India

કૈલાશ માનસરોવર યાત્રા પર નેપાળની અવળચંડાઈ! ભારતે કહ્યું- વાતચીતથી ઉકેલ શક્ય

By GS TEAM
4 May 20262 mins read
TukuTouch Logo
ભારત અને નેપાળ વચ્ચે સરહદ મુદ્દે ફરી એકવાર ચર્ચા જાગી છે. નેપાળના વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ બાદ ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ભારતનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે જણાવ્યું કે, આ મામલે ભારતનો પક્ષ હંમેશા સ્પષ્ટ અને મક્કમ રહ્યો છે. ભારત તમામ વિવાદિત મુદ્દાઓનું સમાધાન વાતચીત અને રાજદ્વારી વ્યૂહનીતિ દ્વારા કરવા માટે હંમેશા તૈયાર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કૈલાશ માનસરોવર યાત્રા પર નેપાળની અવળચંડાઈ! ભારતે કહ્યું- વાતચીતથી ઉકેલ શક્ય
(IMAGE - IANS)

Lipulekh Pass Dispute: ભારત અને નેપાળ વચ્ચે સરહદ મુદ્દે ફરી એકવાર ચર્ચા જાગી છે. નેપાળના વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ બાદ ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ભારતનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે જણાવ્યું કે, આ મામલે ભારતનો પક્ષ હંમેશા સ્પષ્ટ અને મક્કમ રહ્યો છે. ભારત તમામ વિવાદિત મુદ્દાઓનું સમાધાન વાતચીત અને રાજદ્વારી વ્યૂહનીતિ દ્વારા કરવા માટે હંમેશા તૈયાર છે.

લિપુલેખ પાસ અંગે ભારતની સ્પષ્ટતા

વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર માહિતી આપતા જણાવ્યું કે, લિપુલેખ પાસ વર્ષ 1954થી જ કૈલાશ માનસરોવર યાત્રા માટેનો એક પરંપરાગત અને સતત ઉપયોગમાં લેવાતો માર્ગ છે. દાયકાઓથી આ માર્ગે શ્રદ્ધાળુઓ યાત્રા કરતા આવ્યા છે અને આ કોઈ નવી વાત નથી. ભારતે સ્પષ્ટ કર્યું કે નેપાળ દ્વારા કરવામાં આવતા એકતરફી સરહદ વિસ્તરણના દાવાઓ ઐતિહાસિક તથ્યો કે પુરાવાઓ પર આધારિત નથી, તેથી આવા દાવાઓ સ્વીકારી શકાય નહીં.

ચીને 1000 ભારતીય શ્રદ્ધાળુઓ માટે આપી મંજૂરી

ચીને વર્ષ 2026 માટે કૈલાશ માનસરોવર યાત્રાને લઈને એક મોટી જાહેરાત કરી છે, જે અંતર્ગત 1000 ભારતીય શ્રદ્ધાળુઓ આ પવિત્ર યાત્રાનો લાભ લઈ શકશે. ભારત અને ચીન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અને ધાર્મિક સંવાદને મજબૂત કરવા માટે આને એક મહત્ત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ યાત્રા જૂન અને ઓગસ્ટ 2026 દરમિયાન યોજાશે, જેમાં કુલ 10 જથ્થાઓ રવાના કરવામાં આવશે. આ તીર્થયાત્રા લિપુલેખ પાસ અને સિક્કિમમાં આવેલા નાથુ લા પાસ એમ બે પરંપરાગત માર્ગો દ્વારા પૂર્ણ કરવામાં આવશે, જેનાથી શ્રદ્ધાળુઓ માટે કૈલાશ માનસરોવર પહોંચવું સરળ બનશે.

આ પણ વાંચો: LIVE : 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ, પ.બંગાળમાં ભાજપ-TMC વચ્ચે રસાકસી

શું છે નેપાળનો વિરોધ?

હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મના લોકો માટે અત્યંત પવિત્ર મનાતી આ યાત્રા સામે નેપાળ લાંબા સમયથી લિપુલેખ વિસ્તાર પર પોતાનો દાવો કરી રહ્યું છે. નેપાળની દલીલ છે કે ભારત અને ચીન નેપાળની સંમતિ વિના આ ક્ષેત્રના ઉપયોગ અંગે કોઈ નિર્ણય લઈ શકે નહીં. લિપુલેખ પાસ એ કાલાપાની ક્ષેત્રમાં સ્થિત વ્યૂહનીતિની દ્રષ્ટિએ મહત્ત્વના ત્રણ બિંદુઓ પૈકીનું એક છે. જોકે, ભારતે મિત્ર દેશ નેપાળ સાથેના સંબંધો જાળવી રાખીને તમામ પડતર મુદ્દાઓ પર સહયોગ અને સંવાદ ચાલુ રાખવાની તૈયારી દર્શાવી છે.