India

અનેક રાજ્યોમાં ભારે વરસાદ, જનજીવન ઠપ : ઉ.પ્રદેશમાં પાંચનાં મોત

By GS Team
10 Jul 20263 mins read
TukuTouch Logo
દેશભરમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. યુપીમાં 5નાં મોત થયાં છે, જ્યારે અરુણાચલમાં પૂર અને ભૂસ્ખલનથી મકાનો-પાકને નુકસાન થયું છે. દિલ્હી સહિત અનેક રાજ્યોમાં રસ્તાઓ ધોવાઈ ગયા અને ટ્રાફિક જામ સર્જાયો. હવામાન વિભાગે 18 રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે, જ્યારે ચોમાસાએ અલ નીનોને ટક્કર આપી વરસાદની ઘટ 38% ઘટાડી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અનેક રાજ્યોમાં ભારે વરસાદ, જનજીવન ઠપ : ઉ.પ્રદેશમાં પાંચનાં મોત

અરૂણાચલમાં પૂર, ભૂસ્ખલનથી અનેક મકાનો અને ઉભા પાકને નુકસાન
દક્ષિણ પશ્ચિમના ચોમાસાએ અલ નીનોને ટક્કર આપીને દેશમાં વરસાદની ઘટ 38 ટકા ઘટાડી : હવે માત્ર 14 ટકાનો તફાવત રહ્યો

નવી દિલ્હી : દેશના અનેક રાજ્યોમાં અતિભારે વરસાદ પડતાં ઘણાં રસ્તાઓ ધોવાઈ ગયા હતા. વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. અમુક ગામડાંઓ સંપર્ક વિહોણા બન્યા હતા. ઉત્તર પ્રદેશમાં તો ભારે વરસાદના કારણે પાંચનાં મોત થયાં છે. ઉત્તર પ્રદેશના ૧૦ જિલ્લામાં હવામાન વિભાગે અતિભારે વરસાદની ચેતવણી આપી છે. આગામી ૧૮ કલાકમાં દેશના ૧૮ રાજ્યોમાં વરસાદની સાથે પવન ફૂંકાવાની આગાહી પણ થઈ છે.
દિલ્હી, યુપી, બિહાર, ઝારખંડ, ઉત્તરાખંડ, હિમાચલ, અરૂણાચલ સહિતના અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ થતાં જનજીવન ખોરવાયું હતું. અનેક શહેરોમાં ઠેર-ઠેર પાણી ભરાઈ જતાં લોકોએ ઘરમાં પૂરાઈ રહેવું પડયું હતું. ગામડાંને શહેરો સાથે જોડતાં માર્ગો પર પાણી ભરાઈ જતાં વાહન-વ્યવહાર ઠપ થયો હતો. ઘણાં રાજ્યોમાં વરસાદની સાથે તેજ પવન ફૂંકાતાં અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા અને તેના કારણે ઘણાં રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા.
દિલ્હીમાં ભારે વરસાદ થયો હતો. ચારેબાજુ પાણી ભરાયા હતા. ટ્રાફિક જામની સમસ્યા થઈ હતી. હવામાન વિભાગે સફદરગંજમાં રેડ એલર્ટ આપ્યો હતો. નોઈડાથી લઈને ગાઝિયાબાદ, ફરિ દાબાદ સુધી ભારે વરસાદ નોંધાયો હતો. ગાઝિયાબાદ નેશનલ હાઈવે પર પાણીના કારણે કલાકો ટ્રાફિક જામની સ્થિતિ રહી હતી. યુપીમાં પણ ૧૨ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. રાજસ્થાનના કોટા, ભરતપુર જેવા જિલ્લાઓમાં ખૂબ વરસાદ વરસ્યો હતો અને અનેક ગામડાંનો જમીન માર્ગે સંપર્ક કટ થઈ ગયો હતો. ઉત્તરાખંડમાં નાના-મોટા ૧૦૭ માર્ગો સદંતર બંધ પડી ગયા હતા. એમાં નવ તો નેશનલ હાઈવે હતા. હજુ પણ આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે. અરૂણાચલ પ્રદેશમાં ફરીથી પૂર આવતાં લોકોને હાલાકી થઈ હતી. ભૂસ્ખલનના કારણે ઘણાં મકાનોને તો નુકસાન થયું જ હતું. ઉભા પાકને પણ ભારે નુકસાની વેઠવી પડી છે.
હવામાન વિભાગે કહ્યું હતું કે જુલાઈમાં દેશમાં જેટલો વરસાદ એવરેજ થવો જોઈએ એટલો કે એનાથી પણ વધારે વરસાદ વરસી ચૂક્યો છે. પહેલા નવ દિવસમાં જ ૭૩.૮ એમએમ વરસાદ થઈ ચૂક્યો છે. જુલાઈ મહિના દરમિયાન ૧૦૧ એમએમ વરસાદ થતો હોય છે. દક્ષિણ-પશ્ચિમનું ચોમાસું દેશભરમાં અસરકારક સાબિત થઈ રહ્યું છે. હવામાન વિભાગે ૯ રાજ્યોમાં હાઈ એલર્ટ જારી કર્યો છે.
અલ નીનો પર દક્ષિણ-પશ્ચિમનું ચોમાસું ભારે પડયું છે. વરસાદે એવી ઝડપ પકડી કે તેના કારણે આઠ જ દિવસમાં વરસાદની ઘટ ૩૮ ટકા સુધી સરભર થઈ છે. હવે માત્ર ૧૩-૧૪ ટકા જ ઘટ આ મહિને રહેશે. ચોમાસાની પેટર્ન જોતાં કદાચ જુલાઈમાં જે વરસાદની ધારણા હોય છે એનાથી વધારે વરસાદ થાય તેવી પણ શક્યતા છે. દેશમાં વરસાદ ઓછો થયો તેવા જિલ્લાની સંખ્યા જુલાઈ પહેલાં ૨૬૨ હતી. હવે એ ઘટીને ૧૭૮ રહી ગઈ છે. આ ભારતના ચોમાસા માટે ઉજળી આશા છે.