Get The App

'બીજાને દોષી ઠેરવા પાડોશી દેશની જૂની આદત', ઇસ્લામાબાદમાં થયેલા હુમલા પર પાકિસ્તાનના આરોપો ભારતે ફગાવ્યા

Updated: Feb 6th, 2026

GS TEAM

Google News
Google News
'બીજાને દોષી ઠેરવા પાડોશી દેશની જૂની આદત', ઇસ્લામાબાદમાં થયેલા હુમલા પર પાકિસ્તાનના આરોપો ભારતે ફગાવ્યા 1 - image


India MEA Statement: પાકિસ્તાનના ઇસ્લામાબાદના તરલાઈ વિસ્તારના ઇમામબર્ગમાં આજે(6 ફેબ્રુઆરી, 2026) શિયા મસ્જિદની બહાર થયેલા બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 31 લોકોના મોત થઈ ગયા છે અને 170થી વધુ લોકો ઘાયલ થયા છે. પોલીસ અધિકારીઓએ આ બ્લાસ્ટનો આત્મઘાતી હુમલો ગણાવ્યો છે. જોકે, હુમલો થતાં જ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કોઈ પુરાવા વિના ભારત અને અફઘાનિસ્તાન પર આરોપ લગાવ્યો છે. ત્યારે હવે આ મામલે ભારતે પાકિસ્તાનના આરોપ ફગાવતા સત્તાવાર પ્રતિક્રિયા આપી છે.

ભારતે પાકિસ્તાનના આરોપો ફગાવ્યા

ભારતે ઇસ્લામાબાદમાં થયેલા બ્લાસ્ટને લઈને શાહબાઝ શરીફ સરકાર દ્વારા લગાવવામાં આવેલા આરોપોને નકારી કાઢ્યા છે. ભારતના વિદેશ મંત્રાલયે આ ઘટના પર કડક પ્રતિક્રિયા આપી છે, આવા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. ભારતે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, પડોશી દેશ પોતાના ઘરેલું કારણોથી ઉદ્ભવતી સમસ્યાઓ માટે બીજાઓ પર દોષારોપણ કરીને પોતાને ભ્રમિત કરી રહ્યો છે.

ઇસ્લામાબાદમાં થયેલો બ્લાસ્ટ નિંદનીય: ભારતીય વિદેશ મંત્રાલય

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, 'આજે ઇસ્લામાબાદમાં એક મસ્જિદમાં થયેલો બોમ્બ બ્લાસ્ટ નિંદનીય છે, અને ભારત જાનમાલના નુકસાન માટે સંવેદના વ્યક્ત કરે છે. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે તેના સામાજિક માળખાને અસર કરતી સમસ્યાઓને ગંભીરતાથી સંબોધવાને બદલે પાકિસ્તાન પોતાના ઘરેલું કારણોથી ઉદ્ભવતી સમસ્યાઓ માટે બીજાઓ પર દોષારોપણ કરીને પોતાને ભ્રમિત કરી રહ્યું છે. ભારત આવા તમામ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢે છે, જે ફક્ત પાયાવિહોણા જ નહીં પણ અર્થહીન પણ છે.'

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ ભારત પર લગાવ્યો છે આરોપ

શુક્રવારની નમાજ દરમિયાન ઇસ્લામાબાદમાં શિયા મસ્જિદની બહાર થયેલા આત્મઘાતી બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 31 લોકો માર્યા ગયા છે અને લગભગ 170 લોકો ઘાયલ થયા છે. બ્લાસ્ટ થતાં જ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કોઈ પુરાવા વિના ભારત અને અફઘાનિસ્તાન પર આરોપ લગાવ્યો. તેમની જૂની આદત મુજબ, તેમણે કહ્યું કે, 'બ્લાસ્ટખોરો ભારત સમર્થિત જૂથો સાથે જોડાયેલા હોઈ શકે છે.' કોઈપણ પુરાવા વિના ભારત પર આતંકવાદી ઘટનાઓનો આરોપ લગાવવો પાકિસ્તાનમાં આદત બની ગઈ છે.

બ્લાસ્ટ કેવી રીતે થયો? પ્રત્યક્ષદર્શીઓએ આપી માહિતી

ઇસ્લામાબાદમાં બ્લાસ્ટ ઇસ્લામાબાદના તરલાઈ વિસ્તારમાં ખાદીજાતુલ કુબ્રા મસ્જિદ-કમ-ઇમામ્બરામાં થયો હતો. મસ્જિદના પ્રવેશદ્વાર પર રોકાયા બાદ આત્મઘાતી બ્લાસ્ટખોરે પોતાને ઉડાવી દીધો. પ્રત્યક્ષદર્શીઓએ અહેવાલ આપ્યો કે આતંકવાદીઓએ પહેલા ગોળીબાર કર્યો અને પછી બોમ્બ બ્લાસ્ટ કર્યો. જીઓ ન્યૂઝ અનુસાર, જ્યારે આતંકવાદીને મસ્જિદના મુખ્ય દરવાજા પાસે એક ગાર્ડે અટકાવ્યો, ત્યારે તેણે ગોળીબાર કર્યો. તે મસ્જિદ વિસ્તાર તરફ દોડી ગયો અને પોતાને ઉડાવી દીધો. બોમ્બરે એટલા શક્તિશાળી બ્લાસ્ટકનો ઉપયોગ કર્યો કે તેનાથી નજીકના ઘરોની બારીઓ તૂટી ગઈ. આ હુમલો ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મિર્ઝીયોયેવની પાકિસ્તાન મુલાકાત દરમિયાન થયો હતો.