India

શિંઝો આબેનું ભારત સાથેનું ખાસ કનેક્શન, જાપાનની મદદથી બની રહી છે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન

By GS Team
8 Jul 20222 mins read
This article was originally published on 8 Jul 2022
શિંઝો આબેનું ભારત સાથેનું ખાસ કનેક્શન, જાપાનની મદદથી બની રહી છે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન

- 2017માં તેઓ ભારત આવ્યા ત્યારે વડાપ્રધાન મોદી સાથે અમદાવાદમાં સાબરમતી આશ્રમની મુલાકાત પણ લીધી હતી

નવી દિલ્હી, તા. 08 જુલાઈ 2022, શુક્રવાર

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંઝો આબે સૌથી લાંબા સમય સુધી જાપાનમાં વડાપ્રધાન પદ પર રહી ચુક્યા છે. તેઓ 2006માં પ્રથમ વખત વડાપ્રધાન બન્યા હતા અને 2007માં સ્વાસ્થ્યના કારણોસર તેમણે રાજીનામુ આપી દીધું હતું. બાદમાં 2012માં તેઓ ફરી વડાપ્રધાન બન્યા હતા અને તથા ઓગષ્ટ 2020 સુધી સેવા આપીને તેમણે નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામુ આપ્યું હતું. વડાપ્રધાન પદ છોડ્યા બાદ પણ સત્તારૂઢ લિબરલ ડેમોક્રેટિક પાર્ટી પર તેમનો ખૂબ જ પ્રભાવ છે. 

વધુ વાંચોઃ જાપાનના પૂર્વ PM શિંજો આબે પર હુમલો, છાતીમાં વાગી ગોળી

જાણો શિંઝો આબેના ભારત સાથેના સંબંધ વિશે

- શિંઝો આબેને ભારત સાથે ખાસ કનેક્શન રહ્યું છે. તેઓ સૌથી વધારે વખત ભારત આવનારા જાપાનના પ્રથમ વડાપ્રધાન છે. 2006માં પોતાના પ્રથમ કાર્યકાળ દરમિયાન તેઓ પહેલી વખત ભારત આવ્યા હતા. તે સમયે તેમણે ભારતીય સંસદમાં સંબોધન પણ કર્યું હતું. 

- 2012માં વડાપ્રધાન બન્યા બાદ ફરી તેઓ 2014માં ભારત આવ્યા હતા અને 26મી જાન્યુઆરીની પરેડમાં મુખ્ય મહેમાન બન્યા હતા. આ પરેડમાં મુખ્ય અતિથિ બનનારા તેઓ પ્રથમ જાપાનીઝ વડાપ્રધાન છે. ત્યાર બાદ તેઓ ડિસેમ્બર 2015 અને સપ્ટેમ્બર 2017માં પણ ભારત આવ્યા હતા. 

વારાણસી મુલાકાત

- 2015ના ભારત પ્રવાસ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વારાણસી ગયા હતા. તે સમયે વારાણસી ઈન્ટરનેશનલ કોઓપરેશન એન્ડ કન્વેનશનલ સેન્ટરની જાહેરાત કરવામાં આવી હતી. જાપાને તે પ્રોજેક્ટ માટે 186 કરોડ રૂપિયાની મદદ કરી હતી. 

- વડાપ્રધાન મોદીએ 14 જુલાઈ 2021ના રોજ વારાણસી કન્વેનશનલ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું તે સમયે શિંઝો આબેનો ખાસ આભાર માન્યો હતો. તે સમયે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, 'આ આયોજનમાં અન્ય એક વ્યક્તિ છે જેમનું નામ હું ભૂલી નહીં શકું. જાપાનના જ મારા મિત્ર- શિંઝો આબે. શિંઝો આબે કાશી આવ્યા હતા ત્યારે મારે તેમના સાથે રૂદ્રાક્ષના વિચાર અંગે ચર્ચા થઈ હતી.'

- બાદમાં 2017માં તેઓ ભારત આવ્યા ત્યારે વડાપ્રધાન મોદી સાથે અમદાવાદમાં સાબરમતી આશ્રમની મુલાકાત પણ લીધી હતી. તે પ્રવાસ દરમિયાન મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની શરૂઆત થઈ હતી. જાપાનની મદદથી જ ભારતની પ્રથમ બુલેટ ટ્રેન બની રહી છે. તે પ્રોજેક્ટ માટે 1.08 લાખ કરોડ રૂપિયાનો ખર્ચો થશે જેમાંથી 88 હજાર કરોડ રૂપિયા જાપાન લગાવી રહ્યું છે.