‘80માંથી 40 નંબર નહીં આવે તો...’ રાજસ્થાનના શિક્ષણ મંત્રીની શિક્ષકોને ચેતવણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Madan Dilawar Teachers Warning Rajasthan: રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવરે સરકારી શાળાઓમાં શિક્ષણની ભૂમિકા અંગે નિવેદન આપ્યું હતું. જેમાં શિક્ષણ મંત્રીએ શિક્ષકોને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યા કે, 'જો કોઈ વિદ્યાર્થી 80 માંથી 40થી ઓછા ગુણ મેળવે છે તો આ માટે સંબંધિત શિક્ષકને પ્રશ્નોનો સામનો કરવો પડી શકે છે. તેમજ જો જરૂરી જણાય તો આવા શિક્ષકોનો વાર્ષિક પગાર વધારો અટકાવવા અને દૂરના સ્થળે ટ્રાન્સફર કરવાની પણ કરાશે. આમ, સરકારનો ઉદ્દેશ્ય શિક્ષકો પર દબાણ લાવવાનો નથી, પરંતુ સરકારી શાળાઓમાં ગુણવત્તાયુક્ત અને મૂલ્ય આધારિત શિક્ષણ સુનિશ્ચિત કરવાનો છે.'
રાજસ્થાનના શિક્ષણ મંત્રીની શિક્ષકોને ચેતવણી
ટોંક ખાતે એક કાર્યક્રમમાં સંબોધન વખતે શિક્ષણ મંત્રી મદન દિલાવરે કહ્યું કે, 'લાંબા સમયથી પરીક્ષાના પરિણામની ટકાવારીને જ સફળતાના એકમાત્ર માપદંડ તરીકે ગણવામાં આવતી હતી, જ્યારે શિક્ષણની વાસ્તવિક ગુણવત્તા પર પૂરતું ધ્યાન આપવામાં આવતું ન હતું. ઘણી વખત, જ્યારે કોઈ વિદ્યાર્થી 80 માંથી માત્ર 13 ગુણ મેળવે છે ત્યારે પણ શિક્ષકો 100 ટકા સાક્ષરતા દર તથા દરેક વિદ્યાર્થી સફળ હોવાનો દાવો કરે છે અને ગર્વપૂર્વક આ સિદ્ધિને રજૂ કરે છે. પણ ખરેખર એ વિદ્યાર્થીમાં શિક્ષણશક્તિ નિમ્ન કક્ષાએ હોય છે. આવી પરિસ્થિતિમાં માત્ર પરિણામપત્રમાં છપાયેલા ટકાનો આધાર લેવાના સ્થાને વિદ્યાર્થીઓના વાસ્તવિક પ્રદર્શનને વિશેષ મહત્ત્વ આપવું અનિવાર્ય છે.'
શિક્ષણમંત્રીના જણાવ્યા અનુસાર, રાજસ્થાન શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ સાધી રહ્યું છે. તેમણે દાવો કર્યો છે કે, છેલ્લાં ત્રણ વર્ષોમાં નોંધપાત્ર શિક્ષણ દર હાસલ થયું છે. સમગ્ર દેશમાં શિક્ષણ ક્ષેત્રે રાજસ્થાન 14માં સ્થાનેથી 4 સ્થાને આવી પહોંચ્યું છે. આ પરિણામ શિક્ષકોની મહેનત અને શિક્ષણ નીતિમાં થયેલા સુધારને આભારી છે.
શિક્ષકો મારાથી નારાજ છે, પણ પરિવર્તન જરૂરી…
મદન દિલાવરે જણાવ્યું કે, 'સરકારી શિક્ષકો મારા અનેક નિર્ણયોથી નારાજ છે. શિક્ષકોને લાગે છે કે હું દરરોજ એક નવો નિયમ લાગુ કરું છું. ઘણી વાર મેં શાળાઓમાં મોબાઇલ ફોન પર પ્રતિબંધ મૂક્યો, વિદ્યાર્થીઓ માટે લઘુતમ ગુણ નક્કી કર્યા અને દારૂ કે ગુટખા પીધા પછી શાળાએ આવનારાઓની યાદી તૈયાર કરવા સૂચનાઓ આપી. આ બધા પગલાં શિક્ષણ પ્રણાલીમાં સુધારો લાવવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યા છે અને ભવિષ્યમાં વિદ્યાર્થીઓના હિતમાં જરૂરી નિર્ણયો લેવામાં આવશે.'
સરકારી શાળાનો ખાનગી શાળાઓને પડકાર
મંત્રી દિલાવરે કહ્યું કે, 'પહેલીવાર રાજસ્થાનની સરકારી શાળાઓના વિદ્યાર્થીઓએ મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે. લાખો રૂપિયા ફી વસૂલતી ઘણી ખાનગી શાળાઓ પણ હવે સરકારી શાળાઓથી પાછળ છે. શાળાઓમાં શિક્ષણની ગુણવત્તામાં સતત સુધારો થયો છે. જ્યારે ખાનગી શાળાઓને સારા શિક્ષણનો પર્યાય માનવામાં આવતી હતી તે યુગનો અંત આવી ગયો છે. આજે સરકારી શાળાઓ પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવામાં સક્ષમ છે અને સરકારનું લક્ષ્ય વિદ્યાર્થીઓને મૂલ્યો અને સંસ્કૃતિ આધારિત શિક્ષણ સાથે જ્ઞાન પ્રદાન કરવાનું છે.'









