Get The App

Explainer: ઈરાનથી ગુજરાત સુધી ઓઈલ લઈને આવતા જહાજનો ખર્ચ કેટલો? જાણો કયા ઓઇલથી ચાલે છે તેનું એન્જિન

Updated: Apr 6th, 2026

GS TEAM

Google News
Google News
Explainer: ઈરાનથી ગુજરાત સુધી ઓઈલ લઈને આવતા જહાજનો ખર્ચ કેટલો? જાણો કયા ઓઇલથી ચાલે છે તેનું એન્જિન 1 - image

Iran to India Oil Tanker Cost : ઈરાનથી ભારત સુધી ક્રૂડ ઓઇલ લાવવા માટે વિશાળ સમુદ્રી ટેન્કર વપરાય છે. ઘણા લોકો માને છે કે આ જહાજો આપણી કારમાં વપરાય છે એવા જ પેટ્રોલ કે ડીઝલ પર ચાલતા હશે, પરંતુ વાસ્તવિકતા તદ્દન અલગ છે. આ વિશાળ જહાજો સામાન્ય ડીઝલનો ઉપયોગ કરતા નથી, પરંતુ તેના બદલે એક ખાસ પ્રકારના ભારે બળતણ (Heavy Fuel Oil) પર ચાલે છે, જેને 'બંકર ફ્યુઅલ' તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો જાણીએ કે Heavy Fuel Oil શું અને કેવું હોય છે અને એ વાપરવામાં કેટલો ખર્ચ થાય છે.

કેવું હોય છે Heavy Fuel Oil?

ક્રૂડ ઓઇલને રિફાઇન કર્યા બાદ બચેલો સૌથી જાડો ભાગ તે Heavy Fuel Oil. આ ઓઇલ એટલું ગાઢ અને ચીકણું હોય છે કે તેને વહી શકે એટલું 'પાતળું' બનાવવા માટે એન્જિનમાં મોકલતા પહેલા લગભગ 80 ડિગ્રી સેલ્સિયસ જેટલું ગરમ કરવું પડે છે. આ ભારે ઓઇલ સામાન્ય ડીઝલની સરખામણીમાં લગભગ 30 ટકા જેટલું સસ્તું પડે છે, અને તેમાં ઉર્જા ઉત્પન્ન કરવાની ક્ષમતા પણ ઘણી વધારે હોય છે. મોટા જહાજોના એન્જિન ખાસ આ પ્રકારના બળતણને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે, કારણ કે આ લાંબા અંતરની મુસાફરી માટે આ ઓઇલ જ સૌથી વધુ કિફાયતી સાબિત થાય છે.

આ પણ વાંચો : ચીનમાં મોત બાદ પણ સંકટ ! કબ્રસ્તાન ખૂટ્યા, લોકો સસ્તા ફ્લેટ ખરીદીને અસ્થિઓ મૂકવા મજબૂર

ઈરાનથી ભારત સુધીની એક મુસાફરીમાં કેટલા રૂપિયાનું ઓઇલ બળે છે?

ઈરાનના ખાર્ગ ટાપુથી ગુજરાતના વાડીનાર બંદર સુધીનું અંતર લગભગ 1,100 થી 1,200 દરિયાઈ માઈલ (નોટિકલ માઈલ) છે. એક ટેન્કર જહાજ આ મુસાફરી પૂરી કરવામાં 4 થી 6 દિવસનો સમય લે છે. આ મુસાફરી દરમિયાન જહાજ તેની ગતિ અને કદ પ્રમાણે દરરોજ આશરે 30 થી 60 મેટ્રિક ટન બળતણ વાપરે છે.

આમ, એક તરફી મુસાફરીમાં કુલ 150 થી 300 મેટ્રિક ટન (એટલે કે લગભગ 150,000 થી 300,000 લિટર) બળતણ ખર્ચાય છે. હાલમાં આ બળતણની કિંમત ગ્રેડ પ્રમાણે ₹40 થી ₹50 પ્રતિ લિટર છે. આપણે સરેરાશ ₹45 ગણીએ તો એક તરફી મુસાફરીનો ખર્ચ 150,000 લિટર માટે ₹67.5 લાખ અને 300,000 લિટર માટે ₹1.35 કરોડ જેટલો થાય છે.

ભારે બળતણથી પ્રદૂષણ પણ ભારે થાય છે

આટલું ભારે ઓઇલ બાળવાથી પ્રદૂષણ પણ ભારે માત્રામાં થાય છે. પરંતુ હવે નવા નિયમો અને ટેકનોલોજીને કારણે આમાં ફેરફાર થઈ રહ્યો છે. જૂના જહાજો જ્યાં ભારે પ્રદૂષણ કરતા હતા, ત્યાં આધુનિક જહાજોમાં ઓછા સલ્ફરવાળું ઈંધણ (Low-Sulfur Fuel) અથવા તો LNG (Liquefied Natural Gas) નો ઉપયોગ થવા લાગ્યો છે, જેનાથી ઝેરી વાયુઓનું પ્રમાણ ઘટે છે. તેમ છતાં, ખર્ચ ઓછો હોવાને કારણે આજે પણ મોટાભાગના જહાજો Heavy Fuel Oilનો જ ઉપયોગ કરે છે. આ બળતણની બચત જ ઓઇલ કંપનીઓના નફા અને આપણા પેટ્રોલ-ડીઝલના ભાવ નક્કી કરે છે.

આ પણ વાંચો : ટ્રમ્પની અપશબ્દોવાળી પોસ્ટમાં અલ્લાહનો ઉલ્લેખ! મુસ્લિમોમાં રોષ, દુનિયાભરમાં થઈ ટીકા