Get The App

મોજતબા ખામેનેઈ રશિયા પહોંચી ગયા છે ? ટ્રમ્પ હજીએ મોજતબાનાં આરોગ્ય વિષે શંકા સેવે છે

Updated: Mar 20th, 2026

GS TEAM

Google News
Google News
મોજતબા ખામેનેઈ રશિયા પહોંચી ગયા છે ? ટ્રમ્પ હજીએ મોજતબાનાં આરોગ્ય વિષે શંકા સેવે છે 1 - image

મધ્યપૂર્વ - પશ્ચિમ એશિયા યુદ્ધમાં નવો જ વળાંક ?

નવી દિલ્હી: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ખરેખરા ધુંધવાયા હોય તેમ લાગે છે. ઈરાનનાં ગેસ-ફીલ્ડ પરના હુમલા અંગે તેના ખાસંખાસ દોસ્ત નેતન્યાહૂને ધમકાવી નાખ્યા છે. તો જાપાનનાં વડાપ્રધાનની વિશેષ મુલાકાત સમયે ''પર્લ-હાર્વર'' પરના જાપાનના હુમલાનો ઉલ્લેખ કરી તેઓને મુંઝવણમાં મુકી દીધાં છે. બીજી તરફ અલી ખામેનેઈના પુત્ર અને તેમના વારસદાર તેવા ઈરાનના સર્વેસર્વા મોજતબા ખામેનેઈ રશિયા પહોંચી ગયાના હોવાના સમાચારે દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે.

નિરીક્ષકો કહે છે, યુદ્ધ કંઈ અનંતકાળ સુધી તો નહીં જ ચાલે, તે બંધ થતાં રશિયા ઈરાનના માર્ગે સીધું અરેબિયન સીમા અને ત્યાંથી હિન્દ મહાસાગરમાં આવી પહોંચે તો દરિયા જેવી ઉપાધીમાં અમેરિકા મુકાઈ જાય. અત્યારે જ હીન્દ મહાસાગરનાં 'નીલમ' શ્રીલંકાએ અમેરિકી જહાજોને લાંગરવાં ના કહી દીધી છે. ત્યાં સામ્યવાદી સરકાર છે તે સર્વવિદિત છે.

ઈરાન સરકારે મોજતબા વિદ્યાર્થીઓને ધાર્મિક ઉપદેશો આપતા દર્શાવતો વિડીયો પ્રસિદ્ધ કર્યો છે. ઈરાનની સરકાર કહે છે કે, આ તાજેતરનો વિડીયો છે. જેમાં મોજતબા વિદ્યાર્થીઓને અરેબિકમાં વક્તવ્ય આપતા દેખાય છે.

૫૬ વર્ષીય આ ધાર્મિક નેતાને પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. એક તબક્કે તો એમ મનાતું હતું કે, તેઓ જન્નત નશીન થઈ ગયા છે, અથવા તો, તેઓ 'કોમા'માં છે. તેવામાં કતારનાં મીડીયાએ જણાવ્યું છે કે તેઓ સારવાર માટે મોસ્કો પહોંચી ગયા છે.

વોશિંગ્ટનમાં એક પ્રેસ કોન્ફરન્સને ગત સપ્તાહે કરેલા સંબોધનમાં જ્યારે ટ્રમ્પને ખામેનેઈની તંદુરસ્તી અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ કહ્યું હતું. 'અમને તે ખબર નથી કે, તેઓ મૃત્યુ પામ્યા છે કે નહીં ? કોઈ કહેતું નથી કે તેઓ ૧૦૦ ટકા તંદુરસ્ત છે. કોઈએ તેમને જોયા નથી આ અસામાન્ય છે.'

આશ્ચર્ય તે છે કે પોતાની ગેરહાજરી છતાં ખામેનેઈ નિવેદનો કરતા રહે છે અને દેશવાસીઓને આવા કટોકટીના સમયે એક થઈ ઊભા રહેવાનું જણાવે છે. સાથે તેમ પણ સ્પષ્ટ રીતે જણાવે છે કે, ઈરાનના શત્રુઓ ઉપર દબાણ લાવવા, હોર્મુઝ સમુદ્ર ધુનિ (સ્ટ્રેઈટસ) તો બંધ જ રહેશે.

આ ઉપરાંત બુધવારે એક લિખિત સંદેશામાં તેઓએ ઈરાનના સિક્યુરીટી ચીફ અલિ લારીજાનીના મૃત્યુનો બદલો લેવાની જાહેરાત કરી હતી, અને કહ્યું હતું કે, આવા શહીદનાં ખૂન (હત્યા) માટે દુશ્મનોને તેમનાં લોહીનાં એક એક ટીપાંનો જવાબ આપવો પડશે.

મોજતબા ખામેનેઈ ક્યાં છે તે અંગેની શંકાનાં વાદળો દૂર કરતાં કતારનાં મીડીયાએ જણાવ્યું હતું કે, તેઓ પગની ઈજાની સારવાર માટે મોસ્કો ગયા છે.

નિરીક્ષકો કહે છે સીરીયાનાં આસદ્ પણ મોસ્કો છે જો મોજતબા સાજા થશે અને સફળ પણ થશે તો મોસ્કો સીધું ઈરાનના માર્ગે અરબી સમુદ્ર અને ત્યાંથી હીન્દ મહાસાગરમાં પહોંચી શકે. અમેરિકા માટે તે ભારે મુશ્કેલી ઊભી કરી શકે.