Get The App

કોકરોચ જનતા પાર્ટીની જાહેરાત: હવે પ્રથમ વાયદો પૂરો કરવાનો સમય, ભ્રષ્ટાચારીઓના નામ અને વીડિયો મોકલો

Updated: May 22nd, 2026

GS TEAM

Google News
Google News
કોકરોચ જનતા પાર્ટીની જાહેરાત: હવે પ્રથમ વાયદો પૂરો કરવાનો સમય, ભ્રષ્ટાચારીઓના નામ અને વીડિયો મોકલો 1 - image

Cockroach Janata Party Manifesto : દેશના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત દ્વારા બેરોજગાર યુવાનો પર કરવામાં આવેલી એક ટિપ્પણી બાદ 'કોકરોચ જનતા પાર્ટી' (CJP)એ સોશિયલ મીડિયા પર તમામ રેકોર્ડ તોડી દીધા છે. આ કથિત પાર્ટીએ ઈન્સ્ટાગ્રામ પર માત્ર બે જ દિવસમાં ભાજપ અને કોંગ્રેસને પણ પાછળ છોડી દીધા છે. બીજી તરફ, ભારતમાં CJPના એક્સ હેન્ડલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તેમ છતાં અન્ય દેશોમાં આ હેન્ડલ હજુ પણ સક્રિય છે. આ પ્લેટફોર્મ શરૂ કરનાર અભિજીત દીપકેએ જણાવ્યું છે કે, હવે પોતાનું પ્રથમ વચન પૂરું કરવાનો સમય આવી ગયો છે.

ભ્રષ્ટાચારીઓની કરતૂત અને નામ મોકલો : CJPની અપીલ

તેમણે પત્રકારો અને સામાન્ય જનતાને અપીલ કરી છે કે, સૌથી પહેલા પાયાના સ્તરે થતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવો પડશે. તેમણે કહ્યું, ‘અમને તમારી સમસ્યાઓ, સૂચનો, દસ્તાવેજો, ફોટા, વીડિયો, સ્થળો, વિભાગોના નામ અને ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા અધિકારીઓના નામ મોકલો.’ ઉલ્લેખનીય છે કે, ઈન્સ્ટાગ્રામ પર 'કોકરોચ જનતા પાર્ટી'ના ફોલોઅર્સની સંખ્યા 1 કરોડ 90 લાખથી પણ વધુ થઈ ગઈ છે, જ્યારે ભાજપના ફોલોઅર્સની સંખ્યા 1 કરોડથી પણ ઓછી છે.

આ પણ વાંચો : કોકરોચ જનતા પાર્ટીએ ફોલોઅર્સમાં ભાજપ બાદ કોંગ્રેસને પણ પછાડી, હવે ટ્રેડમાર્ક માટે લોકોના ધમપછાડા

પાર્ટીના મુખ્ય ત્રણ ઉદ્દેશ્યો શું છે?

કોકરોચ જનતા પાર્ટીએ ભારતીય રાજકીય વ્યવસ્થાની નિષ્ફળતાનો દાવો કરતા કહ્યું હતું કે, અહીં યુવાનોની ઉપેક્ષા થઈ રહી છે. પાર્ટીએ પોતાના ત્રણ મુખ્ય ઉદ્દેશ્ય જાહેર કર્યા છે.

1... પ્રથમ ઉદ્દેશ્યમાં રાજકીય ચર્ચાના વલણમાં પરિવર્તન લાવવાનું જણાવાયું છે. CJPએ જણાવ્યું છે કે, ઘણા વર્ષોથી ભારતનું રાજકારણ હિન્દુ-મુસ્લિમ જેવા ધ્રુવીકરણના મુદ્દાઓ પર ટકેલી છે. આવી સ્થિતિમાં રાજનીતિના પ્રવાહને રોજગાર, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉદ્યોગ અને સ્વચ્છ ઊર્જા જેવા વાસ્તવિક મુદ્દાઓ તરફ વાળવાનો છે.

2... બીજા ઉદ્દેશ્યમાં સરકારી વ્યવસ્થાની જવાબદારી નક્કી કરવાનું જણાવાયું છે. આ મુજબ, જો યુવાનોને લાગે કે સિસ્ટમ તેમના પર ધ્યાન નથી આપી રહી, તો તેઓ સિસ્ટમ પાસે જવાબ માંગી શકે છે. 

3... ત્રીજા ઉદ્દેશ્યમાં લોકશાહી સંસ્થાઓની સ્વાયત્તતા જાળવવાનો છે. CJPના મતે ભારતમાં ન્યાયતંત્ર, ચૂંટણી પંચ અને અન્ય સંસ્થાઓની સ્વતંત્રતા અત્યંત આવશ્યક છે.

આ પણ વાંચો : CJP બનાવી પણ ‘કોકરોચ’ ચૂંટણી ચિહ્ન મળવું મુશ્કેલ, જાણો ચૂંટણી પંચના નિયમો

પાર્ટીએ 5 મુદ્દાનો મેનિફેસ્ટો પણ જાહેર કર્યો

પાર્ટીએ પાંચ મુદ્દાનો મેનિફેસ્ટો પણ જાહેર કર્યો છે. તેમાં જે પાંચ બાબતોનો ઉલ્લેખ છે, તે નીચે મુજબ છે.

1... કોઈપણ મુખ્ય ન્યાયાધીશ (CJI)ને નિવૃત્તિ પછી ઈનામ તરીકે કોઈ સરકારી હોદ્દો કે રાજ્યસભાની સીટ ન આપવી જોઈએ.

2... યોગ્ય મતોને કાપવા બદલ ચૂંટણી કમિશનરોની UAPA હેઠળ ધરપકડ કરવામાં આવે.

3... મહિલાઓને કેબિનેટ અને સંસદમાં 33 ટકા નહીં પરંતુ 50 ટકા અનામત આપવામાં આવે.

4... પક્ષપલટો કરનારા સાંસદો અને ધારાસભ્યો પર 20 વર્ષનો ચૂંટણી લડવાનો પ્રતિબંધ લાદવામાં આવે.

5... પ્રભાવશાળી ઉદ્યોગપતિઓની માલિકીની મીડિયા સંસ્થાઓના લાયસન્સ રદ કરવામાં આવે.

આ પણ વાંચો : 'કોકરોચ જનતા પાર્ટી'નું X એકાઉન્ટ ભારતમાં બૅન, 'કોકરોચ ઇઝ બેક' નામે નવું એકાઉન્ટ એક્ટિવ કર્યું