વિશ્વના નવા નકશાને ભારતે આપ્યો ટેકો, પણ કાશ્મીર-લદાખ મુદ્દે સંયુક્ત રાષ્ટ્રને આપી કડક ચેતવણી!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India Supports UNGA Map Proposal: સદીઓથી સમગ્ર વિશ્વમાં ભણાવવામાં આવતા અને ઓફિસોમાં વપરાતા પૃથ્વીના નકશામાં હવે એક મોટો અને ઐતિહાસિક બદલાવ આવવા જઈ રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા(UNGA)એ વિશ્વના તમામ ખંડોના સાચા અને વાસ્તવિક ક્ષેત્રફળને દર્શાવતા નવા નકશાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ભારતે આ વૈશ્વિક પહેલની તરફેણમાં મતદાન કરીને પ્રસ્તાવને ટેકો આપ્યો છે, પરંતુ સાથે જ સ્પષ્ટ શબ્દોમાં કડક ચેતવણી આપી છે કે જમ્મુ-કાશ્મીર અને લદાખ સહિતના ભારતના સાર્વભૌમ ક્ષેત્રોનું નિરૂપણ દેશના સત્તાવાર નકશા મુજબ જ થવું જોઈએ અને કોઈપણ ભ્રામક ચિત્રણ ચલાવી લેવાશે નહીં.
આફ્રિકાની આગેવાનીમાં 16મી સદીના 'મર્કેટર' નકશા સામે અભિયાન
વિશ્વભરમાં હાલ સૌથી વધુ જે નકશો ચલણમાં છે તે 16મી સદીમાં બનેલા 'મર્કેટર પ્રોજેક્શન' પર આધારિત છે. આ જૂના નકશામાં ઉત્તરીય ગોળાર્ધના પશ્ચિમી દેશો વાસ્તવિકતા કરતાં ઘણા મોટા દેખાય છે, જ્યારે આફ્રિકા અને દક્ષિણ એશિયા જેવા વિસ્તારો નાના નજરે પડે છે. આ અસમાનતા દૂર કરવા આફ્રિકન દેશોની આગેવાની હેઠળ ચાલેલી વૈશ્વિક મુહિમ અંતર્ગત 4 સપ્ટેમ્બર 2026 ના રોજ UNGAમાં 'કરેક્ટ ધ મેપ: રીબેલેન્સિંગ ગ્લોબલ કાર્ટોગ્રાફિક રિપ્રેઝન્ટેશન એન્ડ પ્રમોટિંગ ઇક્વિટેબલ રિપ્રેઝન્ટેશન ઓફ ધ વર્લ્ડ્સ રીજન, પર્ટીક્યુલર્લી આફ્રિકા' શીર્ષક હેઠળનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો.
આ પ્રસ્તાવ મર્કેટર પ્રોજેક્શન પર સીધો પ્રતિબંધ નથી મૂકતો કે ન તો કોઈ નકશો બળજબરીથી થોપે છે, પરંતુ તે સરકારો, શાળાઓ, વૈશ્વિક સંસ્થાઓ અને ટેક કંપનીઓને 'ઇક્વલ અર્થ પ્રોજેક્શન' જેવા સંતુલિત નકશાઓનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરે છે.
વિદેશ મંત્રાલયની સ્પષ્ટતા: સરહદો પર કોઈ બાંધછોડ નહીં
ભારતે આ ઠરાવના પક્ષમાં મતદાન કર્યું હોવા છતાં, વિદેશ મંત્રાલય(MEA)ના પ્રવક્તા રણધીર જાયસ્વાલે દેશની સરહદો અંગે ભારતનું સત્તાવાર વલણ દ્રઢતાથી રજૂ કર્યું હતું,
"ભારતે પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું અને સમાન ક્ષેત્રફળ આધારિત ભૌગોલિક નિરૂપણના સિદ્ધાંત પર ભાર મૂકતા મતની વિગતવાર સમજૂતી આપી. અમે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ ઠરાવ કોઈપણ ચોક્કસ નકશા, પ્રોજેક્શન કે રાષ્ટ્રીય સરહદોના ચિત્રણનું સમર્થન કરતો નથી. જમ્મુ-કાશ્મીર અને લદાખ કેન્દ્રશાસિત પ્રદેશો સહિત ભારતનું સાર્વભૌમ ક્ષેત્ર ભારતના સત્તાવાર નકશા અનુસાર જ દર્શાવવું અનિવાર્ય છે. કોઈપણ અચોક્કસ કે ભ્રામક ચિત્રણ અસ્વીકાર્ય છે. ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા પર અમારું વલણ સ્પષ્ટ, સતત એકસમાન અને કોઈ પણ સંજોગોમાં બાંધછોડ ન કરનારું છે." — રણધીર જાયસ્વાલ (પ્રવક્તા, વિદેશ મંત્રાલય)
રાજકીય સીમાઓ અને સ્થળોના નામ સાથે ઠરાવને કોઈ લેવાદેવા નથી
MEA પ્રવક્તાએ સ્પષ્ટતા કરી હતી કે, આ ઠરાવનો મુખ્ય હેતુ ખંડોના વાસ્તવિક કદનું સંતુલન જાળવવાનો છે. તે કોઈપણ ચોક્કસ નકશાને પ્રમાણિત કરતો નથી કે આંતરરાષ્ટ્રીય સરહદો, વિવાદિત વિસ્તારો કે સ્થળોના નામો જેવા રાજકીય નકશાના વિષયો સાથે તેને કોઈ સંબંધ નથી. તેથી કોઈપણ પ્લેટફોર્મ ભારતની આંતરરાષ્ટ્રીય સીમાઓ સાથે છેડછાડ કરી શકે નહીં.
ફ્લેટ મેપની મર્યાદાઓ સમજાવવા પર ભાર
આ ઠરાવ માત્ર નકશો બદલવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે શાળાઓ અને શિક્ષણ સંસ્થાઓમાં એ વાત શીખવવા પર પણ ભાર મૂકે છે કે ગોળાકાર પૃથ્વીને સપાટ કાગળ કે સ્ક્રીન પર દર્શાવતી વખતે કેવી ભૌગોલિક મર્યાદાઓ સર્જાય છે. 'ઇક્વલ અર્થ' પ્રોજેક્શન હવે ભવિષ્યમાં ટેકનોલોજી અને શિક્ષણ જગતમાં માનક નકશો બનવા તરફ આગળ વધી રહ્યો છે.




