Harbhajan Singh Row Over Traitor Comments : ગયા મહિને આમ આદમી પાર્ટી (AAP) છોડીને ભારતીય જનતા પાર્ટી(BJP)માં સામેલ થનારા રાજ્યસભાના સાંસદ અને પૂર્વ ક્રિકેટર હરભજન સિંહે તેમને ગદ્દાર કહેનારા લોકોને આડે હાથ લીધા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પૂર્વ ક્રિકેટરે ઇશારા-ઇશારામાં આમ આદમી પાર્ટીના ટોચના નેતૃત્વ પર પંજાબને લૂંટીને ખાવાનો આરોપ લગાવ્યો છે અને સામો સવાલ પૂછ્યો છે કે પંજાબમાં રાજ્યસભાની સીટ કેટલામાં વેચી હતી? હરભજન સિંહે કહ્યું છે કે, સમય આવ્યે તેઓ દરેક વાતનો જવાબ આપશે. તેમણે આરોપ લગાવ્યો છે કે પંજાબની રાજ્યસભાની બેઠકોથી લઈને મંત્રી પદ સુધીની તમામ વસ્તુઓ આપના નેતૃત્વએ વેચી દીધી છે.
હરભજન પંજાબના રાજકારણની મોટી પોલ ખોલશે?
હરભજન સિંહે સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર એક પોસ્ટમાં લખ્યું છે કે, ‘સમય આવ્યે તમારી દરેક વાતનો જવાબ આપવામાં આવશે. અને મેં તમારા કોઈ લીડરને અપશબ્દો બોલ્યા નથી. હું મારી જીભ કેમ ગંદી કરું. અને મને ગદ્દાર કહેનારાઓ, પહેલા તમારા પોતાના લોકોને પૂછો કે પંજાબની રાજ્યસભાની સીટ કેટલામાં વેચી હતી. જો તે ના જણાવે તો હું તમને કહીશ કે કોને કેટલો ચઢાવો ગયો હતો અને કોની તરફથી ગયો હતો અને કેવી રીતે કોને મંત્રી-સંત્રી બનાવવામાં આવ્યા, પંજાબને લૂંટવા માટે અને લાલાને માલ પહોંચાડવા માટે. પંજાબને લૂંટી ખાધું.’
આ પણ વાંચો : દુશ્મનાવટ ભૂલી ભારત-ચીન-જાપાન એકસાથે! બ્રિટન વિરુદ્ધ WTOમાં એશિયન દેશોએ કર્યો મોટો ખેલ
એક યુઝરે હરભજનની ટીકા કરી હતી
તેમની આ પોસ્ટ એક યુઝરના એ ટ્વીટના જવાબમાં આવી છે, જેમાં દેવેન્દર યાદવ નામના વ્યક્તિએ તેમના પર ગદ્દારી કરવાનો આરોપ લગાવ્યો હતો. યાદવે હરભજન સિંહને પૂછ્યું હતું કે, એવી કઈ મજબૂરી હતી કે પંજાબના 800થી વધુ ખેડૂત ભાઈઓના મોત માટે જવાબદાર ભાજપમાં તેઓ જતા રહ્યા? યાદવે એ પણ પૂછ્યું હતું કે, ભાજપમાં જવા માટે તમે તમારા જમીરની શું કિંમત લગાવી? એ પણ પૂછ્યું હતું કે જે AAPએ રાજ્યસભાની સીટ આપી, તેના નેતાને દિવસ-રાત કેમ ખરાબ કહો છો અને તેમના દ્વારા આપવામાં આવેલી રાજ્યસભા સીટ પરથી રાજીનામું કેમ નથી આપ્યું?
AAPના 7 સાંસદો ભાજપમાં જોડાયા હતા
ઉલ્લેખનીય છે કે, પૂર્વ ક્રિકેટર હરભજન સિંહે રાઘવ ચઢ્ઢા સહિત આપના 6 રાજ્યસભા સભ્યો સાથે 24 એપ્રિલે ભાજપનો હાથ પકડ્યો હતો. ત્યારે આપના કાર્યકરોએ પાર્ટી છોડનારા હરભજન સિંહ, રાજેન્દ્ર ગુપ્તા અને અશોક મિત્તલના ઘરની બહાર પ્રદર્શન કર્યું હતું અને જલંધર તથા લુધિયાણામાં તેમના ઘરની દીવાલો પર ગદ્દાર લખી દીધું હતું. એટલું જ નહીં, ત્યારબાદ પંજાબ સરકારે તેમની સુરક્ષા પાછી ખેંચી લીધી હતી. જો કે, પંજાબ પોલીસની સુરક્ષા હટાવી લેવાયા બાદ કેન્દ્ર સરકારે જલંધરમાં સિંહના નિવાસસ્થાનની બહાર CRPF તૈનાત કરી દીધી હતી.


