| (IMAGE - IANS) |
Indus Waters Treaty suspension: ભારતે સ્પષ્ટ શબ્દોમાં પાકિસ્તાનને ચેતવણી આપી છે કે જ્યાં સુધી તે 'આતંકવાદનું વૈશ્વિક કેન્દ્ર' બનીને પોતાની હરકતોમાં સુધારો નહીં કરે, ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત જ રહેશે. વિશ્વ જળ દિવસ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે જણાવ્યું હતું કે, પાકિસ્તાને સંધિઓની પવિત્રતાની વાતો કરતા પહેલા માનવ જીવનની પવિત્રતાનો આદર કરવો જોઈએ. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારત હંમેશા એક જવાબદાર રાષ્ટ્ર રહ્યું છે, પરંતુ જવાબદારી બંને તરફથી હોવી જોઈએ. પાકિસ્તાને પોતાની સરકારી નીતિ તરીકે આતંકવાદનો ઉપયોગ કરવાનું સંપૂર્ણપણે બંધ કરવું પડશે.
આતંકવાદ અને સિંધુ જળ સંધિ: ભારતનું કડક વલણ
ભારતે વર્ષ 1960માં મિત્રતા અને સદભાવનાના ભાવ સાથે સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા, પરંતુ પાકિસ્તાને આ ભાવનાનો ભંગ કરીને ભારત પર ત્રણ યુદ્ધો અને હજારો આતંકી હુમલાઓ કર્યા છે. ગયા વર્ષે પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે આ સંધિને સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. પી. હરીશે વધુમાં જણાવ્યું કે પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદમાં હજારો નિર્દોષ ભારતીયોએ જીવ ગુમાવ્યા છે. આપણી ઉદારતા પાકિસ્તાનને બદલી શકી નથી, તેથી હવે આ સંધિ ત્યારે જ પુનઃસ્થાપિત થશે જ્યારે પાકિસ્તાન આતંકવાદને આપવામાં આવતો ટેકો કાયમી ધોરણે બંધ કરશે.
આ પણ વાંચો: રાજ્યસભાના સૌથી ધનિક સાંસદ પાસે છે 5300 કરોડની સંપત્તિ, જાણો સૌથી 'ગરીબ' કોણ?
જળ જીવન મિશન: ભારતની વૈશ્વિક સિદ્ધિ
વિશ્વ જળ દિવસના સંદર્ભમાં ભારતના આંતરિક પ્રયાસોની માહિતી આપતા તેમણે જણાવ્યું કે, ભારત 'જળ જીવન મિશન' દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાનું વિશ્વનું સૌથી મોટું અભિયાન ચલાવી રહ્યું છે. 2019માં શરૂ થયેલા આ મિશન હેઠળ અત્યાર સુધીમાં 81.76% ગ્રામીણ ઘરો(આશરે 1.58 કરોડ પરિવારો) સુધી સુરક્ષિત પાણી પહોંચાડવામાં આવ્યું છે. આ મિશનમાં મહિલાઓના નેતૃત્વવાળી ગ્રામ જળ સમિતિઓની ભૂમિકા અત્યંત મહત્ત્વની રહી છે. ભારતે ટૅક્નોલૉજી અને વૈજ્ઞાનિક સહયોગ દ્વારા જળ વ્યવસ્થાપનમાં મજબૂત ક્ષમતા કેળવી છે.


