Get The App

'નિયમોના ઉલ્લંઘન પર રોકવા-ટોકવાનો સ્પીકરને અધિકાર', અવિશ્વાસ પ્રસ્તાવ પર લોકસભામાં ગૃહમંત્રીનો જવાબ

Updated: Mar 11th, 2026

GS TEAM

Google News
Google News
'નિયમોના ઉલ્લંઘન પર રોકવા-ટોકવાનો સ્પીકરને અધિકાર', અવિશ્વાસ પ્રસ્તાવ પર લોકસભામાં ગૃહમંત્રીનો જવાબ 1 - image
Image Source: IANS / FILE PHOTO

Parliament Budget Session 2026: લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે. લોકસભામાં પ્રશ્નકાળ ચાલી રહ્યો છે, જ્યારે રાજ્યસભામાં લિસ્ટેડ બિઝનેસ પૂર્ણ થયા બાદ હવે શૂન્યકાળની કાર્યવાહી ચાલી રહી છે. લોકસભામાં હાલ દિલીપ સૈકિયા અધ્યક્ષ સ્થાને (ચેર પર) બિરાજમાન છે. ગૃહમાં સ્પીકર ઓમ બિરલાને હટાવવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે, જેના પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે બપોર બાદ ચર્ચાનો જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, 'સ્પીકર કોઈ પક્ષના નથી, પરંતુ સમગ્ર ગૃહના હોય છે. લોકસભામાં સ્પીકરનો નિર્ણય અંતિમ ગણાય છે. વિપક્ષે સ્પીકરની નિષ્ઠા પર સવાલ ઉઠાવ્યા છે, જે સંસદીય લોકશાહી માટે અત્યંત ખેદજનક બાબત છે.' જણાવી દઈએ કે, કોંગ્રેસના સાંસદ ડૉ. મોહમ્મદ જાવેદે ગતરોજ સ્પીકરને હટાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેના પર 10 કલાકની ચર્ચા નક્કી કરવામાં આવી છે.

સ્પીકરની નિષ્ઠા પરના સવાલોની નિંદા

તેમણે વધુમાં કહ્યું હતું કે, 'સ્પીકર કોઈ એક પક્ષના નહીં પણ સમગ્ર ગૃહના હોય છે અને તેમની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવો એ સંસદીય રાજનીતિ માટે ખેદજનક ક્ષણ છે. જ્યારે સ્પીકરની પસંદગી થઈ ત્યારે સત્તાપક્ષ અને વિપક્ષ બંનેના નેતાઓ તેમને સન્માનપૂર્વક આસન સુધી લઈ ગયા હતા. સ્પીકર તમામ સભ્યોના હિતોના રક્ષક અને ગૃહના કસ્ટોડિયન છે. લોકશાહીના 4ઈતિહાસમાં અમે લાંબો સમય વિપક્ષમાં બેઠા છીએ, પરંતુ ક્યારેય સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ નથી લાવ્યા. 1954માં માવલંકર વિરુદ્ધ સોશલિસ્ટ પાર્ટી, ત્યારબાદ સમાજવાદી પાર્ટી અને હવે કોંગ્રેસ આ પ્રકારનો પ્રસ્તાવ લાવી છે. મારી પાર્ટીની સ્પષ્ટ માન્યતા છે કે સ્પીકરની નિષ્ઠા પર ક્યારેય શંકા ન કરવી જોઈએ.'

'સ્પીકર પર અવિશ્વાસ એ દેશની બદનામી'

ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, 'સ્પીકરના નિર્ણયમાં સર્વોચ્ચ અદાલત પણ દખલ કરી શકતી નથી, કારણ કે આ રક્ષણ તેમને બંધારણે આપ્યું છે. સ્પીકરનું કર્તવ્ય વ્યવસ્થા જાળવવાનું અને દરેકને તક આપવાનું છે, પરંતુ શિષ્ટાચાર એ છે કે ગૃહ નિયમો મુજબ ચાલે. કોઈપણ સભ્ય પોતાની મરજી મુજબ ઊભા થઈને કંઈ પણ બોલે ત્યારે સ્પીકરે તેમને રોકવા પડે છે. જ્યારે સભ્યો વેલમાં આવીને કાગળો ફાડીને ચેર પર ફેંકે છે, ત્યારે શું તેઓ સ્પીકરને અસહાય બનાવવા માંગે છે? ગંભીર અવ્યવસ્થા કે શિસ્તહીનતાની સ્થિતિમાં સ્પીકર પાસે સભ્યોને ચેતવણી આપવાનો, સસ્પેન્ડ કરવાનો કે નિયમ 380 હેઠળ અસંસદીય શબ્દોને કાર્યવાહીમાંથી હટાવવાનો સંપૂર્ણ અધિકાર છે. ગૃહ હંમેશા સ્થાપિત નિયમોથી જ ચાલશે.'