India

'વિદેશમાં સારી સારી વાતો અને દેશમાં મૌન...' મોહન ભાગવતના હિન્દુ-મુસ્લિમવાળા નિવેદન પર વિપક્ષ આક્રમક

By GS Team
30 Aug 20263 mins read
TukuTouch Logo
RSS પ્રમુખ મોહન ભાગવતે ન્યૂયોર્કમાં 'વિવિધતામાં એકતા' પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે જો કોઈ હિન્દુ મુસ્લિમ ન હોવાનું વિચારે તો તે હિન્દુ નહીં રહે. કપિલ સિબ્બલ, રાશિદ અલ્વી અને સોગત રોયે આ નિવેદન પર પ્રતિક્રિયા આપી. સિબ્બલે કહ્યું કે શબ્દો નહીં, કામ બોલવા જોઈએ, જ્યારે અલ્વીએ તેને છબી સુધારવાનો ઢોંગ ગણાવ્યો. AIMPLBએ જમીની અમલની જરૂરિયાત પર ભાર મૂક્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

'વિદેશમાં સારી સારી વાતો અને દેશમાં મૌન...' મોહન ભાગવતના હિન્દુ-મુસ્લિમવાળા નિવેદન પર વિપક્ષ આક્રમક
ફોટો સોર્સ: IANS

RSS Chief Mohan Bhagwat US Speech: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવતના અમેરિકામાં આપવામાં આવેલા ‘વિવિધતામાં એકતા’ વાળા નિવેદન પર રાજકીય પ્રતિક્રિયાઓ સામે આવી છે. મોહન ભાગવતે કહ્યું હતું કે જો કોઈ હિન્દુ એવું વિચારે છે કે ભારતમાં કોઈ મુસ્લિમ ન હોવો જોઈએ, તો તે પોતે પણ હિન્દુ રહેશે નહીં. જેના પર રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે રવિવારે ભાગવતના નિવેદન પર નિશાન સાધતા કહ્યું કે માત્ર શબ્દો મહત્વ નથી ધરાવતા, પરંતુ કામ પણ દેખાવું જોઈએ. તો બીજી તરફ, કોંગ્રેસ નેતા રાશિદ અલ્વી, તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાંસદ સોગત રોય અને ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB)ના કાર્યકારી સભ્ય મૌલાના ખાલિદ રશીદ ફિરંગી મહલીએ પણ ભાગવતના નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપી.

છબી સુધારવા માટે ઢોંગ કરવાનો આરોપ

કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ કહ્યું, 'પહેલો સવાલ એ છે કે અમેરિકા જઈને આ બોલવાની જરૂર કેમ પડી રહી છે? જો ભારતમાં હિન્દુ-મુસ્લિમનો કોઈ મુદ્દો જ નથી તો અચાનક ત્યાં જઈને બોલવાની શું જરૂર? તેનો અર્થ એ છે કે સમસ્યા છે. RSSના મુખિયા પોતાની છબી બનાવવા માટે ઢોંગ કરી રહ્યા છે.'

વિદેશમાં ડહાપણ તો ઘરમાં ચૂપકીદી: કપિલ સિબ્બલ

કપિલ સિબ્બલે સોશિયલ મીડિયા પર ભાગવતના નિવેદનને લઈને લખ્યું-

ન્યૂયોર્કમાં ભાગવતે કહ્યું- વિવિધતા આપણી મૂળ એકતાનો શણગાર છે. તેની રક્ષા થવી જોઈએ. વિદેશમાં સમજદારીભરી વાતો, પરંતુ ઘરમાં ચૂપકીદી. શબ્દો મહત્વ નથી ધરાવતા, કામ બોલવું જોઈએ.

સિબ્બલની આ પ્રતિક્રિયા ભાગવતના ન્યૂયોર્કમાં આપેલા સંબોધનના એક દિવસ પછી આવી. ભાગવતે ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં ભારતીય-અમેરિકન સમુદાય અને વિવિધ ધર્મોના નેતાઓની 6000થી વધુ લોકોની સભાને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘વિવિધતામાં એકતા’ ભારતના DNAનો ભાગ છે.

