- ઇલેક્ટ્રિક ઉપકરણમાં શોર્ટ સર્કિટથી મોટી ઘટના
- સાત દર્દીના સ્થળ પર જ્યારે ત્રણના સારવાર દરમિયાન મોત, હોસ્પિટલા સ્ટાફના 11 લોકોને ઇજા
ભુવનેશ્વર : ઓડિશામાં એક ગોઝારી ઘટના સામે આવી છે, અહીંના કટકમાં આવેલી સરકારી હોસ્પિટલના આઇસીયુમાં ભિષણ આગ લાગી હતી, જેને પગલે આઇસીયુમાં દાખલ ૧૦ દર્દીઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે હોસ્પિટલના સ્ટાફના ૧૧ લોકોને પણ ઇજા પહોંચી હતી.
ઓડિશાના કટકના શ્રીરામ ચંદ્ર એસસીબી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં રાત્રે ત્રણ વાગ્યે ભિષણ આગ લાગી હતી, આ ઘટનામાં ૧૦ દર્દીઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા, સાત દર્દીઓ સ્થળ પર જ માર્યા ગયા હતા જ્યારે ત્રણ દર્દીઓને બાદમાં સારવાર માટે દાખલ કરાયા હતા જ્યાં તેમણે જીવ ગુમાવ્યો હતો. આગ લાગવાની આ ઘટના ટ્રોમા કેરના આઇસીયુમાં સામે આવી હતી. આ આઇસીયુમાં ૨૩ જેટલા દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. જેને બચાવવા માટે હોસ્પિટલનો સ્ફાટ દોડતો થયો હતો જેમાં ૧૧ કર્મચારીઓ પણ ઇજા પામ્યા હતા. એવા દાવા થઇ રહ્યા છે કે આગ લાગવાની આ ઘટના પાછળ શોર્ટ સર્કિટ જવાબદાર હોઇ શકે છે, ઓડિશાના મુખ્યમંત્રી ચરણ માંઝી સવારે ઘાયલોને જોવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા, તેમણે મૃતકોના પરિવારને ૨૫-૨૫ લાખ રૂપિયાનુ વળતર આપવાની જાહેરાત કરી હતી. સાથે જ આ ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસનો આદેશ પણ આપવામાં આવ્યો છે. આ એસસીબી કટકની સૌથી મોટી હોસ્પિટલ છે, અહીંયા ઓડિશાના લગભગ તમામ વિસ્તારોમાંથી લોકો સારવાર માટે આવે છે. આઇસીયુમાં એર કન્ડિશનિંગ સિસ્ટમ અથવા તો કોઇ મેડિકલ ઉપકરણમાં ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાની આ ઘટના બની હોઇ શકે છે. ઘટનાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિવેદન જાહેર કર્યું હતું અને જે પણ લોકો માર્યા ગયા તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જ્યારે પીએમએનઆરએફમાંથી મૃતકોના પરિવારને બે બે લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી હતી.


