નવી દિલ્હી,
તા. ૨૩
ઇન્ડિયન એરફોર્સનાં યુદ્ધ વિમાન તેજસ ક્રેશ થવાનાં સમાચારની
વચ્ચે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ)ની પ્રતિક્રિયા સામે આવી છે. એચએએલએ
સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેજસ ક્રેશનાં સમાચારોને રદિયો આપ્યો છે.
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે સોશિયલ મીડિયા પોસ્ટમાં
લખ્યું હતું કે એચએએલ એલસીએ તેજસ ઘટનાથી સંબધિત તાજેતરનાં મીડિયા રિપોર્ટોનાં
સંદર્ભમાં તથ્યોને સ્પષ્ટ કરવા માંગે છે.
એચએએલએ જણાવ્યું છે કે તેજસ ક્રેશ થવાનાં કોઇ રિપોર્ટ નથી.
આ ઘટના જમીન પર થયેલી એક સામાન્ય ટેકનિકલ ખામી હતી. જેની તપાસ ચાલી રહી છે.
એચએલએએ એક અન્ય પોસ્ટમાં લખ્યું છે કે આધુનિક યુદ્ધ
વિમાનોમાં એલસીએ તેજસનો સુરક્ષા રેકોર્ડ વિશ્વનાં સર્વશ્રેષ્ઠ વિમાનોમાંથી એક છે.
માનક સંચાલન પ્રક્રિયા હેઠળ તેની તપાસ કરવામાં આવી રહી છે. આ સમસ્યાનાં ઉકેલ માટે
એચએએલ ઇન્ડિયન એરફોર્સ સાથે મળીને કાર્ય કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે રવિવારે તેજસ યુદ્ધ વિમાનની સાથે થયેલ એક
દુર્ઘટના થઇ હોવાના સમાચાર સામે આવ્યા હતાં. તે સમયે જણાવવામાં આવ્યું હતું કે આ
મહિનાની શરૃઆતમાં બ્રેક ફેલ થવાને કારણે તેજસ વિમાન એક એરબેઝ પર રનવેથી આગળ નીકળી
ગયું હતું. જેના કારણે તેને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. રિપોર્ટમાં
જણાવવામાં આવ્યું હતું કે વિમાનનો પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળી આવ્યો હતો.
સાત ફેબુ્રઆરીએ બનેલી આ દુર્ઘટના અંગે ઇન્ડિયન એરફોર્સ તરફથી
કોઇ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. જો કે હવે એચએલએ સત્તાવાર રીતે નિવેદન આપીને
ક્રેશનાં સમાચારોને રદિયો આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ ઘટના પછી ભારતીય એરફોર્સે વ્યાપક ટેકનિકલ
તપાસ કરાવવા માટે લગભગ ૩૦ સિંગલ-સીટ તેજસ જેટ વિમાનોને હાલમાં ઉડવાથી રોકી દીધા
છે.
ઉલ્લેખનીય છે કે માર્ચ, ૨૦૨૪માં જૈસલમેરમાં એક તેજસ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું
હતું. ત્યારબાદ નવેમ્બર, ૨૦૨૫માં
દુબઇ એરશોમાં હવાઇ પ્રદર્શન દરમિયાન એક તેજસ જેટ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.