RSS એક અત્યંત કટ્ટર હિન્દુ સંગઠન: સાંસદ સોગત રોય

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સોગત રોયે ભાગવતના નિવેદનને સકારાત્મક ગણાવ્યું. તેમણે કહ્યું, આ ખરેખર સારી વાત છે. મોહન ભાગવત RSSના પ્રમુખ છે, જે એક હિન્દુ સંગઠન છે. જો તેઓ અન્ય સમુદાયો પ્રત્યે સહિષ્ણુતા અને મિત્રતાની વાત કરે છે તો તે સારી વાત છે. જોકે, રોયે RSSની વિચારધારા સામે સવાલો પણ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે RSS એક અત્યંત કટ્ટર હિન્દુ સંગઠન છે. ભાગવત આ વાત કહી રહ્યા છે, પરંતુ તેઓ ખરેખર તેના પર વિશ્વાસ કરે છે કે નહીં, તે તેઓ નથી જાણતા.

જમીની સ્તર પર અમલની જરૂરિયાત

AIMPLBના કાર્યકારી સભ્ય મૌલાના ખાલિદ રશીદ ફિરંગી મહલીએ કહ્યું કે ભાગવતે જે વાત કહી છે, તેને દેશમાં જમીની સ્તર પર લાગુ કરવામાં આવવી જોઈએ. ત્યારે જ આ નિવેદનને સકારાત્મક માની શકાશે. તેમણે કહ્યું કે ભાગવતના નિવેદનથી ભારતીય સમુદાય વચ્ચે સકારાત્મક સંદેશ ગયો છે. તેમણે રાજકારણમાં વ્યક્તિગત હિતોનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમના મતે મોટી સંખ્યામાં લોકો અને મોટાભાગના રાજકારણીઓ વ્યક્તિગત હિતોના કારણે રાજકારણમાં આવે છે. જો સત્તામાં બેઠેલા લોકો જનતાની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં સક્ષમ હોય તો રાજકારણ એક મોટી સામાજિક સેવા બની શકે છે. જો કે વાસ્તવિકતા એ છે કે મોટાભાગના રાજકારણીઓ આમ જનતા અને દેશના હિતોના બદલે પોતાના અંગત હિતો માટે કામ કરી રહ્યા છે.

હિન્દુ-મુસ્લિમ એકતા અને માનવ સમાનતા પર ભાગવતનું નિવેદન

અમેરિકન હિન્દુઝ ફોર એન્ગેજમેન્ટ એન્ડ ડાયલોગ (AHEAD) ફોરમ તરફથી આયોજિત ‘યુનિવર્સલ વનનેસ સેલિબ્રેશન’માં મોહન ભાગવતે કહ્યું હતું કે વિવિધતાને ઉજવવી, સન્માનિત અને સ્વીકારવી જોઈએ. આ સાથે જ એકત્વની ભાવના જાળવી રાખવી જરૂરી છે. ભારત અને અમેરિકાની સરખામણી કરતા તેમણે કહ્યું કે અમેરિકાના સંદર્ભમાં અવારનવાર ‘બહુલતાવાદ’ની વાત કરવામાં આવે છે, જ્યારે ભારતના સંદર્ભમાં ‘વિવિધતામાં એકતા’ની વાત સામે આવે છે. તેમણે કહ્યું કે ભારત માટે એકતા અને વિવિધતા બંને તેના ડીએનએનો ભાગ છે. ન્યૂયોર્કમાં ‘વન વર્લ્ડ, વન હ્યુમેનિટી’ કાર્યક્રમમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે હિન્દુ-મુસ્લિમ એકતા અને માનવ સમાનતા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે જો કોઈ હિન્દુ એવું વિચારે છે કે ભારતમાં કોઈ મુસ્લિમ ન હોવો જોઈએ, તો તે પોતે પણ હિન્દુ રહેશે નહીં. હિન્દુ હોવાનો અર્થ એ માનવું છે કે અલગ-અલગ રસ્તાઓ એક જ ધ્યેય સુધી પહોંચે છે. દરેક માણસની પોતાની ગરિમા છે અને માણસો વચ્ચે કોઈ ભેદભાવ ન હોવો જોઈએ.