- અમેરિકાના વિદેશમંત્રીની મહત્ત્વની જાહેરાત
- ભારતે હોર્મુઝ ખાડીમાં વિવાદનો મુદ્દો બેઠકમાં ઉઠાવ્યો, શાંતિથી વેપાર થાય તેની તરફેણ કરી
- બન્ને દેશો માટે ટ્રેડ ડીલ મહત્વપૂર્ણ, જેને વહેલા અંતિમ સ્વરૂપ આપવા અમેરિકાથી પ્રતિનિધિઓ ભારત આવશે : રૂબિયો
- ભારત મહત્વપૂર્ણ મિત્ર છે, ચીન અને પાક. સાથેના અમારા સંબંધોની અસર નહીં થવા દઇએ : રૂબિયો
- અમારી વિઝા નીતિઓની અસર ભારત પર ના થાય તેની તકેદારી રાખવામાં આવશે તેવી પણ રૂબિયોની ખાતરી
ભારત ચાર દિવસના પ્રવાસે આવેલા અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ એસ. જયશંકર સાથે દિલ્હીમાં મહત્વની બેઠક યોજી હતી. જે બાદ બન્ને દ્વારા સંયુક્ત પ્રેસ કોન્ફરંસ યોજવામાં આવી હતી, દરમિયાન માર્કો રૂબિયોએ કહ્યું હતું કે ભારત અને અમેરિકાની વચ્ચે વેપાર સમજૂતીને લઇને કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે. અમે એવી સમજૂતી ઇચ્છીએ છીએ કે જેમાં બન્ને દેશોના રાષ્ટ્રીય હિતો જળવાઇ રહે, અને બન્નેને તેનાથી લાભ થાય. રૂબિયોની આ જાહેરાત પરથી સ્પષ્ટ છે કે અમેરિકા અને ભારત વચ્ચે ટેરિફ મુદ્દે જે કરારો મૌખીક રીતે થયા હતા તેને હવે લેખિત સ્વરૂપ આપવામાં આવશે. ટેરિફને લઇને બન્ને દેશો વચ્ચે જે વિવાદ સર્જાયો હતો તેનો નિકાલ આ કરારો બાદ થાય તેવી શક્યતાઓ છે.
અમેરિકાના નિર્ણયો અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો બચાવ કરતા વિદેશમંત્રી રૂબિયોએ કહ્યું હતું કે ટ્રમ્પની નીતિ ભારત વિરોધી નથી, અનેક દેશો સાથે અમેરિકાનો વેપાર અસંતુલિત છે જેને ઠીક કરવો જરૂરી છે. ટૂંક સમયમાં અમેરિકાના વેપાર પ્રતિનિધિઓ કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે ભારત આવશે. દરમિયાન ભારત અને અમેરિકાની વચ્ચે વેપાર ઉપરાંત સંરક્ષણ, ઉર્જા, મહત્વપૂર્ણ ખનિજ, ટેક્નોલોજીમાં સહયોગ વગેરે મુદ્દે ચર્ચા થઇ છે. બન્ને વચ્ચે સેમીકન્ડક્ટર સપ્લાયને મજબૂત બનાવવા પર પણ ધ્યાન અપાયું છે. ચીન અને પાકિસ્તાન સાથે અમેરિકાના સંબંધો અંગે પૂછાયેલા એક સવાલના જવાબમાં રૂબિયોએ કહ્યું હતું કે અન્ય દેશો સાથે અમારા સંબંધથી ભારતને કોઇ નુકસાન નહીં થાય, અમે ભારતને સૌથી મહત્વપૂર્ણ મિત્ર દેશોમાં એક માનીએ છીએ.
જ્યારે ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે હોર્મુઝ ખાડીમાં હાલ વેપાર અટકી પડયો છે તેને લઇને કેટલીક સ્પષ્ટતા કરી હતી, તેમણે કહ્યું હતું કે ભારત ઇચ્છે છે કે હોર્મુઝ ખાડીમાં વેપારને કોઇ પણ પ્રકારનો અવરોધ ના નડે અને સરળતાથી માલ સામાનની અવર જવર થઇ શકે તે જરૂરી છે. આ બેઠકમાં જયશંકરે અમેરિકાના વિઝા અંગેના એવા નિર્ણયોનો પણ ઉલ્લેખ કર્યો હતો કે જેની સીધી અસર ભારતના નાગરિકો પર પડી રહી છે. જવાબમાં અમેરિકાના વિદેશમંત્રી રૂબિયોએ કહ્યું હતું કે કેટલીક અસરો થઇ શકે છે પરંતુ અમે અમારી ઇમિગ્રેશન સિસ્ટમમાં સુધારા કરી રહ્યા છીએ.
હાલમાં વિઝા નિયમોમાં જે સુધારા થઇ રહ્યા છે તેની અસર ભારત પર નહીં થાય. અમેરિકાના વિદેશમંત્રી અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી ચુક્યા છે, રવિવારે તેમણે વિદેશમંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરી હતી, સાથે જ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલ સાથે પણ તેમણે બેઠક યોજી હતી જે દરમિયાન સુરક્ષા મુદ્દે ચર્ચા થઇ હતી.
નોંધનીય છે કે ભારત અને અમેરિકાની વચ્ચે ટ્રેડ ડીલ પર માત્ર મૌખિક ચર્ચા થઇ હતી, જેમાં બન્ને દેશોની વસ્તુઓ પરનો ટેરિફ મુખ્ય મુદ્દો છે. હવે જ્યારે આ ટ્રેડ ડીલને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે ત્યારે ક્યા દેશને કેટલો ફાયદો અને નુકસાન થશે તે સ્પષ્ટ થઇ જશે.
આઇ લવ ઇન્ડિયા એન્ડ મોદી લાઇવ કોલ પર ટ્રમ્પે પ્રસંશા કરી
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા, ટ્રમ્પે કહ્યું હતું કે હું ભારત અને નરેન્દ્ર મોદીને પ્રેમ કરું છું. અમેરિકાના ૨૫૦માં સ્વતંત્રતા દિવસની ઉજવણી ચાલી રહી છે, આ ઉજવણીના ભાગરૂપે દિલ્હીમાં સ્થિત અમેરિકન એમ્બસીમાં કાર્યક્રમ યોજાયો હતો, આ કાર્યક્રમમાં સામેલ અમેરિકન રાજદૂત સેરગીઓ ગોરે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ચાલુ કાર્યક્રમમાં ફોન કર્યો હતો. બાદમાં ફોનનુ સ્પીકર ઓન કરી દીધુ, દરમિયાન ટ્રમ્પે આ ટેલિફોનિક વાતચીતમાં કહ્યું હતું કે આઇ લવ ઇન્ડિયા એન્ડ પીએમ મોદી. ટ્રમ્પના આ નિવેદનના ત્યાં હાજર લોકોએ પણ વખાણ કર્યા અને આવકાર્યું હતું. ટ્રમ્પે વધુમાં કહ્યું હતું કે જ્યારે પણ જરૂર પડે ત્યારે ભારત મારી મદદ લઇ શકે છે. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મોટો ફેન છું. આ કાર્યક્રમમાં ભારત આવેલા અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો, ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર પણ જોડાયા હતા.


