અપાત્ર લોકોને મફત લાભ આપશો તો કુબેર પણ કંગાળ થઈ જશે!, તેલંગાણા હાઈકોર્ટની લાલ આંખ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

તેલંગાણા હાઇકોર્ટના ન્યાયાધીશ નાગેશ ભીમપાકાએ રાજ્યમાં ચાલી રહેતી મફત યોજનાઓ અને અપાત્ર લાભાર્થીઓના કારણે સરકારી ખજાના પર પડતા ભારે નાણાકીય બોજ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. એક મહત્ત્વપૂર્ણ સુનાવણી દરમિયાન તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો આવી જ રીતે બિનજરૂરી મફત સુવિધાઓ આપવાનો સિલસિલો ચાલુ રહેશે, તો ભગવાન કુબેર પણ એક દિવસ નાદાર થઈ જશે. સરકારી ભંડોળમાંથી કર્મચારીઓના પગાર, દેવાની ચૂકવણી અને કલ્યાણકારી કાર્યો બાદ ફંડ ઘણું ઓછી માત્રામાં બચે છે.
કરોડપતિઓ દ્વારા લાભ લેવા પર સવાલ અને રાજકીય વિવાદ
અદાલતે 'રાયતુ બંધુ' જેવી કલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કરતા મોટો સવાલ ઉઠાવ્યો હતો કે શું આ યોજનાઓનો લાભ દેશના કરોડપતિઓ પણ નથી લઈ રહ્યા? તેમણે કહ્યું કે કલ્યાણકારી કાર્યક્રમો ચોક્કસપણે હોવા જોઈએ, પરંતુ અનેક લોકો કોઈપણ પાત્રતા વગર તેનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. આજના સમયમાં જો કોઈ એક પણ અપાત્ર લાભાર્થીનું પીડીએસ (PDS) રેશન કાર્ડ રદ કરવામાં આવે, તો તરત જ મોટો રાજકીય વિવાદ ઊભો થઈ જાય છે, જેના કારણે પ્રશાસનને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
અવમાનના કેસ અને નાણાકીય સચિવની અદાલતમાં હાજરી
આ સમગ્ર પ્રકરણ સિકંદરાબાદ છાવણી બોર્ડના એક સભ્ય દ્વારા દાખલ કરવામાં આવેલી અવમાનના અરજી સાથે જોડાયેલું છે. વર્ષ 2024માં હાઇકોર્ટે રાજ્ય સરકારને 33 કરોડ રૂપિયાથી વધુની લેણી થતી રકમ બાબતે વિચારણા કરવાનો આદેશ આપ્યો હતો. નિર્ધારિત સમયમાં પાલન ન થવા પર નાણાકીય સચિવ સંદીપ કુમાર સુલતાનિયા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. શુક્રવારે વરિષ્ઠ આઈએએસ (IAS) અધિકારી વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર રહ્યા હતા, ત્યારબાદ કોર્ટે આ મામલાની આગામી સુનાવણી 19 ઓગસ્ટના રોજ હાથ ધરવાનો નિર્ણય લીધો છે.









