Get The App

ભારત-ઓમાન વેપાર કરાર અમલમાં કારોબાર 13 અબજ ડોલરે પહોંચશે

Updated: Jun 2nd, 2026

GS TEAM

Google News
Google News
ભારત-ઓમાન વેપાર કરાર અમલમાં કારોબાર 13 અબજ ડોલરે પહોંચશે 1 - image

- બ્રિટન સાથેના એફટીએ કાર્બન ટેક્સના મુદ્દે અટવાયો

- ઓમાનમાં લગભગ સાત લાખ ભારતીયો વસે છે અને દર વર્ષે તેઓ બે અબજ ડોલરનું રેમિટન્સ મોકલે છે

નવી દિલ્હી : ભારત-ઓમાન વચ્ચેનો મુક્ત વેપાર કરાર આજથી અમલમાં આવી ગયો છે. તેના લીધે ભારતના ૯૯ ટકા ઉત્પાદનોને ડયુટી ફ્રી એક્સેસ મળશે. તેમા કાપડ, એન્જિનિયરિંગ, હીરા અને ઝવેરાતનો સમાવેશ થાય છે. બીજી બાજુએ ભારતીય ગ્રાહકોને સસ્તી ઓમાની ખજૂર મળશે. તેના લીધે બંને દેશો વચ્ચેનો હાલનો ૧૧ અબજ ડોલરનો વેપાર ૧૩ અબજ ડોલરે પહોંચી જશે.

ભારતે કુલ ટેરીફ લાઇનમાં ૭૭.૭૯ ટકા જકાત રાહત પૂરી પાડી છે. તે મૂલ્યની રીતે ઓમાનમાંથી થતી ભારતની ૯૪.૮૧ ટકા આયાતને આવરી લે છે. આમ ઓમાન અને ભારત વચ્ચે મોટાભાગના ઉત્પાદનોની આયાતનિકાસ જકાતમુક્ત બની જશે. તેમા ખજૂર, માર્બલ્સ અને પેટ્રોકેમિકલ્સ ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. 

કોમ્પ્રીહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (સીઇપીએ) ભારતથી ઓમાનમાં મૂલ્યની રીતે થતી ૯૯.૩૮ ટકા નિકાસને  ડયુટી-ફ્રી એક્સેસ પૂરુ પાડે છે. તેની સામે ઓમાનમાંથી ભારતમાં થતી ૯૮.૦૮ ટકા નિકાસને પણ ડયુટી ફ્રી એક્સેસ પૂરુ પાડવામાં આવ્યું છે. સીઇપીએમાં છ દેશ ઓમાન, કતાર, બહેરીન, કુવૈત, સાઉદી અરેબિયા અને યુએઈનો સમાવેશ થાય છે. હાલમાં અમેરિકા-ઇરાન વચ્ચે ચાલતા યુદ્ધના લીધે બીજા દેશો સાથેના સીઇપીએનો અમલ થઈ શકે તેમ નથી. 

વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયૂષ ગોયલે જણાવ્યું હતું કે  ઓમાન વિશ્વસનીય ભાગીદાર છે. તે ભારત માટે અખાત અને પૂર્વ આફ્રિકાનું પ્રવેશદ્વાર છે. તેના લીધે શ્રમલક્ષી ક્ષેત્રોને ફાયદો થશે. રોજગાર સર્જન થશે, રોકાણને વેગ મળશે. ભારતીય કંપનીઓને માર્કેટ એક્સેસ મળશે. બંને દેશ વચ્ચે ૨૦૨૫-૨૬માં ૧૧.૧૮ અબજ ડોલરનો કારોબાર થયો હતો. હવે આ કરારથી આ કારોબાર નજીકના ભવિષ્યમાં ૧૩ અબજ ડોલરે પહોંચશે તેમ મનાય છે.ઓમાનમાં સાત લાાખ ભારતીયો વસે છે અને દર વર્ષે તેઓ બે અબજ ડોલરનું રેમિટન્સ પણ મોકલે છે.

ભારત અને યુકે વચ્ચે ગયા વર્ષે જ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયો હતો, પરંતુ યુકેએ લાદેલા કાર્બન ટેક્સના કારણે આ કરારનો અમલ અટવાયો છે. તેના પર ચર્ચા કરવા બંને દેશના અધિકારી મંગળવારે મળશે. હવે જો યુકે આ મુદ્દે મચક આપવા તૈયાર ન થાય તો ભારત પણ તેને કેટલીક પ્રોડક્ટ્સ પર આપેલી રાહત પાછી ખેંચી લે તેમ માનવામાં આવે છે. ભારત યુકે ખાતે ૭૭.૫ કરોડ ડોલરની નિકાસ કરે છે. તેના પર ૨૦૨૭માં અમલમાં આવનારા કાર્બન ટેક્સના કારણે અસર પડશે. હવે તેને બાયપાસ કરવા માટે આજની બેઠક મળી છે.