India

કઠુઆમાં વાદળ ફાટતા ભારે પૂર-ભુસ્ખલન : સાતનાં મોત

By GS Team
18 Aug 20252 mins read
This article was originally published on 18 Aug 2025
કઠુઆમાં વાદળ ફાટતા ભારે પૂર-ભુસ્ખલન : સાતનાં મોત

- મંડીમાં આભ ફાટતા ભારે તારાજીથી અનેક મકાનોને નુકસાન

- મૃતદેહો ઓળખવા મુશ્કેલ હોવાથી ડીએનએ ટેસ્ટ થશે, હિમાચલમાં આ ચોમાસામાં મૃત્યુ પામેલાની સંખ્યા વધીને ૨૬૧ને પાર

- જમ્મુ કાશ્મીરમાં ત્રણ દિવસમાં જ બીજી વખત વાદળ ફાટતા તંત્ર વધુ અલર્ટ થયું

કઠુઆ: જમ્મુ કાશ્મીરના કઠુઆમાં ભારે વરસાદ વચ્ચે વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. ઘાટી વિસ્તારમાં વાદળ ફાટવાને કારણે અનેક મકાનો કાટમાળમાં દટાઇ ગયા હતા. જમ્મુ પઠાણકોટ નેશનલ હાઇવેને પણ ભારે નુકસાન થયું છે. વિવિધ ઘટનાઓમાં કુલ સાત લોકોના મોત નિપજ્યા છે જેમાં પાંચ લોકો સગીર વયના છે. અનેક લોકો ઘાયલ પણ થયા છે. બીજી તરફ હિમાચલના મંડીમા પણ વાદળ ફાટવાની ઘટના સામે આવી છે.   

જમ્મુ કાશ્મીરના કઠુઆમાં રવિવારે વાદળ ફાટવાની ઘટનાથી અચાનક જ પૂર આવ્યું હતું સાથે ભુસ્ખલન થતા અનેક મકાનો દટાયા છે, હજુ ત્રણ દિવસ પહેલા જ કિશ્તવાડમાં વાદળ ફાટયું હતું ત્યારે હવે કઠુઆમાં વાદળ ફાટવાની ઘટનાને પગલે જનજીવનને ગંભીર અસર પહોંચી હતી. કઠુઆનો રેલવે ટ્રેક, હાઇવે અને કઠુઆ પોલીસ સ્ટેશન સહિતના જાહેર સ્થળો નાશ પામ્યા છે. કુલ સાત લોકોના મોતના પ્રાથમિક અહેવાલો છે, જોકે અનેક લોકો કાટમાળમાં દટાયા હોવાની શંકાને કારણે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવાઇ રહ્યું છે. જે પણ લોકો માર્યા ગયા છે તેમના મૃતદેહ કાટમાળમાંથી બહાર કઢાયા છે જોકે તેમની ઓળખ કરવી મુશ્કેલ હોવાથી ડીએનએ ટેસ્ટની મદદ લેવામાં આવશે.

આ ઘટનાને પગલે નાગરિકોને નદીઓ, ડેમ, ભુસ્ખલનવાળા વિસ્તારોમાં ના જવાની સલાહ અપાઇ હતી. કેમ કે સમગ્ર વિસ્તારમાં અચાનક જ પૂર અને ભુસ્ખલનનો ખતરો વધી ગયો છે. કઠુઆમાં આશરે ત્રણ જેટલા સ્થળે વાદળ ફાટવાની ઘટના સામે આવી હતી. જેને કારણે અનેક સ્થળે ભુસ્ખલન પણ થયું છે, એવા પણ અહેવાલો છે કે અનેક લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા હોઇ શકે છે જેને કારણે મૃત્યુઆંક વધી શકે છે. હિમાચલ પ્રદેશના મંડીમાં પણ વાદળ ફાટવાને કારણે સ્થિતિ વધુ કફોડી બની છે. અનેક મકાનોને નુકસાન પહોંચ્યું છે જ્યારે રોડ બંધ થઇ ગયા છે. 

હિમાચલ પ્રદેશમાં આ ચોમાસામાં વરસાદની વિવિધ ઘટનાઓમાં મૃત્યુઆંક વધીને ૨૬૧ને પાર પહોંચી ગયો છે. અન્ય રાજ્યો પર નજર કરીએ તો ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. મહારાષ્ટ્રના સેનગાંવમાં ભારે વરસાદને કારણે અનેક ગાણો સંપર્ક વિહોણા થઇ ગયા હતા.