- ગૃહિણીના મોત પર મહિને રૂ. 30 હજારના હિસાબે વળતર નક્કી કરો : સુપ્રીમ
- ગૃહિણીઓ એક પેઢી તૈયાર કરે, પરિવારને મજબુત બનાવે છે જેનાથી માનવ સંસાધન અને રાષ્ટ્રનું નિર્માણ થાય છે : સુપ્રીમ
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે ગૃહિણીઓને લઇને મહત્વપૂર્ણ અવલોકન કર્યું હતું અને કહ્યું હતું કે ગૃહિણીઓને રાષ્ટ્ર નિર્માતાનું બિરુદ આપવું જોઇએ કેમ કે દેશના નિર્માણમાં તેમનું ઘણુ યોગદાન છે. ગૃહિણીઓને તેમના આ યોગદાન બદલ મહિને ૩૦ હજાર રૂપિયા મળવા જ જોઇએ. ગૃહિણીઓ એક આખી જનરેશનનો ઉછેર કરે છે, પરિવારને મજબુત બનાવે છે જેનાથી માનવ વિકાસ થાય છે. તેમના આ યોગદાન સામે ગૃહિણી જેવો શબ્દ બહુ નાનો પડે.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ગૃહિણીઓ દ્વારા કરવામાં આવતુ ઘરેલુ કામ અને દેખરેખની સેવા બદલ તેમને આર્થિક મૂલ્ય મળવું જોઇએ અને તેની સામે આંખ આડા કાન ના કરી શકાય. સામાન્ય રીતે અકસ્માત થાય ત્યારે મૃત્યુ પામનારને અપાતા વળતરની એક ચોક્કસ રકમ નક્કી કરવામાં આવે છે. જ્યારે કોઇ ગૃહિણીનું મોત થાય ત્યારે વળતરની કોઇ જ જોગવાઇ નથી. એવામાં સુપ્રીમ કોર્ટ દ્વારા આ મુદ્દે એક ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જેમાં ગૃહિણીના મોત પર વળતરની રકમ નક્કી કરવામાં આવી છે. ગૃહિણીના મહિને ૩૦ હજાર રૂપિયાની આવકના હિસાબે વળતર નક્કી કરવા સુપ્રીમે કહ્યું હતું. આ સમગ્ર મામલો વાહન અકસ્માત સાથે સંકળાયેલો છે, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સંજય કરોલ અને એન. કે. સિંહની બેંચ દ્વારા અવલોકન કરાયું હતું કે ઘર સંભાળનારી મહિલાઓના યોગદાન સામે હોમમેકર કે ગૃહિણી શબ્દ બહુ નાનો પડે, આવી મહિલાઓને રાષ્ટ્ર નિર્માતાથી સંબોધવી જોઇએ, કેમ કે તેઓનું યોગદાન માત્ર ઘર સુધી સિમિત નથી, તેઓ દેશના નિર્માણમાં પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. વર્ષ ૨૦૦૧માં રેશમા નામની એક મહિલાનું રોડ અકસ્માતમાં મોત થયું હતું, તેથી તેના પતિ અને બાળકો વળતર માટે મોટર એક્સીડેન્ટ ક્લેમ ટ્રિબ્યૂનલ પહોંચ્યા હતા. ટ્રિબ્યૂનલે ૨૦૦૩માં વળતર આપવા આદેશ કર્યો પરંતુ મામલો વર્ષો સુધી અટવાયેલો રહ્યો, બાદમાં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે ૨૦૨૪માં ચુકાદો આપ્યો હતો. મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, સુપ્રીમે એક ગૃહિણી કે હોમમેકર મહિલાનું રોડ અકસ્માતમાં મોત થાય તો તેના પરિવારને વળતર આપવા મુદ્દે એક ગાઇડલાઇન જાહેર કરી છે.
સુપ્રીમે સ્પષ્ટતા કરી છે કે રોડ અકસ્માતમાં વળતર માત્ર આર્થિક નુકસાનના આધારે જ નક્કી ના કરી શકાય, તેમાં એક પરિવાર દ્વારા જે ડોમેસ્ટિક કેર અથવા સેવા ગુમાવવામાં આવે છે તેના મૂલ્યનું પણ આંકલન થવું જોઇએ. આ નુકસાન પરિવાર ત્યારે ભોગવે છે જ્યારે પરિવારની ગૃહિણીનું મોત થાય છે. આ સાથે જ દેશની તમામ હાઇકોર્ટોને મોટર અકસ્માત મામલાનો યોગ્ય સમયમાં નિકાલ લાવવા પણ કહ્યું હતું.
સુપ્રીમે કહ્યું હતું કે દેશના જીડીપીમાં ગૃહિણીઓ ૧૫થી ૧૭ ટકા યોગદાન આપી રહી હોવા છતા તેમના કામની કોઇ જ નોંધ નથી લેવાઇ રહી.


