે કરોડ લોકો ગેરકાયદે ઘૂસેલા હોવાનું નિવેદન આપ્યા બાદ તેમણે કહ્યું છે કે, અમારું નિશાન ભારત નથી.
ભારતના માન્ય પ્રવાસીઓને વિઝા મળવામાં મુશ્કેલી : જયશંકરે ઉઠાવ્યો મુદ્દો
વાતચીત દરમિયાન જયશંકરે ભારતના માન્ય પ્રવાસીઓને અમેરિકન વિઝા મળવામાં મુશ્કેલી આવતી હોવાનો મુદ્દો ઉઠાવ્યો છે. જેના જવાબમાં રુબિયોએ કહ્યું કે, ‘સૌથી પહેલા હું અમેરિકાની અર્થવ્યવસ્થામાં ભારતીયોના યોગદાનને સ્વિકાર કરું છું. ભારતીય કંપનીઓએ અમેરિકન અર્થવ્યવસ્થામાં 20 અબજ ડૉલરથી વધુનું રોકાણ કર્યું છે. અમે ઈચ્છીએ છીએ કે, આ રોકાણ વધતું જ રહે. અમારી નવી ઈમિગ્રેશન સિસ્ટમ માત્ર ભારતીયોને ટાર્ગેટ કરતી નથી, પરંતુ આ સિસ્ટમ આખા વિશ્વ માટે બનાવવામાં આવી છે. અમે તેને દુનિયામાં લાગુ કરી રહ્યા છીએ.’
અમારા દેશમાં બે કરોડ લોકો ગેરકાયદે ઘૂસેલા છે : રુબિયો
રુબિયોએ ભારતીયોના રિજેક્ટ થતાં વિઝા અને ગ્રીન કાર્ડ મળવામાં પડતી તકલીફો અંગે જણાવ્યું હતું કે, અમારા દેશમાં બે કરોડ લોકો ગેરકાયદે ઘૂસી આવ્યા છે. આ બતાવે છે કે અમારી ઈમિગ્રેશન સિસ્ટમમાં ખામી છે. અમે આ ખામી દૂર કરી રહ્યા છીએ. અમારી ઈમિગ્રેશન સિસ્ટમ ઘણી જૂની છે અને તેને અમે હવે વર્તમાન સ્થિતિ સાથે સુસંગત બનાવી રહ્યા છીએ. અમારી ઇમિગ્રેશન પ્રણાલિ ફક્ત ભારતીયોનો વિરોધ કરે છે તેવું નથી, પણ તે આખા વિશ્વ માટે છે. અમે અમારી ગ્રીન કાર્ડ સિસ્ટમમાં ઘણા છીંડા જોયા છે, જેનો લાભ ઉઠાવીને લોકો ગેરકાયદે ઘૂસી જાય છે. તેના કારણે અમે ઇમિગ્રેશન પ્રણાલિ રિફોર્મ કરી રહ્યા છીએ. જ્યારે કોઈપણ રિફોર્મ થાય ત્યારે તકલીફ આવે જ છે. પણ લાંબા સમયગાળે આ સિસ્ટમ ઘણી સ્થિર હશે. આ સિસ્ટમ ભારતીયો અને અમારા બંને માટે વધુ કાર્યક્ષમ અને સારી પુરવાર થશે. એક દેશના નાગરિક તરીકે તમે જે પણ કરો છે, તે તમારા દેશના હિતમાં હોવી જોઈએ, તેમાં ઈમિગ્રેશન નીતિ પણ સામેલ છે. મારું માનવું છે કે, અમેરિકા વિશ્વના તમામ લોકોનું સ્વાગત કરે છે. દર વર્ષે લગભગ 10 લાખ લોકો અમેરિકામાં કાયમી રહેવાસી બને છે અને અમેરિકન અર્થવસ્થામાં મહત્ત્વનું યોગદાન આપે છે.
રુબિયોએ હોર્મુઝ અંગે પણ આપ્યું નિવેદન
આ દરમિયાન રુબિયોએ સંકેત આપ્યો હતો કે, હોર્મુઝ સ્ટ્રેટને લઈને આગામી થોડા કલાકોમાં સારા સમાચાર આવી શકે છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ માત્ર સારા સમાચાર હશે, આખરી નિર્ણય નહીં. આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે, ઈરાન સાથે શાંતિ વાર્તા લગભગ અંતિમ તબક્કામાં છે અને હવે માત્ર થોડા મુદ્દાઓ પર ચર્ચા બાકી છે. આ સાથે જ અમેરિકી અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, ઈરાન પોતાના પરમાણુ સ્ટોકને છોડવા માટે તૈયાર થઈ ગયું છે. જો અમેરિકા અને ઈરાન વચ્ચે આ ડીલ સફળ રહેશે, તો વિશ્વને મોટી રાહત મળશે.
ભારત અને અમેરિકાના સંબંધો અતૂટ : રુબિયો
પત્રકાર પરિષદમાં ભારત સાથેના સંબંધો પર વાત કરતા માર્કો રુબિયોએ જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકાના સંબંધો અતુટ છે. બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે બંને દેશોએ આતંકવાદનો સામનો કર્યો છે. અમેરિકન વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું કે, અમે વિશ્વની બે સૌથી મોટી લોકશાહી છીએ અને બંને દેશોના હિતો એક સમાન છે. આ ભાગીદારી માત્ર પ્રાદેશિક નથી પરંતુ તેનાથી પણ આગળની છે. વેસ્ટર્ન હેમિસ્ફિયર અને હોર્મુઝ સ્ટ્રેટ જેવા મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે અદભુત તાલમેલ છે અને જરૂરી ખનિજો સુધી પહોંચ મેળવવી એ પણ એક મહત્વનો વિષય છે. માર્કો રુબિયો (Marco Rubio)એ સ્વીકાર્યું હતું કે ભારતમાં વૈશ્વિક ઘટનાઓ પર પ્રભાવ પાડવાની ક્ષમતા છે અને તેથી જ આ વ્યૂહાત્મક જોડાણ જરૂરી છે. ખાસ કરીને ઊર્જા ક્ષેત્રે બંને દેશો સમાન વિચારધારા ધરાવે છે, જ્યાં માત્ર ઊર્જાનું ઉત્પાદન જ નહીં પરંતુ તેનું વિતરણ પણ મહત્વનું છે.
આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટનો ફેક ઓર્ડર બતાવી જેલથી મુક્ત થયો આરોપી, હવે 8 વર્ષ બાદ FIR નોંધાઈ









