Get The App

સંસદમાં 22 વર્ષ બાદ પહેલીવાર આવો હોબાળો, PM મોદી આભાર પ્રસ્તાવ અંગે બોલી જ ના શક્યા

Updated: Feb 5th, 2026

GS TEAM

Google News
Google News
સંસદમાં 22 વર્ષ બાદ પહેલીવાર આવો હોબાળો, PM મોદી આભાર પ્રસ્તાવ અંગે બોલી જ ના શક્યા 1 - image


PM Modi Parliament News :  સંસદમાં સતત ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અને હંગામાને કારણે હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્ચાનો જવાબ નહીં આપી શકે. બુધવારે સાંજે 5 વાગ્યે તેમના ભાષણનો સમય નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ કોંગ્રેસ સહિત વિપક્ષી સાંસદોના હોબાળાને કારણે ગૃહની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. પરિણામે, વડાપ્રધાનના ભાષણ વગર જ રાષ્ટ્રપતિના અભિભાષણ પરનો 'ધન્યવાદ પ્રસ્તાવ' મંજૂર કરી લેવામાં આવ્યો છે.

2004 પછી પ્રથમવાર આવી ઘટના

સંસદીય ઇતિહાસમાં 2004 પછી આ પ્રથમ એવી ઘટના છે જ્યારે વડાપ્રધાનના ભાષણ વગર ધન્યવાદ પ્રસ્તાવ પસાર થયો હોય. અગાઉ 2004માં તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહ પણ હંગામાને કારણે પોતાનું ભાષણ આપી શક્યા નહોતા. આ વખતે પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે સમગ્ર ચર્ચા દરમિયાન માત્ર ત્રણ સાંસદો જ પોતાની સ્પીચ પૂરી કરી શક્યા હતા.

હંગામા વચ્ચે ધ્વનિમતથી પ્રસ્તાવ પસાર

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષ દ્વારા સૂચવવામાં આવેલા સુધારાઓને ગૃહ સમક્ષ રાખ્યા હતા, જેને બહુમતીથી ફગાવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ સ્પીકરે ધન્યવાદ પ્રસ્તાવને મતદાન માટે મૂક્યો હતો અને હંગામાની વચ્ચે જ તેને 'ધ્વનિમત' (Voice Vote) થી પસાર કરી દેવામાં આવ્યો હતો. વિપક્ષી સાંસદોની સતત નારેબાજીને જોતા સ્પીકરે ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.